અમરેલી જિલ્લામાં (Amreli) વાવણીના સમયે વરસાદ પાછો ખેંચાતા ધરતીપુત્રો મુસીબતમાં મુકાયા છે. જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ખાંભા અને તેની આસપાસ આવેલા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો કોરાધાકોર જોવા મળી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં કોરોના અને તાઉતે વાવાઝોડા જેવી આફતોનો સામનો કરી માંડ માંડ ખેડૂતો બેઠા થયા છે. ત્યારે હવે મેઘરાજા પણ તેમની કૃપા વરસાવવામાં વિલંબ કરતા જગતના તાત ચિંતાના વાદળોમાં ઘેરાયા છે. વરસાદનો વર્તારો મેળવી આગોતરું વાવેતર કરનારા ખેડૂતો પણ નિરાશ જોવા મળી રહ્યા છે. અને મોંઘા ભાવનું બિયારણ વેડફાવાની ભીતિ સેવાઇ રહી છે. એક તરફ જૂન મહિનાનો અંત નજીકમાં હોવા છતાં વરસાદના એંધાણ નથી. અને બીજી તરફ અપૂરતી વીજળીની સમસ્યાને કારણે વાવેલા બિયારણને સમયસર પાણી પણ આપી શકાતું નથી. ત્યારે કેટલાક ખેડૂતો સરકાર પાસે રાહત પેકેજની માગણી કરી રહ્યા છે. તેમજ પાકવીમાની ચૂકવણી કરવામાં આવે તેવી પણ માગ કરી રહ્યા છે.
જો વિગતે હવામાનની વાત કરીએ તોઆજે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 42 રહેશે. તેમજ વરસાદની શક્યતા નથી.ઉપરાંત 55 ટકા વાદળ છાયુ વાતાવરણ રહેતા અમદાવાદીઓને ગરમીથી રાહત મળશે.તો અમરેલીમાં(Amreli) ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 37 રહેશે.તેમજ વરસાદ પડવાની પુરી શક્યતા છે.આણંદમાં મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે.જ્યાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 40 રહેશે.તેમજ વરસાદની સંભાવના નહિવત છે.