
અમરેલી જિલ્લામાંથી એક બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમા થોડા દિવસ પહેલા રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક ઉત્તરાખંડના પ્રકાશચંદ્ર નામના એક વ્યક્તિ પર સિંહે હુમલો કરી તેનુ ભક્ષણ કર્યુ હતુ. જે બાદ ખાંભા રેન્જમાં પાંચ વર્ષના બાળક પર સિંહણે હુમલો કર્યો હતો. આ બંને હુમલા બાદ ચારેય માનવભક્ષી સિંહોને વનવિભાગે આઈડેન્ટીફાય કરી પકડી પાડ્યા હતા અને તેમને પાંજરે પુરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમા ચારેય સિંહોએ માનવભક્ષણ કર્યુ હોવાનું રિપોર્ટમાં સામે આવતા ચારેય સિંહોને આજીવનકેદની સજા કરવામાં આવી છે. હવે આ ચારેય સિંહોને જુનાગઢ સક્કરબાગ ઝુ ખાતે મોકલવામાં આવશે.
આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા રાજુલાના કોવાયા ઉતરાખંડના યુવાનના માથું અને પગ મળી આવ્યો હતો. જે બાદ તપાસને અંતે સિંહે યુવકનો શિકાર કર્યો હોવાનું સામે આવ્યુ હતુ. જે બાદ વનવિભાગે માનવભક્ષણ કરનારા સિંહોને પકડવાની તજવીજ હાથ ધરી હતી. હાલ આ ચારેય સિંહોએ માનવ માંસ આરોગ્યુ હોવાથી તેમને મોટી સજાના ભાગરૂપે આજીવન કેદ કરવામાં આવી છે. જેના પગલે આગળ જતા તેઓ વધુ કોઈ માનવીનો શિકાર ન કરે.
વનવિભાગના કર્મચારીના જણાવ્યા અનુસાર વનવિભાગે ચારેય સિંહોને પાંજરે પૂર્યા હતા અને તેમના સેમ્પલ લઈ સાસણ મોકલ્યા હતા. સેમ્પલના રિપોર્ટમાં ચારેય સિંહોએ માનવ માંસ આરોગ્યુ હોવાનો ખૂલાસો થયો છે.
અમરેલી જિલ્લામાં બે દિવસના અંતરાલમાં સિંહ દ્વારા માનવીઓના શિકારની ઉપરાછાપરી બે ઘટના સામે આવી હતી. પહેલા રાજુલાના કોવાયામાં ઉત્તરાખંડના યુવકના શિકાર કરેલા અવશેષ મળ્યા હતા. જે બાદ અમરેલી જિલ્લામાં જ ખાંભા રેન્જમા સિંહે પાંચ વર્ષના બાળક પર મધરાત્રે હુમલો કર્યો હતો. ખાંભાના ચાતુરી ગામે સિંહે બાળકને ફાડી ખાધો હતો. બાળક તેના દાદાની આંગળી પકડીને ઉભો હતો અને સિંહણ બાળકને દબોચીને 1 કિલોમીટર દૂર લઈ જઈ તેનો શિકાર કર્યો હતા. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા હચા. રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ ભોગ બનનારા પરિવારની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી હતી
તે દરમિયાન પરિવારજનોએ પણ તેમનો આક્રોશ ઠાલવ્યો હતો અને માગ કરી હતી કે સિંહોને રેવન્યુ વિસ્તારથી દૂર લઈ જવામાં આવી. આ તકે વનમંત્રીએ પણ સ્વીકાર્યુ હતુ કે સિંહોની પ્રકૃતિ બદલાઈ હોવાથી તેઓ માણસોનો શિકાર કરવા લાગ્યા છે. પહેલા આવુ બનતુ ન હતુ. સિંહો માણસો પર ક્યારેય હુમલો કરતા ન હતા. પરંતુ છેલ્લા થોડા સમયથી સિંહો દ્વારા માણસોના શિકારની ઘટના સામે આવવા લાગી છે. વનમંત્રી મોઢવાડિયા સમક્ષ પરિવારજનોએ તેમને લાકડી કે તેના જેવુ કોઈ હથિયાર રાખવાની છૂટ આપવા અંગે પણ રજૂઆત કરી હતી. જેનાથી તેઓ સિંહોના શિકારથી બચી શકે. અમરેલી અને ગીર વિસ્તારમાં સિંહો અને મનુષ્યો વર્ષોથી સહ અસ્તિત્વ ધરાવે છે અને ક્યારેય આ પ્રકારની હુમલાની ઘટના બની નથી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ પ્રકારના બનાવો વધ્યા છે. જેની પાછળ કેટલાક ટીખળખેરો દ્વારા થતી સિંહોની પજવણી પણ જવાબદાર છે. હાલ તો માનવભક્ષી ચારેય સિંહોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જેનાથી આ પ્રકારના હુમલાઓ વધુ થતા ટાળી શકાય.
Input Credit- Jaydev Kathi- Amreli
Published On - 6:27 pm, Sat, 27 June 26