Breaking News : દર્દીને ચઢાવાઈ એક્સપાયરી વાળી ગ્લુકોઝ બોટલ, બનાસકાંઠાની દાંતા સિવિલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી

બનાસકાંઠાની દાંતા સિવિલ હોસ્પિટલમાં તબીબી બેદરકારીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા દર્દીને પાંચ મેની એક્સપાયરી ડેટવાળી ગ્લુકોઝ બોટલ ચઢાવવામાં આવતા તેમને ભયંકર રિએક્શન આવ્યું હતું.

Breaking News : દર્દીને ચઢાવાઈ એક્સપાયરી વાળી ગ્લુકોઝ બોટલ, બનાસકાંઠાની દાંતા સિવિલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી
| Edited By: | Updated on: Jul 13, 2026 | 7:41 PM

બનાસકાંઠા જિલ્લાના દાંતા સિવિલ હોસ્પિટલમાંથી તબીબી જગતને શરમજનક સ્થિતિમાં મૂકી દે તેવી એક ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલી એક મહિલા દર્દીને એક્સપાયરી ડેટ વાળી ગ્લુકોઝ બોટલ ચઢાવી દેવામાં આવી હતી, જેના પરિણામે દર્દીને ભયંકર રિએક્શન આવ્યું અને તેમના હાથ-પગમાં સોજા ચઢી ગયા હતા. આ ઘટનાએ દાંતાની સરકારી હોસ્પિટલની કાર્યપ્રણાલી અને દર્દીઓની સલામતી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ખાનગી હોસ્પિટલો બંધ હોવાને કારણે આ મહિલા દર્દી સરકારી હોસ્પિટલના ભરોસે સારવાર માટે આવી હતી. પરંતુ અહીં ફરજ પરના સ્ટાફે ગંભીર બેદરકારી દાખવી હતી. સ્ટાફે તારીખ તપાસ્યા વગર જ, 5 મેના રોજ એક્સપાયર થયેલી ગ્લુકોઝ બોટલ દર્દીને ચઢાવી દીધી હતી. બોટલ ચઢાવ્યા બાદ અડધી બોટલ પૂરી થઈ ત્યાં સુધી કોઈને તેની જાણ નહોતી. જોકે, બોટલ ચઢાવ્યાના થોડા સમય બાદ મહિલા દર્દીના શરીરમાં ભયંકર રિએક્શન આવવા લાગ્યું અને તેમના હાથ-પગમાં સોજા ચઢવાની શરૂઆત થઈ.

પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો

જ્યારે દર્દીના પરિવારજનોની નજર ગ્લુકોઝ બોટલ પર પડી અને તેમણે તેની એક્સપાયરી ડેટ જોઈ, ત્યારે તેમને સમગ્ર ઘટનાની ગંભીરતાનો ખ્યાલ આવ્યો. પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો. પરિવારજનોએ જણાવ્યું કે, જો તેઓ ભણેલા-ગણેલા ન હોત અને એક્સપાયરી ડેટ જોઈ ન હોત, તો દર્દીનો જીવ પણ જોખમમાં મુકાઈ શક્યો હોત.

તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, “આજકાલ ઉઠીને અમારા વાઈફને કઈ થઈ ગયું હોત, તો અમારે કોને શું કરવાનું? આટલી બધી બેદરકારી સિવિલની અંદર. આ તો ઠીક છે શું છે કે આ ગરીબ પ્રજા આવે, એમની જોડે આ બધું થાય. આ તો ઠીક અમે બધા ભણેલા-ગણેલા, હોશિયાર અને એક્સપાયર ડેટ જોઈ લીધી.”

આ ઘટનાની ગંભીરતા છુપાવવાનો પણ પ્રયાસ થયો હોવાના આક્ષેપો છે. પાપ છાપરે ચડીને પોકારતા જ, ફરજ પરની નર્સ અડધો કલાક સુધી ગાયબ થઈ ગઈ હતી. એટલું જ નહીં, હોસ્પિટલમાં કોઈ જવાબદાર ડોક્ટર પણ હાજર ન હોવાના આક્ષેપો પરિવારે કર્યા હતા.

આખરે મામલો ગરમાતા હોસ્પિટલ પ્રશાસનને ઘૂંટણ ટેકવવા પડ્યા હતા. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે બેદરકારી સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે સ્ટોકમાં એક એક્સપાયરી ડેટ વાળો પીસ રહી ગયો હતો.

આ મામલે તત્કાળ કાર્યવાહીના ભાગરૂપે, જવાબદાર ડોક્ટર અને નર્સ સામે કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો મંગાવવામાં આવ્યો છે. પરંતુ આ ઘટનાએ એક મોટો સવાલ ઊભો કર્યો છે કે, જો દર્દીનો જીવ ચાલ્યો ગયો હોત, તો આ ખુલાસો કોના કામના હોત? દર્દીઓની સલામતીને પ્રાથમિકતા આપતી સરકારી હોસ્પિટલોમાં આવી બેદરકારી ખરેખર ચિંતાજનક છે અને આવા કિસ્સાઓ રોકવા માટે કડક પગલાં લેવા અત્યંત જરૂરી છે.

ગિરનાર પર્વત પર સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સુરક્ષા એક્શન પ્લાન જાહેર

Follow Us