
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બહારથી ખરીદેલા ખીરામાંથી ઢોંસા ખાધા બાદ બે બાળકીના મોતનો મામલો દિવસેને દિવસે વધુ જટીલ બનતો જઈ રહ્યો છે. આ ઘટનાને લઈને પોલીસ તપાસ તેજ બનાવી છે અને પરિવારના સભ્યોની સઘન પૂછપરછ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ બાળકીના પિતા વિમલ પ્રજાપતિની લગભગ બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી, જ્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ તેમની અલગથી પૂછપરછ કરવામાં આવી છે.
વિમલ પ્રજાપતિએ પૂછપરછ દરમિયાન પોતે બાળકીની હત્યા કરી ન હોવાનો દાવો કર્યો છે અને ખાવાની કોઈ વસ્તુમાં ઝેરી પદાર્થ હોવાના કારણે આ ઘટના બની હોવાનું જણાવ્યું છે. બીજી તરફ, બાળકીની માતા ભાવના હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમને રજા મળ્યા બાદ પોલીસ તેમની પણ વિગતવાર પૂછપરછ કરશે. આ સમગ્ર કેસમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે કેસનો મહત્વનો તારણ આપી શકે છે.
આ કેસમાં વધુ એક શંકાસ્પદ મુદ્દો માતાની ડાયરીમાંથી સામે આવ્યો છે, જેમાં પુત્ર પ્રાપ્તિને લઈને કેટલીક નોંધો મળતાં તપાસનો દિશા બદલાઈ રહ્યો છે. પરિવારના નિવેદનોમાં પણ અસંગતતા જણાતા પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
બાળકીઓના પિતાનું એક જ રટણ છે કે બાળકીઓની હત્યા નથી કરી. આ ઉપરાંત, પોલીસ હવે આ કેસનો ભેદ ઉકેલવા માટે લાઈ ડિટેક્શન ટેસ્ટ (Lie Detection Test) કરવાની તૈયારીમાં છે. બાળકીના માતા-પિતા તેમજ દાદા-દાદીનો આ ટેસ્ટ કરવામાં આવશે. તેના માટે પોલીસ FSLમાં રિપોર્ટ કરીને જરૂરી મંજૂરી માંગશે. અધિકારીઓના જણાવ્યા મુજબ FSL રિપોર્ટ આવ્યા બાદ જ લાઈ ડિટેક્શન ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ ઘટના શહેરમાં ચકચાર મચાવતી બની છે અને લોકોમાં પણ ભારે ચિંતા જોવા મળી રહી છે. હવે બધાની નજર તપાસ એજન્સીઓના આગામી પગલાં અને FSL રિપોર્ટ પર ટકી છે, જે આ રહસ્યમય મોત પાછળનું સત્ય બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો- આણંદના કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પૈસા, મતદારો પાસેથી ઉઘરાવ્યો 1-1 રુપિયો, જુઓ-Video
Published On - 1:23 pm, Sat, 11 April 26