Ahmedabad Breaking News : મેડિકલ અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક થયો ગુમ, જુઓ Video

અમદાવાદનો મેડિકલ વિદ્યાર્થી ધ્વનિત રાજદીપ જોર્જિયામાં 9 દિવસથી ગુમ છે. પરિવારનો આરોપ છે કે પીજી સંચાલકોએ તેને બંધક બનાવી માનસિક ત્રાસ આપ્યો હતો અને પૈસાની માંગણી કરી હતી.

Ahmedabad Breaking News : મેડિકલ અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક થયો ગુમ, જુઓ Video
| Edited By: | Updated on: May 23, 2026 | 5:34 PM

અમદાવાદનો મેડિકલ વિદ્યાર્થી ધ્વનિત રાજદીપ જોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત બન્યો છે. વિદેશમાં અભ્યાસ અર્થે ગયેલો ધ્વનિત રાજદીપ છેલ્લા નવ દિવસથી પોતાના પરિવારના સંપર્કમાં નથી. ધ્વનિત યુરોપના જોર્જિયાના ત્બિલિસી શહેરમાં આવેલી કોકાસસ મેડિકલ યુનિવર્સિટીમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેનો ફોન 14 તારીખ બપોરે દોઢ વાગ્યાથી સ્વીચ ઓફ આવી રહ્યો છે.

ધ્વનિતના પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના મતે, ધ્વનિત જ્યાં પેઇંગ ગેસ્ટ (PG) તરીકે રહેતો હતો ત્યાંના સંચાલકો અનિલ, તેની ગર્લફ્રેન્ડ માન્યા અને પાર્ટનર ઝાંકી દ્વારા તેને હેરાન કરવામાં આવતો હતો. જ્યારે ધ્વનિતે PG ખાલી કરવાનું નક્કી કર્યું ત્યારે સંચાલકોએ તેની ડિપોઝિટ પરત ન આપી અને તેને બંધક બનાવી દીધો.

તેઓએ તૂટેલા દરવાજા અને બેડના બહાને ધ્વનિત પાસેથી પૈસાની માંગણી કરી હતી. પરિવારે જણાવ્યું કે અગાઉ પણ આ જ PG સંચાલકોએ એક છોકરીને આવી જ રીતે હેરાન કરી હતી, જેના કારણે તે જોર્જિયા છોડીને ભાગી ગઈ હતી. ધ્વનિતે આ બાબતની જાણ તેના પરિવારને કરતા તેને તાત્કાલિક ત્યાંથી નીકળી જવાની સલાહ આપવામાં આવી હતી.

જ્યારે ધ્વનિત નવા રૂમમાં પોતાનો સામાન લઈ અમદાવાદ આવવા નીકળ્યો, ત્યારે માત્ર 20 સેકન્ડમાં જ તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો અને ત્યારથી તેનો કોઈ સંપર્ક થયો નથી. પરિવારે જણાવ્યું કે ધ્વનિત એક તેજસ્વી વિદ્યાર્થી હતો, જેણે ક્યારેય 90 ટકાથી ઓછા ગુણ મેળવ્યા ન હતા અને તેણે અમેરિકન મેડિકલ જર્નલમાં લેખ પણ લખ્યા હતા. ધ્વનિત માનસિક ત્રાસથી પીડાતો હોવાથી તેણે રૂમ બદલવાનું નક્કી કર્યું હતું.

પરિવારે ભારતમાં શોભનાબેન બારૈયા અને દિનેશભાઈની મદદ લીધી હતી. ભારતીય દૂતાવાસે જોર્જિયન દૂતાવાસને જાણ કરી, અને જોર્જિયન દૂતાવાસે સ્થાનિક પોલીસને જાણ કરી. કોલેજ દ્વારા પણ પોલીસ ઓથોરિટીને જાણ કરીને ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ધ્વનિતનો બીજો ભાઈ પણ જોર્જિયા પહોંચી ગયો છે અને તેણે પણ ફરિયાદ નોંધાવી છે. જોકે, જોર્જિયન પોલીસનો પ્રતિભાવ નિરાશાજનક રહ્યો છે.

નવ દિવસ વીતી ગયા હોવા છતાં, પોલીસે કોઈ માહિતી આપી નથી અને માત્ર “જોર્જિયન કાયદા મુજબ અમે તમને કોઈ માહિતી આપી શકતા નથી” તેવો જવાબ આપ્યો છે. પરિવારે ધ્વનિતના બંને આઈફોનના IMEI નંબર, ફોન નંબર, બેંક ડિટેલ, એડમિટ કાર્ડ અને કોલેજ કાર્ડ સહિતની તમામ વિગતો પોલીસને આપી હોવા છતાં કોઈ પ્રગતિ થઈ નથી.

ધ્વનિતની માતા, જે ગુજરાત સરકારના કર્મચારી છે, તેમણે ગુજરાત સરકાર અને ભારત સરકારને ભાવુક અપીલ કરી છે. તેમની એકમાત્ર માંગ છે કે તેમનો દીકરો સુરક્ષિત ઘરે પરત આવે. પરિવાર આશા રાખે છે કે સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે અને ધ્વનિતને શોધી કાઢવામાં મદદ કરવામાં આવે.

અમદાવાદના મકરબા પાસે સોલિટેર બિલ્ડીંગમાં ભીષણ આગ, જુઓ Video

Published On - 5:34 pm, Sat, 23 May 26

Follow Us