રાજ્યમાં મોંઘવારીએ (Inflation) માઝા મૂકી હોય તેમ એક બાદ એક અલગ અલગ વસ્તુના ભાવ વધી રહ્યા છે. જેને લઈને લોકોએ શુ ખાવું શું ન ખાવું તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કારણકે ગરમી વચ્ચે રાહત આપતા લીંબુના ભાવ (Lemon prices) થોડા દિવસ પહેલા આસમાને હતા જેના ભાવ હજુ પણ વધુ છે. જે લીંબુ લોકોની થાળી માંથી ગાયબ થયા છે. તે જ રીતે ગરમી વચ્ચે બનતા અથાણાના ભાવ પણ આસમાને છે. કેમ કે અથાણાની દરેક વસ્તુમાં હાલ ભાવ વધારો થયો છે. અને તે પણ સામાન્ય નહિ પણ 40 ટકાથી લઈને બમણો ભાવ વધારો છે. જે ભાવ વધારાના કારણે બજારો મંદ પડ્યા છે. જે ભાવ વધારા પાછળ વેપારીઓ ગત વર્ષે પડેલ કમોસમી વરસાદને જવાબદાર ઠેરવી રહ્યા છે.
કેટલો થયો ભાવ વધારો?
અથાણાં માટે વપરાતી રાજાપુરી અને તોતા કેરીના ભાવ લગભગ બમણાં થઈ ગયા છે. ગત વર્ષે રાજાપુરીનો ભાવ કિલોએ 45 રૂપિયા હતો જે વધીને આ વર્ષે 80 આસપાસ જ્યારે તોતા કેરીનો ભાવ 25ના બદલે રૂ.60એ પહોંચી ગયો છે. આ સાથે તેલ પણ મોંઘું થયું હોવાથી અથાણાંનું બજેટ ખોરવાયું છે. ગત વર્ષની સરખાણીએ અથાણાંમાં 30થી 50 ટકાનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદને લીધે અથાણાં બનાવવાની કેરીનું આગમન મોડું થયું છે. તેમજ અથાણાં બનાવવાની સિઝન એપ્રિલના મધ્યથી શરૂઆત થવાની જગ્યાએ મેના પ્રથમ સપ્તામાં કેરીઓ આવી છે. તો આ અથાણામાં ઉપયોગમાં લેવાતા મસાલાના ભાવમાં 40 ટકા સુધીનો વધારો થયો છે. બીજી તરફ પ્રતિકિલોએ રૂ. 50થી વધુનો વધારો થયો છે. જેમાં મરચું 100 થી 125 હવે 225 રૂપિયે કિલો. હળદર 75 થી 80 હતા હવે 120 રૂપિયે કિલો. ધાણી 80 થી 150 રૂપિયે કિલો અને જીરુ 150 થી 225 થી 240 રૂપિયે કિલો. તો સરસિયા તેલ અને રાઈના તેમજ મેથીના કુરિયા અને ગોળ અને ખાંડના ભાવમાં પણ વધારો થયો.
આ વધારાએ ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે. અને તેમાં પણ જે લોકો બારે માસ માટેનું અથાણું બનાવી રાખે છે તેજ જૈનમાં સૌથી વધુ અથાણું ખવાય છે તે તમામ લોકોને તેની અસર પડી છે. અને પહેલા કરતા બમણા ભાવે અથાણું થતું હોવાનું લોકો કહી રહ્યા છે. એટલું જ નહીં પણ હાલમાં લોકો પોતાના ઘર સાથે બહાર પણ અથાણા ઓર્ડરથી બનાવી મંગાવી રહ્યા છે. જેમાં પણ ભાવ વધારો નોંધાયો છે. જેના કારણે સિઝન વચ્ચે લોકોની થાળી માંથી અથાણા ગાયબ થઈ રહ્યા છે. જે ભાવ વધારો ઓછો થાય તેવી લોકોની માંગ છે. જેથી લોકો સિઝનની વસ્તુનો લાભ લઇ શકે.