ગુજરાત વિદ્યાપીઠમાં સત્તામંડળ બદલાયા બાદ લેવાયેલા નિર્ણયો હંમેશાં ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે વધુ એક વાર ગુજરાત વિદ્યાપીઠના આશ્રમ રોડ સ્થિત કેમ્પસના પ્રવેશ દ્વારને લઈને લેવાયેલ નિર્ણય ચર્ચાનું વિષય બન્યો છે. અચાનક જ વિદ્યાપીઠનો મુખ્ય પ્રવેશ દ્વાર ઉપયોગમાં લેવાનું બંધ કર્યું છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
વર્ષ 1920 માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધી વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને મુલાકાતઓની અવરજવર માટે આશ્રમ રોડની પાસે અડીને આવેલ મુખ્ય પ્રવેશવાનો ઉપયોગ થતો હતો. પરંતુ હવે વિદ્યાપીઠના સત્તાધીશો દ્વારા ટ્રાફિક અને સલામતીનું કારણ હાથ ધરીને આ ગેટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આમ હવે વિદ્યાર્થીઓ 103 વર્ષથી ખુલ્લા રહેલા મુખ્ય પ્રવેશ દ્વારને બદલે અન્ય દરવાજેથી વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવશે.
ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં કુલ ચાર ગેટ આવેલા છે. જે પૈકી અત્યાર સુધી આશ્રમ રોડ પાસેનો ગેટ અને સ્નાનાગાર ગૃહ તરફનો ગેટ કાર્યરત હતો. પરંતુ હવે મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. અને ખાદી ભંડાર પાસેનો પ્રવેશ દ્વાર ખોલવામાં આવ્યો છે.
પરિવર્તનના નામે લેવાઈ રહેલ નિર્ણયો અંગે સત્તાધીશોને પૂછતાં આ માટે ટ્રાફિકનુ કારણ જણાવ્યુ હતુ, સાથે જ રોંગ સાઈડનો ઉપયોગ વિદ્યાર્થીઓ દ્વારા વધવાનુ પણ કારણ જણાવ્યુ હતુ. આ અંગે વિદ્યાપીઠના કુલનાયક ભરત જોશીએ જણાવ્યું કે, રસ્તાની અડીને મુખ્ય પ્રવેશ દ્વારા આવેલો છે. જેથી ટ્રાફિકની સમસ્યા અને વિદ્યાર્થીઓની સુરક્ષા એ મહત્વની બાબત છે. મુખ્ય રસ્તા હોવાથી અહીં વાહનની અવરજવર પણ વધારે જોવા મળતી હોય છે.
ઉપરાંત ઇન્કમટેક્સ તરફ જવા માટે લોકો રોંગ સાઈડનો ઉપયોગ પણ કરતા હોવાનું ધ્યાન આવ્યું હતું. કેમકે વિદ્યાપીઠના પ્રવેશવાની જમણી બાજુ જ 100 મીટરની અંદર જ ટર્ન લઈ શકાય છે, જેથી અને વિદ્યાર્થીઓ રોંગ સાઈડ માંથી જ વળાંક લેવાનું પસંદ કરતા હતા. પરિણામે મુખ્ય પ્રવેશ વારને બંધ કરવામાં આવ્યો છે અને હવે એની બાજુમાં જ રહેલ ખાદી ભંડાર તરફનો ગેટ શરૂ કરવામાં આવે છે. ઉપરાંત સ્નાનાગાર ગૃહ તરફનો વિસ્તાર ચાલુ રાખવામાં આવશે.