
ગુજરાતમાં ચોમાસું મધ્ય તબક્કામાં પહોંચ્યું હોવા છતાં અનેક વિસ્તારોમાં વરસાદનો વિરામ જોવા મળ્યો હતો. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ખાસ કરીને ભાવનગરના મહુવા તાલુકા, રાજકોટ, ભરૂચ અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
લાંબા સમયથી વરસાદ ખેંચાતા ચિંતિત ખેડૂતો માટે આ છૂટોછવાયો વરસાદ આશાનું કિરણ બન્યો છે, કારણ કે વરસાદના અભાવે ખેતી પર સીધી અસર પડી રહી હતી. લોકો હજુ પણ સારા વરસાદની અપેક્ષા રાખી રહ્યા છે, અને આ ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ થવાની શક્યતા છે. અમદાવાદમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, અને ખાસ કરીને આવતીકાલે રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથનું મેઘરાજા સ્વાગત કરે તેવી સંભાવના છે. 17, 18 અને 19 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને તેને અડીને આવેલા ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપી પવન (squally winds) ફૂંકાવાનું પૂર્વાનુમાન પણ વ્યક્ત કરાયું છે. ધીમો પણ સતત વરસાદ થાય તેવું અનુમાન છે.
અમદાવાદમાં આગામી 7 દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સમગ્ર ગુજરાતમાં પણ થન્ડરસ્ટોર્મ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. રાજ્યમાં હાલમાં લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સક્રિય મોન્સૂન ટ્રફ જેવા હવામાન પરિબળો સક્રિય હોવાથી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદ શહેરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે 16 જુલાઈએ અમદાવાદ જિલ્લામાં થન્ડરસ્ટોર્મ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 162.8 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન સરેરાશ 226.1 મિમી વરસાદ થવો જોઈએ. એટલે કે, હાલ રાજ્યમાં સામાન્યની સરખામણીએ અંદાજે 28 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી