બોટાદ (Botad) જિલ્લાના બરવાડામાં ઝેરી દારૂકાંડમાં અત્યાર સુધીમાં 40 થી વધુ ના મોત થયા છે. તો 25 થી વધુ લોકો સારવાર હેઠળ છે. બીમાર પડેલા લોકો ભાવનગરની સર. ટી. હોસ્પિટલ અને અમદાવાદમાં સારવાર હેઠળ છે. સમગ્ર મામલાને લઇને તપાસ તેજ કરી દેવાઈ છે. SIT ની રચના કરાઈ છે સાથે આખા ગુજરાતમાં દારૂબંધીના કડક અમલીકરણ માટે સૂચના આપી દેવામાં આવી છે. આખા રાજ્યમાં ચાલી રહેલા દરોડાના દૌર વચ્ચે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલે દારૂ- જુગારની બદી ઉપર નિયંત્રણ મેળવવા અનોખો પ્રયાસ કર્યો હતો. એસપીએ જંબુસરના કાવી ખાતે લોક દરબાર યોજી લોકો પાસે દારૂ – જુગારના અડ્ડાઓ વિશે માહિતી માંગી હતી.
IPS અધિકારી ડો. લીના પાટીલે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ લીધા બાદ બેનંબરી તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે. તાજેતરમાં બોટાદ ખાતે લઠ્ઠાકાંડની ઘટના બાદ આ IPS અધિકારી દારૂ – જુગારની બદીને લઈ વધુ એલર્ટ બન્યા છે. ભરૂચ જિલ્લાના અંતરિયાળ કાવી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન બાદ ડો. લીના પાટીલે લોક દરબાર યોજ્યો હતો. બોટાદના બરવાડામાં ઝેરી દારૂકાંડમાં અત્યાર સુધીમાં 40 થી વધુ ના મોત નિપજ્યા છે ત્યારે દારૂનું વેચાણ અટકાવવું પોલીસની પ્રાથમિકતા બની ગઈ છે.
પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન બાદ એસપી ભરૂચે સ્થાનિકો સાથે એક બેઠક યોજી હતી. લોકદરબાર અંતર્ગત સંવાદમાં ડો. લીના પાટીલે સ્થાનિકો પાસે દારૂ – જુગારના અડ્ડાઓની માહિતી માંગી હતી. પોલીસ વડાએ લોકોને કહ્યું હતું કે સ્થાનિક કક્ષાએ અપાયેલી માહિતી ઉપર અમલીકરણ ન થાય તો ASP અને સર્પ કક્ષાના અધિકારીઓને કોઈપણ પ્રકારના દર વિના માહિતી આપો પોલીસ ત્વરિત પગલાં લેશે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં આવતા મામલાઓ પોલીસ સ્ટેશનના અધિકારીના ધ્યાન ઉપર ફરજીયાત લાવવા પણ સૂચના અપાઈ હતી. પોલીસ સ્ટેશન ઓફિસર એટલેકે PSO દ્વારા પોતાના કક્ષાએ રજૂઆતો ઉપર નિર્ણય લેવાની મનાઈ ફરમાવવામાં આવી છે
ઝેરીદારૂ કાંડ મામલે ગૃહવિભાગે બેઠક બોલાવી હતી. બેઠકમાં રાજ્યમાં પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. તો તો ઝેરી દારૂ અંગે FSLએ ગૃહ વિભાગમાં રિપોર્ટ રજૂ કર્યો હતો . મળતી માહિતી અનુસાર ઝેરી દ્રવ્યમાં 98 ટકા કેમિકલ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. આ દારૂએ 40થી વધુનો ભોગ લીધો છે.
Published On - 2:19 pm, Wed, 27 July 22