AHMEDABAD : વર્ષ 2021માં કોરોના મહામારીની બીજી લહેરમાં ઘણા લોકોના મૃત્યુ થયા. આમાં ઘણા ગુજરાતી નેતા, અભિનેતા અને ટેલિવિઝન તેમજ ગુજરાતી સિનેમા સાથે જોડાયેલા લોકોના મૃત્યુ થયા. આ લોકો એવા પ્રસિદ્ધ વ્યક્તિઓ છે જેની સાથે આપણા જીવનની મહત્વની ક્ષણો પણ જોડાયેલી છે.આવો જોઈએ વર્ષ 2021માં કઈ કઈ ગુજરાતી હસ્તીઓએ આ દુનિયામાંથી વિદાય લીધી
1)માધવસિંહ સોલંકી – રાજનેતા
માધવસિંહ સોલંકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા, ગુજરાતના મુખ્ય મંત્રી અને ભારતના વિદેશ મંત્રી હતા. તેઓએ ત્રણ વખત ગુજરાતનું મુખ્યમંત્રી પદ સંભાળેલું. તેઓ “ખામ થિયરી” માટે જાણીતા થયા, જે વડે તેઓ 1980 માં ગુજરાતમાં સત્તામાં આવેલા. વર્ષ 2021ની શરૂઆતમાં એટલે કે 9 જાન્યુઆરી 2021 ના રોજ તેમનું 94 વર્ષની વયે અવસાન થયું હતું.
2)ચંદ્રકાંત પંડ્યા – અભિનેતા
100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચુકેલા અને રામાનંદ સાગરની પ્રસિદ્ધ ટીવી સીરીયલ રામાયણમાં નિશાદરાજનું પત્ર ભજવનારા ગુજરાતી અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું 21 ઓક્ટોબર 2021ના રોજ મુંબઈમાં અવસાન થયું હતું. તેમનો જન્મ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગામે 1-1-1946ના રોજ થયો હતો.તેમને સુપ્રસિદ્ધ ફિલ્મ માનવીની ભવાઈ માટે રાષ્ટ્રીય એવાર્ડ એનાયત થયો હતો.
3)અરવિંદ ત્રિવેદી ‘લંકેશ’ – અભિનેતા
રામાનંદ સાગરની પ્રસિદ્ધ ટીવી સીરીયલ રામાયણમાં લંકેશનું પાત્ર ભજવનાર ખ્યાતનામ ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીનું 6 ઓક્ટોબર 2021 ના રોજ 86 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું હતું. 8 મી નવેમ્બર 1938 માં ઇંદોરમાં જન્મેલા અરવિંદ ત્રિવેદીનુ મૂળ વતન ઇડર નજીકનું કુકડીયા ગામ છે.અરવિંદ ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા હતા. એમણે મુખ્ય નાયક, ખલનાયક અને સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે 250થી વધુ ગુજરાતી અને હિંદી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
4) અરવિંદ રાઠોડ – અભિનેતા
ગુજરાતી રંગભૂમિ, ટેલિવિઝન અને ફિલ્મોના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનું 1 જુલાઈ 2021ના રોજ દુઃખદ અવસાન થયું હતું. નાટકથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેતાએ ગુજરાતી ફિલ્મોમાં પોતાની અદાકારીથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. અભિનેતાએ છેલ્લે ‘થઈ ગયું’ ફિલ્મમાં ભુમિકા નિભાવી હતી.અરવિંદ રાઠોડે 1970 થી ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સૌપ્રથમ તેઓએ 1976માં બાબા રામદેવપીર ફિલ્મમાં જોવા મળ્યા હતા.આ ઉપરાંત રાજા ગોપીચંદ, શેતલ તારા ઉંડા પાણી, ગંગા સતી, પાતળી પરમાર જેવી ફિલ્મોમાં પોતાની અદાકારીથી ચાહકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
5) ઘનશ્યામ નાયક ‘નટુકાકા’ – અભિનેતા
250 થી વધુ ફિલ્મો, નાટ્ય,થિયેટર અને છેલ્લા કેટલાય સમયથી નટુકાકાના પાત્રથી જાણીતા ઘનશ્યામ નાયકનું 77 વર્ષની વયે 3 ઓક્ટોબર 2021ના રોજ મુંબઈમાં અવસાન થયું હતું. ભવાઇ અને જુની રંગભૂમિ થી શરૂ કરીને છેલ્લે લોકપ્રિય ટીવી સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નટુકાકા તરીકે વિશ્વ ખ્યાતિ પ્રાપ્ત આદરણીય ઘનશ્યામભાઈ નાયકનું કેન્સરની ટુંકી બીમારીથી અવસાન થયું હતું.
6) પદ્મશ્રી દાદુદાન ગઢવી – સાહિત્યકાર
ગુજરાતના જાણીતા કવિ પદ્મશ્રી દાદુદાન ગઢવીનું 26 એપ્રિલ 2021ના રોજ અવસાન થયુ હતું. સાહિત્યજગતમાં ‘કવિ દાદ’ કે ‘દાદ બાપુ’ના નામથી ઓળખાતા હતા.તેમના પિતાનું નામ પ્રતાપદાન ગઢવી હતું જેઓ જુનાગઢના રાજકવિ અને નવાબના સલાહકાર હતા.
તેમણે 15 ગુજરાતી ચલચિત્રો માટે ગીતો લખ્યા હતા. તેમના લોકપ્રિય ગીતોમાં લગ્નગીત “કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો”, કૈલાસ કે નિવાસી, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું અને હિરણ હલ્કલી છે. તેમનું પુસ્તક બંગ બાવની કેન્દ્ર સરકારે પ્રકાશિત કર્યું હતું, જે તેમણે 1971 ના ભારત-પાક યુદ્ધ દરમિયાન લખ્યું હતું. તેમણે પુસ્તકના વેચાણમાંથી થયેલો બધો નફો બાંગ્લાદેશ શરણાર્થીઓની રાહત માટે આપી દીધો હતો.
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે કવિ દાદની કવિતા કાળજા કેરો કટકો મારો થી પ્રભાવિત થઇને “કુંવરબાઈનું મામેરૂં યોજના” (ગુજરાત રાજ્યમાં કન્યાના માતા-પિતાને મદદ કરવા માટેની સરકારી યોજના) ની શરૂઆત કરી હતી.
1977 ની કટોકટી દરમિયાન તેમણે એક કવિતા લખી હતી, ” બાપુ ગાંધી તમારે બારણે બેઠો, આટલું આજ તું બતાવ, આ દેશમાં કે દી હવે રામ રાજ આવે, દાદ કે આઝાદી ફરે ઉઘાડી, અને શર્મે મુખડા છુપાવે, ઝાઝા ધણીની ધણિયારીને પ્રભુ તું લુગડા પેરાવે.”
આ કવિતા પર પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશ પર લગાવેલી કટોકટીના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર તેમજ ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર મળ્યો હતો.સાહિત્ય અને શિક્ષણમાં તેમના યોગદાન માટે 2021 માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો.
7)હસમુખ શાહ – કોર્પોરેટ જગત
બહુમુખી પ્રતિભાના સ્વામી, IPCLના પૂર્વ ચેરમને હસમુખ શાહનું ૩જી ડિસેમ્બરની વહેલી સવારે કરમસદમાં દુઃખદ અવસાન થયું. તેઓ 87 વર્ષની વયના હતા.હસમુખ શાહ સરકારી, જાહેર ક્ષેત્ર અને એક નાગરિક તરીકે અસાધારણ જીવન અને કારકિર્દી ધરાવતા હતા.
તેઓએ સંયુક્ત સચિવ તરીકે વડાપ્રધાન કાર્યાલયમાં સતત ત્રણ વડાપ્રધાન મોરારજી દેસાઈ, ચૌધરી ચરણ સિંહ અને છેલ્લે ઈન્દિરા ગાંધી સાથે કામ કર્યું હતું.
ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ (IPCL) નું ખાનગીકરણ થયું તે પહેલા તેઓ તેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પણ હતા. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે એન્જિનિયરિંગ પ્લાસ્ટિકના વિકાસ માટે GE અને IPCL વચ્ચે સંયુક્ત સાહસ બનાવવા માટે જેક વેલ્ચને સમજાવ્યા.
હસમુખ શાહે તેમના નિવૃત્તિ પછીના સમયગાળાનો ઉપયોગ અનેક સંસ્થાઓ સ્થાપવા માટે કર્યો. તેઓ ગુજરાત ઇકોલોજી કમિશન (GEC), ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (GUIDE), ગુજરાત ઇકોલોજી સોસાયટી (GES), ગુજરાત નેચર કન્ઝર્વેશન સોસાયટી (GNCS) ના સ્થાપક અને હેરિટેજ ટ્રસ્ટના સ્થાપક અધ્યક્ષ હતા.
દર્શક ઇતિહાસ નિધિ (DIN) ના સ્થાપક ટ્રસ્ટી તરીકે, તેમણે ગુજરાતના મેરીટાઇમ ઈતિહાસ પર અનેક બહુ-વિધ આંતરરાષ્ટ્રીય પરિષદોનું આયોજન કર્યું અને આ વિષય પર શિષ્યવૃત્તિ અને પ્રકાશનોને પ્રાયોજિત કર્યા. તેઓ ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH)ના અધ્યક્ષ પણ હતા.
8)આશાબેન પટેલ – રાજનેતા
ઊંઝાના ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતા આશાબેન પટેલનું આજે 12 ડીસેમ્બર 2021 ના રોજ અવસાન થયું છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. છેલ્લા દિવસોમાં તેમણે ICUમાં લાઈફ સપોર્ટ સીસ્ટમ પર રાખવામાં આવેલા હતા.
ડો.આશાબેન ડી.પટેલનો જન્મ 6 જાન્યુઆરી 1977ના રોજ વિસળમાં થયો હતો. તેઓ અપરણિત હતા. શિક્ષણક્ષેત્રમાંથી રાજકારણમાં આવેલા ઊંઝાના MLA આશાબેન પટેલે હેમચન્દ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રી વિષયમાં સંધોશન કરીને ડોક્ટરેટ (Ph.D.)ની ઉપાધી મેળવી હતી. તેઓ પ્રેફેસર પણ રહી ચુક્યા છે. નિવૃત્ત પ્રાધ્યાપિકા ડો.આશાબેન પટેલ ખેતી અને સમાજસેવા સાથે પણ સંકળાયેલા હતા.
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આશાબેન પટેલે ઊંઝા બેઠક પર 1995થી 5 વાર ધારાસભ્ય રહેલા ભાજપના નારાયણ પટેલને હરાવી કોંગ્રેસની ટીકીટ પર ઊંઝા બેઠક પર જીત્યા હતા.2019માં તેમણે ઊંઝાના ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા અને પેટાચૂંટણીમાં ભાજપની ટીકીટ પર લડી ફરી ઊંઝાના ધારાસભ્ય બન્યા હતા.