
અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં રિક્ષા અને ટેક્સી સેવા પર મોટી અસર જોવા મળી શકે છે. પૂરતું વળતર ન મળતું હોવાના આક્ષેપ સાથે રિક્ષા અને ટેક્સી ચાલકોએ 7થી 10 સપ્ટેમ્બર દરમિયાન ચાર દિવસની હડતાલનું એલાન કર્યું છે. યુનિયનના જણાવ્યા પ્રમાણે હડતાલ દરમિયાન અમદાવાદમાં અંદાજે 2 લાખ જેટલી રિક્ષા અને ટેક્સીના પૈડાં થંભી જશે.
રિક્ષા અને ટેક્સી ચાલકોનો આક્ષેપ છે કે ઓનલાઇન માધ્યમથી બુક થતી રિક્ષા અને ટેક્સીમાં તેમને સરકારની નીતિ અને નિયમો મુજબ પૂરતું વળતર મળતું નથી. બીજી તરફ, છેલ્લા કેટલાક સમયથી ગેસના ભાવમાં વધારો થયો હોવા છતાં ઓનલાઇન ટેક્સી બુકિંગ એપ્લિકેશનો દ્વારા ચાલકોને યોગ્ય વળતર આપવામાં આવતું ન હોવાનો દાવો યુનિયન દ્વારા કરવામાં આવ્યો છે.
અમદાવાદ ટેક્સી ડ્રાઇવર યુનિયનના જણાવ્યા પ્રમાણે શહેરમાં ટેક્સી માટે ચોક્કસ ભાડું નક્કી કરવામાં આવ્યું નથી. વર્ષ 2023માં વાહન વ્યવહાર કચેરી દ્વારા પરિપત્ર જાહેર કરીને મીટરથી ચાલતી ટેક્સીની વ્યવસ્થા નક્કી કરવામાં આવી હતી. જોકે, અમદાવાદમાં ચાલતી મોટાભાગની ટેક્સી મીટર વગર જ દોડતી હોવાનો યુનિયનનો આક્ષેપ છે.
યુનિયનનું કહેવું છે કે ટેક્સી માટે યોગ્ય અને ચોક્કસ ભાડું નક્કી કરવામાં આવ્યું ન હોવાથી ચાલકોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આ ઉપરાંત ખાનગી પાસિંગવાળી ટેક્સીઓ સામે પણ યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
ટેક્સી ચાલકોએ ખાનગી પાસિંગવાળા વાહનોને ટેક્સી તરીકે ચલાવવામાં આવતા હોવા અંગે પણ સવાલ ઉઠાવ્યા છે. આવી ટેક્સીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ યુનિયન દ્વારા કરવામાં આવી છે.
રિક્ષા-ટેક્સી ચાલકોએ તેમની વિવિધ માગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે. યુનિયન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો ખાનગી પાસિંગવાળી ટેક્સીઓ સામે કાર્યવાહી નહીં થાય અને ચાલકોની માગણીઓનું નિરાકરણ નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.
7થી 10 સપ્ટેમ્બર દરમિયાનની હડતાલને કારણે અમદાવાદમાં મુસાફરોને રિક્ષા અને ટેક્સી સેવા મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. ખાસ કરીને રોજિંદા મુસાફરો, ઓફિસ જતા લોકો અને શહેરમાં આવન-જાવન કરતા મુસાફરોને હડતાલની સીધી અસર થવાની શક્યતા છે.