Ahmedabad: શહેર ટ્રાફિક પોલીસ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તે માટે અનેક પ્રયત્નો કરી રહી છે, પરંતુ શહેરમાં અકસ્માતોની સંખ્યા ઘટવાના બદલે સતત વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં માત્ર બે જ દિવસમાં અકસ્માતના ત્રણ બનાવો સામે આવ્યા છે, જેમાં ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. ચારમાંથી ત્રણ લોકો રસ્તો ક્રોસ કરવામાં જીવ ગુમાવ્યો છે. જેના જવાબદાર અમદાવાદ મહાનગર પાલિકા તંત્રની સાથે લોકોની પણ બેદરકારી સામે આવી છે.
અમદાવાદમાં બે દિવસમાં અકસ્માતમાં ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં એસજી હાઇવે સરખેજ નજીક રોડ ક્રોસ કરી રહેલ માતા પુત્રી ને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ બંનેનો ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું છે. આ હિટ એન્ડ રન કેસમાં અજાણીયા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેમાં મૃતક માતા કાળી બેન વઢવાળ-પુત્રી કોકીબેન સોલંકી હાઇવે પર તૂટેલી જાળી વચ્ચેથી રોડ ક્રોસ કર્યો જેના લીધે વાહન ચાલક સ્પીડમાં હોવાથી અકસ્માત સર્જાયો.
અગાઉ અનેક વખત એસ.જી હાઇવે પર આવેલ વાય.એમ.ઇ કલબ પાસે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી રસ્તો ક્રોસ કરી રહ્યા છે. હાઇવે પરની તૂટેલી જાળી રીપેર કરવા ટ્રાફિક વિભાગ દ્વારા અવારનવાર પત્ર લખી જાણ કરી છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા આંખ આડા કાન કરી રહ્યું છે જેમાં રોડ ક્રોસ કરતા લોકોની જિંદગી ગુમાવી પડે છે. આ જગ્યા પર દર વર્ષે અકસ્માતમાં અનેક લોકો મોતને ભેટે છે.
બીજા અકસ્માતની વાત કર્યે તો મંદિરે દર્શન કરવા જતાં 48 વર્ષીય કેતન પંચાલ સવારે દૂધેશ્વર બ્રિજ પાસે ડિવાઇડર પર ઉભેલા અને કાબુ ગુમાવી બેઠેલા રીક્ષા ચાલકે ટક્કર મારતા તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અમરાઈવાડી માં પણ બી.આર.ટી.એસ ટ્રેકમાં જઈ રહેલ મહિલા ચાલકને અજાણ્યા વાહનચાલક એ ટક્કર મારતા તેનું મૃત્યુ નિપજ્યું છે. જો કે અકસ્માતોને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દૂધેશ્વર પાસે થયેલ અકસ્માતમાં સ્થાનિકોનું કહેવું છે કે આ રોડ પર સ્પીડ બ્રેકર લગાવવા માટે અનેક વખત મ્યુનિસિપલ કોર્પોરેશન અને રજૂઆત કરી છે છતાં પણ તેમના દ્વારા આ બાબત ધ્યાનમાં લેવાતી નથી. પરિણામે અહીં અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે.
આ પણ વાંચો : Ahmedabad : વરસાદે ખોલી AMC તંત્રની પોલ, ગુલબાઈ ટેકરા ખાતે ભૂવામાં ખાબકી કાર, જુઓ Video
જો કે બીજી તરફ ટ્રાફિક પોલીસ નું માનવું છે કે ક્યાંક રોડની ડિઝાઇન, તૂટેલા ડીવાઈડર અથવા તો લોકોનું બેફામ ડ્રાઇવિંગ પણ અકસ્માત માટે જવાબદાર હોય છે. અકસ્માત બાદ જ્યાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ધ્યાન દોરવાની જરૂરિયાત જણાય ત્યાં પોલીસ દ્વારા પત્ર લખીને તેઓને જાણ પણ કરવામાં આવે છે. જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક રીતે અસરકારક કામગીરી કરે તો પણ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. પરતું તંત્ર દ્વારા કોઈ રસ ન હોય તેમ કોઈ ધ્યાન દેતું ના હોય તેવું અધિકારી કહેવું છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો