
અમદાવાદ શહેરમાં આવેલા કુલ 6 મહત્વના બ્રિજનું રિપેરિંગ કામ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. આ નિર્ણય બ્રિજોના ઈન્સ્પેક્શન બાદ લેવામાં આવ્યો છે, જેમાં બેરિંગ ખામીયુક્ત હોવાનું સામે આવ્યું હતું. ઈન્સ્પેક્શન રિપોર્ટના આધારે તાત્કાલિક રિપેરિંગ કરવાની ભલામણ કરવામાં આવી છે.
આ રિપેરિંગ પ્રોજેક્ટ માટે અંદાજે 68 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. આગામી 12 મહિનાની અંદર આ તમામ 6 બ્રિજમાં જરૂરી મરામત કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ દરમિયાન કુલ 152 સ્પાન લિફ્ટિંગ કરવામાં આવશે તેમજ 1,746 બેરિંગનું રિપ્લેસમેન્ટ કરવામાં આવશે.
રિપેરિંગ દરમિયાન સામાન્ય વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવશે, પરંતુ સલામતીના કારણોસર હેવી વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. બ્રિજ બંધ કર્યા વિના કામગીરી કરવામાં આવશે જેથી શહેરના ટ્રાફિક પર ઓછો પ્રભાવ પડે.
આ રિપેરિંગ કાર્યમાં ગિરધરનગર બ્રિજ, ચામુંડા બ્રિજ, કેડિલા રેલવે બ્રિજ અને નાથાલાલ ઝગડા બ્રિજનો સમાવેશ થાય છે. ઉપરાંત, ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ અને ચીમભાઈ રેલવે ઓવરબ્રિજનું પણ રિપેરિંગ કરવામાં આવશે.
પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે રિપેરિંગ પૂર્ણ થયા બાદ બ્રિજોની સલામતી અને આયુષ્યમાં વધારો થશે, જે શહેરના વાહનવ્યવહાર માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
મહત્વનું છે કે, આ સિવાય અમદાવાદમાં ફ્લાયઓવર અને એલિવેટેડ કોરિડોરના વિકાસ માટે મોટા પગલા તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2026–27ના ડ્રાફ્ટ બજેટમાં 1,000 કરોડ રૂપિયાનાં એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે મહત્વના એલિવેટેડ કોરિડોર સૂચવવામાં આવ્યા છે. જેમાં એક કોરિડોર નેહરુનગર–શિવરંજની–રામદેવનગર જંકશન–ઇસ્કોન બ્રિજ સુધીનો હશે, જ્યારે બીજો એલિવેટેડ કોરિડોર બોપલ એસ.પી. રિંગ રોડથી ઘુમા સુધી બનાવવાની યોજના છે.
પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો જોવા મળ્યો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા, જુઓ Video
Published On - 7:41 pm, Mon, 9 February 26