
અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન અને ભરૂચ ક્રાઈમ બ્રાંચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દઢાલ-સાગબારા બ્રિજ નીચે નદીમાંથી મળેલી અજાણ્યા પુરુષની લાશના ગુનાનો ટૂંકા સમયમાં સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે. ગમતી મોટરસાયકલ પોતાની માલિકીની બનાવવાના આશયથી મિત્રની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુના મુજબ ગત તા. ૨૦/૦૬/૨૦૨૬ ના રોજ દઢાલ-સાગબારા બ્રિજની નીચે નદીમાંથી એક અજાણ્યા પુરુષનો ડી-કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની બોડી ડી-કમ્પોઝ થઈ ગઈ હોવાથી અને ચહેરો ક્ષત-વિક્ષત હોવાના કારણે ઓળખ કરવી મુશ્કેલ હતી.
અંકલેશ્વર રૂરલ પોલીસ અને એલ.સી.બી. ભરૂચની અલગ-અલગ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. મૃતકના હાથમાં રહેલા છૂંદણાના આધારે તેની ઓળખ ઉં.વ. ૪૦, રહેવાસી દૂધધારા ડેરી નજીક, ભોલાવ જી.આઈ.ડી.સી.ભરૂચ તરીકે થઈ હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક તા. ૧૭/૦૫/૨૦૨૬ ના રોજ પોતાના ઘરેથી મોટરસાયકલ નંબર GJ-16-DF-5967 લઈને નીકળ્યા હતા. ભરૂચ CCTV કંટ્રોલ રૂમમાં આ બાઈક સર્ચ કરાવતા મોટરસાયકલ પર એક અજાણ્યો ઈસમ ચાલક તરીકે અને પરેશભાઈ વસાવા પાછળ બેઠેલા હોવાનું જણાયું હતું. ફોરેન્સિક રિપોર્ટમાં પરેશભાઈને એકથી વધુ ગંભીર ઇજાઓ થઈ હોવાનું સામે આવતા અકસ્માત મોત નોંધ હટાવી હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ ટીમોએ ભરૂચ તથા અંકલેશ્વર વિસ્તારના ૧૫૦થી વધુ CCTV કેમેરા ચેક કર્યા હતા. ભોલાવ બ્રિજ નીચેના CCTV ફૂટેજ જોતા પરેશ સાથે બાઇકના ફૂટેજમાં દેખાયેલ શંકાસ્પદ વ્યક્તિ હવે એક આધેડ સાથે CCTV માં દેખાયો હતો. આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા પરેશ સાથે દેખાયેલ વ્યક્તિ નિર્મલ રાજુ નિશાદ હોવાનું જાણવા મળ્યું હતું જે નજીકના વિસ્તારમાંથી રખડતો મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે ગુનાનો મુખ્ય હેતુ મરણજનાર પરેશભાઈ વસાવા પાસેથી મોટરસાયકલ પડાવી લેવાનો હતો અને તેના માટે જ તેમની હત્યા નીપજાવવામાં આવી હતી.
ઝડપાયેલો આરોપી નિર્મલ રાજુ નિશાદ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે તેની વિરુદ્ધ અંકલેશ્વર શહેર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન અને ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સદોષ માનવવધના કુલ બે ગુણ નોંધાયેલા છે.
ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંઘ તથા પોલીસ અધીક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધીક્ષક કુશલ ઓઝાની સૂચનાથી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.એચ.જી.ગોહીલ, પો.સ.ઇ. પી.જે સાળુંકે, પો.સ.ઇ. આર.એ.જાડેજા, અ.હે.કો મુકેશભાઈ મેરાભાઈ, અ.હે.કો આશિષભાઈ રાયસિંગભાઈ, અ.હે.કો અશોકભાઈ જાદવભાઈ, અ.હે.કો દિલીપભાઈ રમેશભાઈ, અ.હે.કો પિંટુભાઈ મેરાભાઈ, પો.કો ઝીણાભાઈ સોમાભાઈ, પો.કો શૈલેષકુમાર પ્રવિણદાન, પો.કો હરેશભાઈ ખીમાભાઈ અને પો.કો વિરભદ્રસિંહ મહેન્દ્રસિંહ સામેલ છે, જ્યારે LCB ભરૂચની ટીમમાંથી પો.ઇન્સ. એમ.પી.વાળા, પો.સ.ઇ. આર.કે.તોરાણી, એ.એસ.આઈ ચંદ્રકાંતભાઈ, એ.એસ.આઈ સંજયભાઈ, એ.એસ.આઈ અશ્વિનભાઈ, અ.હે.કો પરેશભાઈ, અ.હે.કો ધનંજયસિંહ, અ.હે.કો દિપકભાઈ, પો.કો તુષારભાઈ અને પો.કો નિમેષભાઈએ જહેમત ઉઠાવી હતી.