ક્યારેક કાયદાનો ગેરફાયદા લેવાનો પ્રયાસ પણ કરવામાં આવતો હોય છે અને આવા અનેક કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. પરંતુ તે છળ કપટ લાંબુ ચાલતુ હોતુ નથી અને તેનો ગરઉપયોગ કરનારો જ કાયદાની જાળમાં ફસાઈ જતો હોય છે. આવીજ રીતે માતા અને કાકાએ સગીરાને આગળ કરીને ત્રણ યુવકો સામે સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ ભિલોડા પોલીસ (Bhiloda Police) ની તપાસમાં ફરીયાદ જ ખોટી હોવાનુ સામે આવતા સગીરાની માતા અને કાકા વિરુદ્ધ ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. ખોટી ફરીયાદો વડે નિર્દોષને જેલમાં મોકલવાનુ અને કાયદાની આંટી ઘૂંટીમાં ફસાવી રાખવાના તરકટ સમાજ માટે દૂષણ સમાન છે. અરવલ્લી (Aravalli) જિલ્લામાં સામે આવેલા આ કિસ્સામાં સગીર પુત્રીને આ માટે ધાક ધમકી આપીને ફરીયાદ નોંધાવવા મજબૂર કરી હતી. આ કિસ્સો સમાજ માટે લાલબત્તી ચિંધનારો છે.
ભિલોડા પોલીસ મથકે એક સગીરાની ફરીયાદ થોડાક સમય અગાઉ નોંધાઈ હતી, જે મુજબ સગીરાને રીક્ષામાં બેસાડી અપહરણ કરી લઈ જવાઈ હતી. ત્યાર બાદ ત્રણ શખ્શોએ તેની પર દુષ્કર્મ આચર્યુ હતુ. જે અંગેની ફરીયાદ ત્રણ યુવકો સામે નોંધીને ભિલોડા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પરંતુ પોલીસને શરુઆતમાં જે પ્રમાણે ફરિયાદમાં જણાવ્યુ હતુ તે પ્રમાણેની વાસ્તવિક કડીઓ ખૂટતી જતી હોય એમ લાગી રહ્યુ હતુ. આ શંકા સાથે તપાસ ચાલી રહી હતી, તો બીજી તરફ મેડીકલ તપાસનો રિપોર્ટ પણ નેગેટિવ આવતા જ પોલીસને શંકા મજબૂત થઈ ગઈ હતી કે દુષ્કર્મની ફરીયાદ ખોટી છે. હવે દિયર અને ભાભીની ધરપકડ કરવા પોલીસે કાર્યવાહી શરુ કરી છે.
જોકે મામલો સગીરાનો હોઈ તેના આક્ષેપમાં ક્યાંય અન્યાય ના થાય એ માટે ફરીયાદ મુજબ ભિલોડા પોલીસના ઈન્સપેક્ટર મનિષ વસાવાએ તમામ પાસાઓને ચકાસી લીધા હતા અને ઘટના અંગે વૈજ્ઞાનિક અને સાંયોંગિક સહિત તમામ પૂરાવાઓને એક્ત્ર કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને પ્રાથમિક રીતે જ ફરીયાદ ખોટી હોવાનુ જણાઈ આવ્યુ હતુ. આ અંગે ભિલોડા પાલીસે આખરે તપાસના અંતે હવે સગીરાની માતા અને કાકા વિરુદ્ધ જ ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. જે બંનેએ સગીરાને ધાક ધમકીઓ આપીને સામૂહિક દુષ્કર્મની ખોટી ફરીયાદ અંગે પોલીસને જણાવવા માટે મજબૂર કરી દીધી હતી.
સગીરાની કુટુંબી યુવતીએ મયુર બોડાત સાથે કેટલાક સમય અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા અને તેના કારણે તેના માતા પિતા અને પરિવાર જનો નારાજ હતા. જેની અદાવાદ રાખીને સગીરાના કાકા તુલસી હરજીભાઈ બોડાત અને માતાએ મળીને આ ફરીયાદ નોંધાવવા માટે કાવતરુ રચ્યુ હતુ. જેથી આરોપી મયુર અને તેને મદદ કરનારા તેના બંને મિત્રો અજય અને સાજન ભાઈ જેલમાં પહોંચી જાય અને બદલો લેવાઈ જાય.
આકરી સજા મળે એ હેતુસર જ સામુહિક દુષ્કર્મની ફરીયાદ નોંધાવવાનો પ્લાન ઘડ્યો હતો. આ માટે કાયદાકીય સૂઝ મુજબ સગીર દીકરીને આગળ ધરીને પોસ્કો એક્ટ હેઠળનુ ગુન્હો દર્જ કરવા માટે જેતે સમયે ભિલોડા પોલીસ મથકે પહોંચ્યા હતા. આમ સગીર દીકરીને પિડીતા દર્શાવી સામુહુક દુષ્કર્મ રિક્ષામાં અપહરણ કરી જઈને આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેથી આરોપી શખ્શોને આજીવન કેદની સજા થઈ શકે. પરંતુ પોલીસ તપાસમાં ફરીયાદ જ ખોટી હોવાનુ જણાઈ આવતા પોલીસે હવે માતા અને કાકા વિરુદ્ધ ફરીયા નોંધી છે, સાથે જ તપાસમાં જે આરોપીઓએ ખોટી ફરીયાદ નોંધાવવા માટે ભૂમિકા ભજવી હોય તેમની પણ તપાસ શરુ કરી છે.
Published On - 11:56 am, Thu, 23 June 22