
અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રાને લઈને શહેર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગઈ છે. યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. રથયાત્રાના 16 કિલોમીટર લાંબા રૂટ પર સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આજે રાત્રે 2 વાગ્યાથી જ ટ્રાફિક પોલીસના જવાનો વિવિધ સ્થળોએ ફરજ પર તૈનાત થઈ જશે. સમગ્ર રૂટ પર વાહનવ્યવહાર સરળતાથી ચાલુ રહે અને કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી થઈ શકે તે માટે 23 ક્રેન, 9 ઇન્ટરસેપ્ટર વાહનો, એક પેટ્રોલિંગ કાર તેમજ CCTVથી સજ્જ 18 વિશેષ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.
રથયાત્રાના સુરક્ષા બંદોબસ્ત માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ મેદાનમાં રહેશે. બંદોબસ્તમાં એક સંયુક્ત પોલીસ કમિશનર (JCP), ચાર ડેપ્યુટી પોલીસ કમિશનર (DCP), છ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ACP) અને 18 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ફરજ બજાવશે. ઉપરાંત 30 PSI, 800 ટ્રાફિક પોલીસકર્મીઓ, 300 હોમગાર્ડ જવાનો, 350 TRB જવાનો તેમજ 1,500થી વધુ પોલીસકર્મીઓ સમગ્ર રૂટ પર સુરક્ષા સંભાળશે.
સમગ્ર રથયાત્રા રૂટને કુલ નવ વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે. દરેક વિભાગની દેખરેખ માટે એક PI કક્ષાના અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે, જેથી સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાનું અસરકારક રીતે સંકલન થઈ શકે.
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ રથયાત્રા દરમિયાન જાહેર કરાયેલા ટ્રાફિક ડાયવર્ઝન અને માર્ગદર્શિકાનું પાલન કરે તેમજ શક્ય હોય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે. આથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહેશે અને ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થઈ શકશે.
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેકેજ
Published On - 5:34 pm, Wed, 15 July 26