Plane Crash: “એક આહ ભરી હોગી, હમને ન સુની હોગી..જાતે જાતે તુમને…” ચીસો.. ચિત્કાર… અને 1000 ડિગ્રી કરતા પણ વધુ તાપમાનમાં ભડથુ થઈ ગયા 260 મૃતદેહો

અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલે જોયેલી એ ગોજારી બપોરનો સમય, જ્યારે સિવિલ હોસ્પિટલનુ પરિસરમાં એકાએક એમ્બ્યુલન્સની સાયરનોથી વાગવા માંડે છે. લોકો કંઈ સમજે અને વિચારે એ પહેલા તો જોતજોતામાં સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં લાશોનો ખડકલો થવા લાગે છે. એક બાદ એક એમ્બ્યુલન્સ સળગેલા મૃતદેહો લઈને આવી રહી છે. હોસ્પિટલ સ્ટાફ થોડી સેકન્ડો માટે સૂજબુઝ ગુમાવી દે છે કે શરૂઆત ક્યાંથી કરવી.

Plane Crash: એક આહ ભરી હોગી, હમને ન સુની હોગી..જાતે જાતે તુમને... ચીસો.. ચિત્કાર... અને 1000 ડિગ્રી કરતા પણ વધુ તાપમાનમાં ભડથુ થઈ ગયા 260 મૃતદેહો
| Updated on: Jun 12, 2026 | 7:47 PM

એ દિવસે સમગ્ર હોસ્પિટલ પરિસરમાંથી માથુ ફાડીને રાખી દે એવી સળગેલા મૃતદેહોની દુર્ગંધ આવી રહી છે. સતત એમ્બ્યુલન્સની આવન-જાવન શરૂ જ છે અને પોસ્ટમોર્ટમ રૂમમાં લાશોના ખડકલા થઈ રહ્યા છે. સળગેલી લાશો કહેવી કે લાશોના ટૂકડા કહેવા એ પણ એ સમયે ડૉક્ટરો નક્કી નથી કરી શક્તા. કારણ કે મૃતદેહો એટલી હદે સળગેલી હાલતમાં હતા કે કોઈનું માત્ર ધડ હતુ, કોઈનો માત્ર હાથ, કોઈનુ માત્ર મસ્તક. આવા દૃશ્યો હોસ્પિટલમાં કામ કરનારા એ સ્ટાફે ભાગ્યે જ તેની જિંદગીઓમાં અગાઉ ક્યારેય જોયા હતા.

આજથી બરાબર એક વર્ષ પહેલા અમદાવાદમાં ઘટેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયુ છે. વેદનાનું, પીડાનું, સ્વજનોને ગુમાવ્યાના આઘાતનું એક વર્ષ. અમદાવાદમાં ઘટેલી દુર્ઘટનાએ હતભાગી પરિવારોને એવા ઉજરડા આપ્યા છે જે ક્યારેય રૂઝાઈ શકે તેમ નથી. લંડન માટે ઉડાન ભરનારી એ ફ્લાઈટમાં માત્ર પેસેન્જરો નહીં તેમની સાથે અનેક એવા સપના સવાર હતા જે તેમની આવતીકાલ ઉજ્જવળ બનાવવા માટે જઈ રહ્યા હતા. કોઈ કારકિર્દી માટે જઈ રહ્યુ હતુ તો કોઈ માતા તેના દીકરા પાસે જઈ રહી હતી, કોઈ પિતા તેના પરિવાર પાસે જઈ રહ્યો હતો. કોઈ આખેઆખો પરિવાર બાળકો સાથે એક નવી શરૂઆત કરવા માટે જઈ રહ્યો હતો. એ શરૂઆત અધૂરી રહી ગઈ, એ તમામ સપનાઓ વિખેરાઈ ગયા અને રહી ગઈ માત્ર મરણ ચીસો, અસંખ્ય આંખોમાં આંસુ, પારાવાર વેદના, અને આજે પણ સ્વજનોનું નામ પડતા જ આવી જતા એ ડુસકાઓ અને ગળે બાજી જતા ડુમા..

પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ- સ્વજનોની આંખમાં નથી સૂકાયા આંસુ

અમદાવાદે જોયેલો એ દિવસ હતો 12 જૂન 2025. એ જ દિવસે અમદાવાદ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પરથી ઍર ઈન્ડિયાની AI171 ફ્લાઈટે લંડન માટે ઉડાન ભરી હતી. બપોરના 1.38 કલાકે પ્લેને ઉડાન ભરી અને માત્ર 32 સેકન્ડમાં પ્લેન ક્રેશ થયુ અને મેઘાણીનગર સ્થિત આવેલી બી.જે મેડિકલ હોસ્ટેલના બિલ્ડીંગ સાથે અથડાયુ અને ક્રેશ થઈ ગયુ. આશરે 200 મીટરની ઉંચાઈએ થી આ પ્લેન ક્રેશ થયુ હતુ. એ સમયે પ્લેનમાં 12 ક્રુ મેમ્બર સહિત કૂલ 242 મુસાફરો સવાર હતા. માત્ર એક મુસાફરને બાદ કરતા તમામ 241 મુસાફરો આગમાં ભડથુ થઈ ગયા હતા. આ 241 મૃતકોમાંથી એકપણ વ્યક્તિનો આખો મૃતદેહ બચ્યો ન હતો. માત્ર અવશેષો હાથમાં આવ્યા હતા.

જે સમયે પ્લેન ક્રેશ થયુ ત્યારે 1000 ડિગ્રી જેટલુ તેનું તાપમાન હતુ. જે સ્થળે ક્રેશ થયુ ત્યાં 2-3 કિલોમીટર સુધી માત્ર આગ અને ધુમાડા સિવાય કશું જ નજરે પડતુ ન હતુ. ઘટનાને નજરે જોનારા લોકો જણાવે છે કે મૃતદેહો કાઢવા માટે એ જગ્યાએ એટલુ પ્રચંડ તાપમાન હતુ કે તેની આસપાસ ફરકી શકાય તેવી સ્થિતિ ન હતી. રેસ્ક્યુ ટીમે પણ PPE કિટ પહેરીને મૃતદેહો બહાર કાઢવા પડે તેવી સ્થિતિ હતી. પ્લેન ક્રેશ થયુ ત્યારથી બે દિવસ સુધી સતત ઘટનાસ્થળેથી મૃતદેહો શોધવાની જ કવાયત શરૂ હતી. પ્લેનક્રેશની જાણ થતા જ મૃતકોના સ્વજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. હજારો આંખો એક જ આશા સાથે તબીબોની ટીમ સામે જોઈ રહી હતી કે ક્યાંકથી તેમને કોઈ એવુ કહી દે કે તમારુ સ્વજન સલામત છે. પરંતુ ના. સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં સ્વજનોનું આક્રંદ જ સાબિતી આપતુ હતુ કે એકપણ વ્યક્તિ જીવિત નથી બચી.

પ્લેન ક્રેશમાં 260 મૃતકો પૈકી માત્ર 6 ની જ ચહેરાથી ઓળખ થઈ શકી

પ્લેન ક્રેશની એ દુર્ઘટનામાં કૂલ 260 લોકોએ જીવ ગુમાવ્યા. જેમા 242 લોકો પ્લેનમાં સવાર હતા. જેમા વિશ્વાસ કુમાર રમેશ નામના દીવના એકમાત્ર વ્યક્તિ જીવિત બચ્યા હતા. જે હજુ આ આઘાતમાંથી બહાર નથી આવી શક્યા. પ્લેનમાં સવાર મુસાફરોમાં 181 ભારતીયો, 52 બ્રિટીશ નાગરિકો, 7 પોર્ટુગિઝ અને 1 કેનેડિયન નાગરિકો હતા. મૃતકોમાં 19 લોકો નોન પેસેન્જર્સ હતા. જેમાં બીજે મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ, આસપાસ કામ કરતા કર્મચારીઓ અને દુકાનદારોનો સમાવેશ થાય છે. આ મૃતકોમાં સૌથી વધુ નાગરિકો અમદાવાદના હતા અને 29 લોકો આણંદના હતા. અન્ય ગુજરાતના જુદા જુદા જિલ્લાના તેમજ દેશના અલગ અલગ રાજ્યના હતા. પ્લેન ક્રેશની આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે લોકો બહુ બદ્દતર રીતે સળગી ગયા હતા. વિમાન દુર્ઘટનામાં 260 પૈકી 254 લોકોની DNA ટેસ્ટથી અને માત્ર 6 લોકોની ચહેરાથી ઓળખ થઈ શકી હતી. આ દુર્ઘટના થયા બાદ 17 દિવસ સુધી મૃતકોના DNA મેચ કરવાની પ્રક્રિયા ચાલી હતી.

“જે મળે તે એવુ પૂછે છે વળતર તો મળ્યુને… આજે એવુ લાગે છે વળતર લઈને કોઈ પાપ કર્યુ”

આજે એક વર્ષ બાદ પણ સ્વજનોના આંસુ સુકાયા નથી. તેઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી આ દુર્ઘટના માટે જવાબદાર કોણ હતુ અને શા કારણોસર આ દુર્ઘટના સર્જાઈ તેનો તેમને જવાબ નહીં મળે ત્યાં સુધી તેમને કળ નહીં વળે. તેમના સ્વજનોની આત્માને પણ શાંતિ નહીં મળે. આ સ્વજનો મૃતકો સાથે થયેલી છેલ્લી વાતચીતને યાદ કરે છે અને તેમની આંખોમાંથી દ઼ડ-દડ આંસુ વહેવા લાગે છે. અમદાવાદના ભાવેશ મોદી નામના મૃતકની બહેન સુનિતા જણાવે છે કે આ દુર્ઘટનાબાદ 6 મહિના સુધી તે સૂઈ શકી નથી. ઉંઘની ગોળીઓ પણ કામ નથી કરી શકી. આખુ વર્ષ ડિપ્રેશનમાં પસાર થયુ છે. સુનિતા જણાવે છે કે તેમને જે કોઈ મળે તે પૂછે છે કે તમને વળતર તો મળ્યુને? પરંતુ સ્વજન વિના કેવી રીતે જીવી રહ્યા છો એ કોઈ નથી પૂછતું.

સુનિતા કહે છે કે ક્યારેક તો એવુ લાગે છે જાણે આ વળતર લઈને તેમણે મોટુ પાપ કરી નાખ્યુ હોય. ન માત્ર સુનિતા પરંતુ તમામ સ્વજનોની આ જ પીડા છે. લાખો કરોડોના વળતરથી સ્વજન તો પરત નથી આવવાનું. તેની સાથે વિતાવેલી યાદો દિવસ રાત માણસને કોરી ખાતી હોય છે. સ્વજનનો એ વિરહ કોઈ શબ્દોમાં વર્ણવી શકાતો નથી. માત્ર જેમણે ગુમાવ્યા હોય એ અનુભવી શકે છે. એ પીડા વળતરથી ભરપાઈ નથી થતી એ કોઈ સમજી શક્તુ નથી.

કેવી રીતે ઘટી દુર્ઘટના ?

એરઈન્ડિયાના AI171 વિમાને અમદાવાદ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પરથી ભારતીય સમય મુજબ 1.38 એ ઉડાન ભરી હતી અને ઉડાન ભર્યાની માત્ર 32 સેકન્ડમાં પ્લેન ક્રેશ થયુ હતુ. ક્રેશ થવા માટે થ્રસ્ટ નો ઘટાડો પ્રાથમિક કારણ જણાવવામાં આવ્યુ હતુ. 200 મીટર જેટલી ઉંચાઈએ પહોંચ્યા બાદ એન્જિનને ફ્યુલ ન મળતા કામ કરવાનું બંધ કરી દીધુ હતુ. પાયલટે ઘણી મથામણને અંતે રડાર સાથેનો સંપર્ક તૂટે એ પહેલા પાયલોટ દ્વારા MAYDAY કોલ આપ્યો હતો.

જો કે સૌથી મોટુ રહસ્ય આજે પણ અકબંધ છે. દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ એ જાણી નથી શકાયુ કે ટેક ઓફની થોડી ક્ષણોમાં જ બંને એન્જિનની ફ્યુલ કંટ્રોલ સ્વિચીસ Run માંથી CUTOFF સ્થિતિમાં પહોંચી ગઈ જેના કારણે એન્જિનને મળતો ઈંધણનો પૂરવઠો બંધ થઈ ગયો.

પ્લેનના બ્લેકબોક્સમાંથી મળેલા ડેટા અનુસાર ટેકઓફ થયાની થોડી જ સેકન્ડમાં બંને એન્જિનના ફ્યુઅલ કન્ટ્રોલ સ્વિચ ‘રન’ માંથી ‘કટ ઓફ’ સ્થિતિમાં પહોંચી ગઈ હતી, જેના કારણે પ્લેનના બંને એન્જિનને ફ્યુલ મળવાનું બંધ થયુ હતુ અને પ્લેન ઝડપથી ગતિ ગુમાવી દીધી. જે બાદ પાયલટોએ એન્જિનને ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો અને કોકપિટમાંથી ‘મેડે’ કોલ પણ મોકલ્યો હતો. પરંતુ બંને એન્જિન બંધ થઈ જતા પ્લેનને કાબુમાં લેવા માટેની જરૂરી ઉંચાઈ સુધી લઈ જઈ શકાયુ ન હતુ.

શું પ્લેનમાં કોઈ ટેકનિકલ કે ઈલેક્ટ્રીક ખામી હતી?

આ અંગે હજુ સુધી કંઈ જ પુરાવો મળ્યો નથી. જો કે ટેકનિકલ ક્ષતિ હોવાની સંભાવના સંપૂર્ણપણે નકારી પણ ન શકાય કારણ કે દુર્ઘટનાના બરાબર ત્રણ દિવસ પહેલા 9 જૂન 2025 ના રોજ જાળવણી ઈજનેરોઓ વિમાનના કોર નેટવર્કમાં ટેકનિકલ ક્ષતિ નોંધી હતી. જે 787 વિમાનમાં કોમ્પ્યુટર્સને જોડતી મુખ્ય કોમ્યુનિકેશન સિસ્ટમ હતી. ઍર ઈન્ડિયા બોઈંગ 787- 8 ડ્રીમલાઈનર મેઈન્ટેનન્સની અંગે વિમાનની લોગબુક દ્વારા ખૂલાસો થયો છે કે પ્લેનનું મેઈન્ટેનન્સ થતુ હોવાના સત્તાવાર દાવાઓ અને વારંવાર ઈલેક્ટ્રીક તેમજ નેટવર્કની સમસ્યા વચ્ચે તફાવત છે. કોર નેટવર્ક ખામીની ફરિયાદ ઉઠી હતી અને ઈલેકટ્રીક ખામી હોવાની વાત પહેલા જ પ્લેનમાં બેસેલા પેસેન્જર આ દુર્ઘટનાના બરાબર ત્રણ દિવસ પહેલા કરી ચુક્યા હતા.

બદનામ બોઈંગના 108 વર્ષના ઇતિહાસમાં 6000 થી વધુ પ્લેન ક્રેશ થયા

વિશ્વભરમાં અનેક વિમાન દુર્ઘટનાઓ થઈ પરંતુ સૌથી વધુ આઘાતજનક એ છે કે છેલ્લા એક દાયકામાં થયેલી વિમાન દુર્ઘટનાઓમાંથી લગભગ અડધો અડધ પ્લેન દુર્ઘટના બોઈંગ ઍરક્રાફ્ટમાં થઈ. જો ફક્ત ભારતની વાત કરવામાં આવે તો છેલ્લા એક દાયકામાં બે મોટી વિમાન દુર્ઘટના થઈ અને બંને વિમાન બોઈંગના જ હતા. હવે સવાલ એ છે કે જે ઍરક્રાફ્ટ એક સમયે સૌથી વધુ ભરોસાપાત્ર હતા તો હવે સવાલોના ઘેરામાં છે ? કેમ બોઈંગ ઍરક્રાફ્ટની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે.

161.36 અબજ ડૉલરની નેટવર્થ ધરાવતી બોઈંગ કંપની દુર્ઘટનાઓને લઈને બદનામ થઈ ગઈ છે. અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર બોઈંગના 108 વર્ષના ઈતિહાસમાં 6000 થી વધુ પ્લેન ક્રેશ થયા. આ દુર્ઘટનાઓમાં 9000થી વધુ લોકોના મોત થયા. બોઈંગ વિમાનોની 450 થી વધુ દુર્ઘટના થઈ, જેમા બે દુર્ઘટના તો એવી છે કે જેમા 583 લોકો મૃત્યુ પામ્યા હતા. બોઈંગ વિમાનોની સલામતી અને ટેકનિકલ ક્ષતિઓ પહેલા પણ સમાચારોની હેડલાઈન બની ચુકી છે. ક્યારેક ઍરલાઈનની બેટરીની ખામી સામે આવી તો ક્યારેક હવામાં વિમાનનો દરવાજો તૂટી જવો.

બોઈંગ કંપની સામે સવાલ ઉઠાવનારાના આકસ્મિક મૃત્યુ થઈ ગયા

બોઈંગ વિમાનોની સુરક્ષાને લઈને અનેક સવાલ ઉઠ્યા છે, પરંતુ જેમણે પણ ખામીઓને બહાર લાવવાની કોશિષ કરી તેમના મૃત્યુ થઈ ગઈ. બોઈંગના એક એન્જિનિયક જોશુઆ ડીને 737 મેક્સ વિમાનના મેન્યુફેક્ચરિંગ ખામીની વાત કરી હતી તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો અને વર્ષ 2024માં હોસ્પિટલમાં તેનુ મોત થઈ ગયુ. વર્ષ 2019માં બોઈંગની ક્વોલિટી કંટ્રોલ મેનેજર ડૉન બર્નેટે પણ બોઈંગ 787 ડ્રીમ લાઈનર પર સવાલ ઉઠાવ્યો અને કંપની પર કેસ કરી દીધો પરંતુ વર્ષ 2024માં તેનુ પણ મૃત્યુ થઈ ગયુ. બોઈંગની માત્ર પેસેન્જર ફ્લાઈટ નહીં પરંતુ મિલિટ્ર ઍરક્રાફ્ટમાં પણ ખામીઓ જણાઈ છે.

ફ્યૂલ કટ, એન્જિન બંધ, 270 લોકોના મોત માટે જવાબદાર કોણ? શું બંને ફ્યુલ સ્વિચ બંધ થવી શક્ય છે કે બદનામ બોઈંગને બચાવવા માટેનો કારસો છે આ તપાસ રિપોર્ટ?

Published On - 7:41 pm, Fri, 12 June 26

Follow Us