Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University) RSSનો એક દિવસીય સંગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં RSS ના વડા મોહન ભાગવત (RSS Chief Mohan bhagavat) સહિતના પ્રચારકો ઉપસ્થિત રહેશે. ગુજરાત યુનિવર્સિટીએ સંઘના કાર્યક્રમ માટે હોસ્ટેલ અને સેનેટ હોલ આપતા વિવાદ વણસ્યો હતો. શૈક્ષણિક સંસ્થામાં રાજકીય કાર્યક્રમને મંજૂરી અપાતા NSUI એ યુનિવર્સિટી ટાવર ખાતે દેખાવો કર્યા. એટલું જ નહીં યુનિવર્સિટી ટાવરની મુખ્ય ગેલેરીમાં અશોભનીય શબ્દો સહિતના લખાણો લખી વાઇસ ચાન્સેલરની ચેમ્બરમાં ધરણા યોજી વિરોધ (NSUI Protest) નોંધાવ્યો.
ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ કરતા NSUI ના કાર્યકર્તાઓ એવું તો ભાન ભૂલ્યા કે યુનિવર્સિટી ટાવરમાં જ નવી દીવાલો પર કલર સ્પ્રે મારી તેને બગાડવાનું કામ કર્યું. તમને જણાવી દઈએ કે, ગુજરાત યુનિવર્સિટીમાં RSS નો એક દિવસીય સંગોષ્ઠી ‘સ્વાધીનતાથી સ્વતંત્રતા સુધી’ નું આયોજન કરાયું છે. જેના માટે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ અને સેનેટ હોલ ભાડેથી આપવામાં આવ્યા છે. એક તરફ હોસ્ટેલ માં વિદ્યાર્થીઓને એડમિશન અપાતા નથી અને બીજી તરફ સંઘના પ્રચારકો માટે હોસ્ટેલ ફળવતા NSUI એ દેખાવો કર્યા. જેમાં વાઇસ ચાન્સેલર માટે અશોભનીય શબ્દો વપરાયા તેમજ વીસી ઓફિસમાં આક્રમક દેખાવો કરાયા. NSUI ની માંગ છે કે ગુજરાત યુનિવર્સિટીમાં રાજકીય કાર્યક્રમો (Political programme) માટે જગ્યા અને હોસ્ટેલ ના ફાળવવી જોઈએ.
મહત્વનું છે કે ગઈકાલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભની ઉપસ્થિતિમાં NSUI એ ‘વિદ્યાર્થી સંવાદ’ કાર્યક્રમ રાખ્યો હતો. જેના માટે છેલ્લી ઘડીએ યુનિવર્સીટીએ કાર્યક્રમને મંજૂરી આપ્યા બાદ મંજૂરી પરત લીધી હતી. અને હવે આરએસએસ ના કાર્યક્રમને મંજૂરી આપવામાં આવતા દેખાવો કરાયા હતા. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા (GTU Chancellor Himanshu pandya) એ જણાવ્યું કે યુનિવર્સીટીના અલગ અલગ ભવનમાં કાર્યક્રમો ચાલ્યા જ કરતા હોય છે. મુખ્ય અતિથિને આમંત્રણ આપવાનું કામ જે- તે વિભાગ કરે છે. ગુજરાત યુનિવર્સિટીએ કોઈપણ લીડરને આમંત્રિત નથી કર્યા.