Ahmedabad: 5 મહિના પહેલા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરની જોય રાઈડ હેલિકોપ્ટર સેવા બંધ કરવામાં આવી હતી. જેને આજરોજ રાજ્યના ઉડ્ડયન મંત્રી જગદીશ વિશ્વકર્માના જન્મદિવસે પુનઃ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મનપા સંચાલિત શાળાઓના તેજસ્વી તારલાઓને પ્રથમ જોય રાઈડમાં બેસાડી સેવાનો પ્રારંભ કરાયો. લોકો શનિ-રવિ અને નેશનલ હોલીડેના દિવસે 2478 રૂપિયા ખર્ચી જોય રાઈડ કરી શકશે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી જોય રાઈડ હેલિકોપ્ટર સેવા શરૂ થઈ હતી. જે 5 મહિના અગાઉ બંધ કરવામાં આવી હતી. જે 12 ઓગષ્ટથી પુનઃ શરૂ કરાઇ છે. અમદાવાદ શહેર મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મનપા સંચાલિત શાળાના બાળકોએ પ્રથમ જોય રાઈડ માણી હતી. અગાઉ કરતાં 100 રૂપિયાના ભાવ વધારા સાથે 2478 રૂપિયામાં લોકો 10 મિનિટની હેલિકોપ્ટર જોય રાઇડ માણી શકશે. મુસાફરોને અમદાવાદના સાયન્સ સિટીના રૂટ પર લઈ જવામાં આવશે. ATC દ્વારા સિગ્નલ ના મળવાની, એર ટ્રાફિક કે હવામાન ખરાબ હોવાની સ્થિતએ રૂટ બદલવામાં આવશે.
બપોરના સમયે 3 કલાક માટે રાઈડ ચાલશે. દિવસ દરમિયાન 15 રાઈડ ચાલશે જેમાં એક રાઈડમાં 5 વ્યક્તિઓને હેલીકોપ્ટરમાં બેસાડવામાં આવશે. રાઈડ માટે એડવાન્સ અને ઓનલાઇન બુકિંગ કરાવવાનું રહેશે.અંદાજિત 25 કિલોમીટરની આ રાઈડ રહેશે. સેવાની પુનઃ શરૂઆત સાથે અમદાવાદ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટે જણાવ્યું હતું કે અગાઉની હેલિકોપ્ટર સેવા બંધ થયા બાદ નવી ટેન્ડર પ્રક્રિયા કરી આ સેવા પુનઃ શરૂ કરાઇ છે. જેનો લાભ શહેરીજનો લઈ શકે છે.
એરો ટ્રાન્સ કંપની હેલિકોપ્ટરમાં હવાઈ મુસાફરી કરાવશે. આ જોય રાઈડ જે 10 મિનિટની રહેશે. જેમા એક દિવસમાં 75 જેટલા મુસાફરો આ સેવાનો લાભ લઈ શકશે. જો રૂટ અંગે વાત કરીએ તો મોટેરા ખાતેથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સાયન્સ સિટીનો રૂટ નક્કી કરવામાં આવશે. મહત્વનું છે કે આ જોયરાઈડ 2022માં સાબરમતી રિવરફ્રન્ટથી શરૂ થઈ હતી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:25 am, Sun, 13 August 23