
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાને લઈને પોલીસ તંત્રએ અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. રથયાત્રાના 16 કિલોમીટર લાંબા રૂટ પર આશરે 30 હજાર પોલીસ જવાનો તૈનાત રહેશે. સમગ્ર રૂટ પર 100 જેટલા ડ્રોન કેમેરા, AI આધારિત ફેસ રેકગ્નિશન કેમેરા અને સઘન પેટ્રોલિંગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી યાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થઈ શકે.
રથયાત્રા દરમિયાન વધુ ભીડવાળા વિસ્તારોમાં AI આધારિત ફેસ રેકગ્નિશન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર રૂટ પર 100 જેટલા ડ્રોન કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. જો કોઈ શંકાસ્પદ ડ્રોન જોવા મળશે તો તેને એન્ટી-ડ્રોન ગન સિસ્ટમ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવશે.
રથયાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે 2 વાગ્યાથી ટ્રાફિક પોલીસના જવાનો વિવિધ સ્થળોએ ફરજ પર રહેશે. રૂટ પર 23 ક્રેન, 9 ઇન્ટરસેપ્ટર વાહનો, એક પેટ્રોલિંગ કાર અને CCTVથી સજ્જ 18 વાહનો તૈનાત રહેશે, જેથી ટ્રાફિક વ્યવસ્થિત રીતે સંચાલિત થઈ શકે.
રથયાત્રાની સુરક્ષા માટે ઉચ્ચ અધિકારીઓથી લઈને મેદાની સ્ટાફ સુધીનો વિશાળ કાફલો ફરજ પર રહેશે. તેમાં 10 IG/DIG, 1 JCP, 42 DCP, 93 ACP, 303 PI અને 673 PSI સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ જોડાશે. ઉપરાંત 15 SRP કંપની, 800 ટ્રાફિક પોલીસકર્મી, 350 TRB જવાન, 300 હોમગાર્ડ અને 1,500થી વધુ પોલીસકર્મી પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે.
રથની સાથે ક્રાઈમ બ્રાન્ચની મુવિંગ ટીમ સતત સુરક્ષા સંભાળશે. ઉપરાંત ચેતક કમાન્ડોની ત્રણ ટીમો પણ સમગ્ર યાત્રા દરમિયાન તૈનાત રહેશે. પોલીસનો મુખ્ય ઉદ્દેશ દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
Published On - 8:56 am, Thu, 16 July 26