TET-TAT ઉમેદવારોને શિક્ષણમંત્રીએ આપ્યો ઉડાઉ જવાબ, કહ્યું – જ્ઞાનસહાયકની વૈકલ્પિક વ્યવસ્થામાં જોડાઉ હોય તો જોડાવો નહીં તો ઘરે બેસો

Ahmedabad: છેલ્લા લાંબા સમયથી શિક્ષકોની કાયમી ભરતીની રાહ જોઈ રહેલા TET-TAT પાસ ઉમેદવારોએ આખરે થાકી-હારીને રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરનો ઘેરાવ કર્યો અને ત્રણ ત્રણ મહિનાથી ભરતી કેમ કરાતી નથી. તેવો સવાલોનો મારો ચલાવ્યો તો મંત્રી ઉમેદવારોને ઉદ્ધતાઈથી ઉડાઉ જવાબ આપતા જોવા મળ્યા. શું કહ્યુ માનનીયે વાંચો..

| Edited By: | Updated on: Sep 10, 2023 | 7:39 PM

Ahmedabad: TET-TAT પાસ ઉમેદવારોની કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતીનો વિરોધ યથાવત છે. વિરોધ કરી રહેલ ઉમેદવારો શિક્ષણમંત્રીને રજુઆત કરવા ગયા તો તેમને શિક્ષણમંત્રી કુબેરસિંહ ડીંડોરે ઉડાઉ જવાબ આપતા કહ્યું કે જ્ઞાન સહાયક એક વૈકલ્પિક વ્યવસ્થા છે. તમારે જોડાઉ હોય તો જોડાઓ નહીં તો ઘરે બેસો. રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં કરાર આધારિત ભરતી કરવા માટે ગયા મહિને જ્ઞાન સહાયકની 11 મહિના કરાર આધારિત શિક્ષકની નોકરીની જાહેરાત કરવામાં આવી હતી. જેનો ટેટ-ટાટ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે શિક્ષણમાં કરાર પ્રથા ના હોવી જોઈએ અને કરાર આધારિત ભરતી રદ કરી કાયમી ભરતી કરવામાં આવે.

વ્યવસ્થામાં ન જોડાવું હોય તો ઘરે બેસી રહોઃ કુબેર ડિંડોર

આજરોજ ઉમેદવારો રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરસિંહ ડીંડોરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં શિક્ષણ મંત્રીએ ઉમેદવારોને સંભળાવી દીધું કે જ્ઞાનસહાયક ભરતી એ એક વૈકલ્પિક વ્યવસ્થા છે. જેમાં તમારે જોડાવું હોય તો જોડાઓ નહીં તો ઘરે બેસી રહો. ભવિષ્યમાં સરકાર કાયમી ભરતી લાવશે. અગાઉ જેમ પ્રવાસી શિક્ષકની વ્યવસ્થા હતી એવી જ આ જ્ઞાન સહાયકની વ્યવસ્થા છે. શિક્ષણમંત્રીની આવી નિવેદનબાજી બાદ ઉમેદવારો પણ કહી રહ્યા છે કે રેગ્યુલર ભરતીની વાત છેલ્લા ત્રણ મહિનાથી કહેવામાં આવી રહી છે. પરંતુ સરકાર કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતી તરફ જ આગળ વધી રહી છે.

ભાજપના ધારાસભ્યએ પણ કરાર આધારિત ભરતી રદ કરવા પત્ર લખ્યો

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ડૉ.હસમુખ પટેલે પણ રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરને પત્ર લખી સરકારી શાળાઓમાં શિક્ષકોની કાયમી ભરતી કરવા માંગ કરી છે. હસમુખ પટેલે પત્રમાં લખ્યું છે કે કરાર આધારિત ભરતી બાળકો અને શિક્ષક બનવા માંગતા ઉમેદવારોના હિતમાં નથી. જ્ઞાનસહાયક યોજના અમલમાં આવશે તો ભાવિ શિક્ષકોનું ભવિષ્ય અંધકારમય બનશે. માટે ગુજરાતના બાળકોના હિતમાં કરાર આધારિત ભરતી ના થવી જોઈએ અને ટેટ-ટાટ પાસ ઉમેદવારોને ન્યાય મળે તે માટે સરકારે કાયમી ભરતી કરવી જોઈએ.

આ પણ વાંચો:  જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી રદ કરવાની માગ સાથે TET-TAT પાસ ઉમેદવારોએ નોંધાવ્યો વિરોધ, કોંગ્રેસ કાયમી ભરતી માટે આપશે સાથ: મનિષ દોશી 

કુબેર ડિંડોરે ગુજરાતના યુવાનોનું અપમાન કર્યુંઃ શક્તિસિંહ

આ તરફ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે પણ શિક્ષણમંત્રીના ઉદ્ધતાઈપૂર્ણ નિવેદનને વખોડતા કહ્યુ કે કુબેર ડિંડોરે ગુજરાતના યુવાનોનું અપમાન કર્યુ છે.  લોકોએ મત આપીને તમને સત્તા અપાવી તેનો અર્થ એવો નથી કે તમે યુવાનોનું અપમાન કરો. પરંતુ ભાજપનો અહંકાર ગુજરાતીઓ જ તોડશે.

કુબેર ડિંડોરનો વાણીવિલાસ કરવાનો મુદ્દો ગંભીરઃ મનિષ દોશી

કોંગ્રેસના મનિષ દોશીએ કુબેર ડીડોરના નિવેદનને અસંવેદનશીલ ગણાવતા કહ્યુ કે કુંબેર ડીંડોરનો વાણીવિલાસ એ ગંભીર મુદ્દો છે અને સરકાર ત્વરીત અસરથી TET-TAT પાસ ઉમેદવારોના હિતમાં નિર્ણય લે અને કરાર આધારિત ભરતીનો નિર્ણય રદ કરે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 7:38 pm, Sun, 10 September 23