ગુજરાત કો-આપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન) ના ચેરમેનપદે સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ હિંમતનગરના ચેરમેન શામળ બી. પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેમના નામનો પ્રસ્તાવ બેઠકમાં મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન અશોક બી. ચૌધરી, ધ્વારા કરવામાં આવ્યો હતો અને ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ આણંદના ચેરમેન રામસિંહ પી. પરમાર, ધ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.
જ્યારે ગુજરાત કો-આપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)ના વાઇસ ચેરમેનપદે , કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ કચ્છના ચેરમેન વલમજી હુંબલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેમના નામનો પ્રસ્તાવ સુરત જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ માનસિંહ કે. પટેલ સુરત ધ્વારા કરવામાં આવ્યો હતો. તેમને સુરેન્દ્રનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન વિહાભાઇ એસ. સભાડ ધ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.
અમૂલ ફેડરેશનના ચેરમેનની ચુંટણી નાયબ કલેકટર, આણંદની હાજરીમાં થઇ હતી અને તેમાં અમૂલ ફેડરેશનના 18 માંથી 17 સભ્ય દૂધ સંઘોના ચેરમેનઓ હાજર રહયા હતા. અમૂલ ફેડરેશનમાં વર્ષ 1973 થી ચેરમેન પદની વરણી બિનહરિફ રીતે થતી આવી છે તે પ્રણાલિકાને પુન: જાળવી રાખી છે.
અમૂલ ફેડરેશન ભારતની રૂપિયા 46,481 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી ખાદ્ય ઉત્પાદનોની માર્કેટીંગ વ્યવસ્થા સંભાળતી ટોચની સંસ્થા છે કે જેના ધ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની વિવિધ બનાવટોની વિશાળ શ્રેણીનું માર્કેટીંગ તેમજ વિતરણ કરવામાં આવે છે. અમૂલ ફેડરેશન તેના સભ્ય સંઘો ધ્વારા રાજયના 18,154 થી વધુ ગામડાંઓમાંથી 36 લાખ દૂધ ઉત્પાદકો પાસેથી સરેરાશ 264 લાખ લિટર દૂધ પ્રતિદિન એકત્રિત કરે છે.
અમૂલના ચેરમેન શામળ પટેલ સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. ચેરમેન છે. તેવો ડેરી સહકારી માળખા સાથે પાછલાં ૩૩ વર્ષથી કાર્યરત છે. સાબરકાંઠા દૂધ સહકારી સંઘ રૂપિયા 6800 કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવર તથા 3.80 લાખ દૂધ ઉત્પાદક સભ્યો સાથે રાજયના મોટા દૂધ ઉત્પાદક સંઘમાંનો એક એકમ છે.
અમૂલના વાઇસ ચેરમેન વલમજી હુંબલ કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના સરહદ ડેરીના ચેરમેન તરીકે 14 વર્ષથી કાર્યરત છે. કચ્છ જિલ્લા દૂધ સહકારી સંઘ ગત વર્ષે રૂપિયા 670 કરોડથી વધુ ટર્નઓવર કરેલ તથા લગભગ 1 લાખ દૂધ ઉત્પાદક સભ્યો સંઘ સાથે જોડાયેલ છે. આ પ્રસંગે અમૂલ ફેડરેશનના ચેરમેને જણાવ્યું હતું કે તેમના માટે ઘણા સૌભાગ્ય અને ગૌરવની ક્ષણ છે કે તેમને ડો. કુરિયન દ્વારા જે સંસ્થાનું નેતૃત્વ કરેલ હતું ત્યાં ચેરમેન બનવાનો મોકો મળેલ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં સહકારી ડેરી માળખું પાછલા ૭૫ થી વધુ વર્ષથી સફળ છે કારણ કે આ સંસ્થામાં સિધ્ધાંત અને નૈતિકતાના ગુણો શ્રી ત્રિભુવનદાસ પટેલ અને ડો. કુરિયન દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ હતા. સહકારી ખેડૂત આગેવાનો અને નિષ્ણાંત તજજ્ઞોની મદદથી અમૂલ ફેડરેશન ખૂબ ઉંચી સિધ્ધીઓ હાંસલ કરશે.
અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેને વધુમાં જણાવ્યુ કે એનડીડીબી ધ્વારા અમૂલ મોડલને સમગ્ર ભારતમાં પ્રસરાવવાથી ભારત આજે વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બનેલ છે. અમૂલ ફેડરેશન દેશના અન્ય સ્ટેટ ફેડરેશનો સાથે ઘનિષ્ઠતાથી કામ કરતું રહેશે કે જેથી સહકારી ચળવળને મજબુત બનાવી શકાય અને જો જરૂરિયાત હશે તો અન્ય રાજયના દૂધ ઉત્પાદકોને પણ ટેકો પૂરો પાડશે.
આ પણ વાંચો : મુંબઈ જનાર ગુજરાતીઓ માટે સારા સમાચાર ! ગુજરાતના આ શહેરમાંથી શરુ થશે બે સ્પેશિયલ ટ્રેન
Published On - 6:33 pm, Tue, 24 January 23