Amreli: વડિયાના ગ્રામ્ય વિસ્તારમાં ફરીથી ધોધમાર વરસાદ, સુરવો ડેમમાં થઈ નવા નીરની આવક
અમરેલી (Amreli) જિલ્લાના વડીયા ગામમાં આ વખતે સારા વરસાદને કારણે જિલ્લાની વિવિધ નદી અને ડેમમાં નવા નીર આવ્યા છે અને સુરવો ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતો માટે સિંચાઇના પાણીની રાહત થઈ ગઈ છે.
અમરેલીમાં (Amreli) છેલ્લા થોડા દિવસથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ફરીથી અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. સાંજથી વડિયા (Vadiya) અને અરજણ સુખ ગામમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અમરેલી તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આ વર્ષે શ્રીકાર વર્ષા થઈ છે. અમરેલી (Amreli) જિલ્લાના વડીયા ગામમાં આ વખતે સારા વરસાદને કારણે જિલ્લાની વિવિધ નદી અને ડેમમાં નવા નીર આવ્યા છે અને સુરવો ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતો માટે સિંચાઇના પાણીની રાહત થઈ ગઈ છે. અમરેલીમાં સુરવો ડેમમાં (Dam) આવેલા નવા નીરને અગ્રણીઓ દ્વારા વધાવવામાં આવ્યું હતું અને જળદેવતાને પ્રાર્થના કરવામાં આવી હતી. ભારે વરસાદના પગલે સુરવો ડેમમાં 8 ફૂટ નવા નીરની આવક નોંધાઈ છે. ઉપરવાસમાં સારા વરસાદથી ડેમમાં 8 ફૂટ સહિત કુલ 11 ફૂટ નવા નીરની આવક થઈ છે.
સુરવા ડેમની જળસપાટી વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. તાલુકાના નાળ ગામ ભારે વરસાદના પગલે ચેકડેમ છલકાયો જેના કારણે નદીમાં પણ ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે થોડો સમય વરસાદે વિરામ લેતા પાણી ઓસરવા લાગ્યા હતા. તો એક દિવસ પહેલા આવેલા વરસાદને કારણે ધારી તેમજ આંબરડીમાં રસ્તાઓ ઉપર નદીઓ વહેવા લાગી હતી. તેમજ ગીર કાંઠાના ગામમાં ભારે વરસાદ થતા શેત્રુંજી નદીમાં પૂર આવી ગયું હતું.
વડિયા તાલુકામાં સાંજથી ધોધમાર વરસાદ
અરજણસુખ ગામમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થઈ ગયા હતા. સાથે જ રાજુલા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો. રાજુલાના ડુંગર, પરડા, ઝીંઝકા, નાના આસરાણા, કુંભારીયા માંડળ, મોરંગી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.
અમરેલીમાં થયો છે નોંધપાત્ર વરસાદ
અમરેલી(Amreli) જિલ્લા સાર્વત્રિક વરસાદ (Rain) થતા વોકળા અને નદી નાળા છલકાઈ ગયા છે. તો સૌથી મોટી શેત્રુંજી નદીમાં પણ પૂર આવ્યું હતું અને નદી બે કાંઠે વહી ઉઠી હતી. જ્યાારે ખાંભાની તાતણિયા નદી વરસાદી પાણીને પગલે છલકાઈ ઉઠી હતી. અહીં 3.5 ઈંચ વરસાદ ખાબકતા ખાંભા ગામ પાણીથી તરબોળ થઈ ગયું. ગામ સહિત ખેતરોમાં પણ પાણી ફરી વળ્યું હતું. વરસાદને પગલે મિતિયાળી પુલ ઉપર પણ પાણી ફરી વળ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.