
અમદાવાદ શહેરમાં ફરી એકવાર ભારે વરસાદી માહોલ જામ્યો છે. શહેરના બોપલ, ઘુમા અને શેલા સહિતના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ શેલા વિસ્તાર જળબંબાકાર બન્યો હતો, જ્યાં પાણી ભરાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.
રવિવારે રાત્રે 8 વાગ્યા બાદ વરસાદની શરૂઆત થઈ હતી અને ગણતરીના સમયમાં જ શેલા વિસ્તારમાં આવેલા ક્લબ ઓ સેવન રોડ પર પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. આ રોડ પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. સ્થિતિ એટલી ખરાબ હતી કે કેટલીક કાર પાણીમાં ફસાઈ ગઈ હતી.
આવા જ એક બનાવમાં, પાણીમાં ફસાયેલા એક પરિવારને મદદ કરવા માટે ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, તેમને એક ગાડી ફસાયાનો સંદેશ મળતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ડિવાઈડરથી નીચે ભરાયેલા ઢીંચણસમા પાણીમાંથી પરિવારને સુરક્ષિત રીતે બહાર કાઢી નજીકના શોપિંગ સેન્ટરમાં પહોંચાડ્યો હતો. જોકે, ફાયર વિભાગને અન્ય કોઈ વાહન ફસાયાનો ફોન આવ્યો ન હતો.
આ ઘટના બાદ સ્થાનિકોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. એક સ્થાનિક રહીશે જણાવ્યું કે, આ સમસ્યા ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે. અનેક રજૂઆતો છતાં પણ પાણી ભરાવાની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. વરસાદ શરૂ થાય એટલે લોકો ગભરાઈ જાય છે કે ઘરે કઈ રીતે પહોંચવું. તેમણે પોતાની આપવીતી વર્ણવતા કહ્યું કે, તેમનું ઘર એક કિલોમીટર દૂર હોવા છતાં, તેમનો બીમાર બાળક ઘરે પહોંચાડવા માટે કોઈ રેસ્ક્યુ ટીમ પહોંચી નહોતી. અંતે, તેઓ જાતે જ ભીના થઈને બાળકને પાણીમાંથી ઘરે લઈ ગયા. તેમના પત્ની અને માતા હજુ પણ પાણીમાં ફસાયેલી ગાડી પાસે ઉભા છે. આ હાલત શેલા વિસ્તારની છે.
રહેવાસીઓએ સવાલો ઉઠાવ્યા કે, શેલા જેવો નવો વિકસિત વિસ્તાર હોવા છતાં અહીં સુવિધાઓનો અભાવ કેમ છે. તેમણે આક્ષેપ કર્યો કે સરકારે ટી.પી. યોજનાઓ જાહેર કરીને બિલ્ડરોને બાંધકામની મંજૂરી આપી દીધી, પરંતુ પાણી અને ડ્રેનેજ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી નિભાવી નથી. દસ્તાવેજના સમયે લેવાતી મોટી રકમનું શું થાય છે તેવો સવાલ પણ તેમણે કર્યો. એક ચોરસ કિલોમીટર વિસ્તારમાં હજારો લોકો રહે છે, જેમણે દસ્તાવેજો કરાવીને જ મકાનો લીધા છે. ત્યારે, કરોડો રૂપિયાના દસ્તાવેજોના પૈસાનું શું થયું? મોટી પાઈપો નાખ્યા છતાં પાણી ક્યાં જાય છે તે રહસ્યમય છે.
લોકોએ જણાવ્યું કે, તેમની મહેનતની કમાણીમાંથી લાખો રૂપિયા ખર્ચીને મકાનો લીધા છે, જે તેમના માટે ભાવનાત્મક બાબત છે. આજે તેમને પોતાનો નિર્ણય ખોટો લાગી રહ્યો છે કે આવા ડેવલોપિંગ એરિયામાં ઘર લઈને ભૂલ કરી છે. એક ટેક્સપેયર નાગરિક તરીકે તેમને બેઝિક જરૂરિયાતો જેવી કે રોડ, રસ્તા અને ગટરની લાઈન ન મળવી એ ભાજપના લાંબા શાસન પર પ્રશ્નાર્થ ઊભો કરે છે અને સરકારની કાર્યક્ષમતા સામે સવાલો ઉભા કરે છે.
ગુજરાતની આ નદીમાં આવ્યું પૂર, જાફરાબાદમાં કોઝવે પાણીમાં ગરકાવ, જુઓ Video