
અમદાવાદ કુમકુમ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણને ચંદનના વાઘાનો શણગાર કરવામાં આવ્યો. આ શણગાર તૈયાર કરવા માટે છેલ્લા 7 દિવસથી સતત તૈયારી ચાલી રહી હતી. કિશોરો અને યુવાનો દ્વારા પથ્થર પર ચંદન ઘસીને ચંદન તૈયાર કરવામાં આવ્યું હતું.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે ભગવાનને ચંદનના વાઘાના શણગાર અર્પણ કર્યા બાદ, બચેલ ચંદનમાંથી ગોટીઓ તૈયાર કરવામાં આવે છે. આ ગોટીઓથી સંતો અને હરિભક્તો શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં શ્રદ્ધાથી તિલક કરે છે.
વૈશાખ માસમાં ભક્તો ભગવાનને પ્રસન્ન કરવા માટે ખૂબ સેવાભાવથી વિવિધ ઉપક્રમાં જોડાય છે. આ સમય દરમિયાન તીવ્ર ગરમી, લગભગ 42 થી 44 ડિગ્રી કે તેથી વધુ તાપમાન રહે છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો પંખા, એરકૂલર કે એરકન્ડીશનરનો ઉપયોગ કરે છે. મંદિરોમાં પણ ભગવાનને ઠંડક મળે તે માટે AC અને પાણીના ફુવારા ગોઠવવામાં આવે છે.
પરંતુ પૂર્વકાળમાં જ્યારે આ સાધનો ઉપલબ્ધ ન હતા, ત્યારે ભક્તો પોતે હાથે પંખા હાથમાં લઈને ભગવાનને ઠંડક પહોંચાડતા અને ચંદનના લાકડાને પથ્થર પર ઘસી-ne તેનાથી બનેલા લેપથી ભગવાનના વાઘાના શણગાર કરતા. આવા શણગારને ચંદનના વાઘા કહેવાય છે.
સ્વામિનારાયણ ભગવાને પોતે વચનામૃતના અંતિમ પ્રકરણના 23મા વચનામૃતમાં ઋતુ અનુસાર ભગવાનની સેવા કરવાની તક આપી છે. તે અનુસાર કુમકુમ મંદિરમાં છેલ્લા 40 વર્ષથી ચંદનના વાઘાના શણગાર કરવામાં આવે છે.
અખાત્રીજનું મહત્વ વિશેષ છે:
જગન્નાથપુરી અને અમદાવાદમાં યોજાતી રથયાત્રાઓના રથોની તૈયારીઓ આજના દિવસે શરૂ થાય છે.
આ દિવસે પરશુરામ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું.
સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાં ચંદનના વાઘાનો આરંભ આજના પાવન દિવસે કરવામાં આવે છે.