દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈ વે પર વરસાદી પાણી ભરાવાને કારણે નવસારી જિલ્લા કલેકટરે નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈવે અવરજવર માટે બંધ કર્યો છે.
વધુમાં મળતી માહિતી અનુસાર નવસારી રેલવે ટ્રેક પણ પાણી ફરી વળ્યાં છે. તેના કારણે ટ્રેન વ્યવહાર પર અસર થઇ છે. રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાવાને કારણે ટ્રેનો ના સમય પર પણ અસર પડી છે. કેટલીક ટ્રેનો સમય કરતા મોડી ચાલી રહી હોવાની માહતી સામે આવી રહી છે. જે રીતે દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ રેડ એલર્ટની આગાહી છે તે જ પ્રમાણેનો વરસાદ વરસી રહ્યો છે.
નવસારીમાં હાલ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. નવસારીમાં વોટર લોગીંગ થવાના કારણે સ્થળાન્તર ની ફરજ તો પડી જ છે. અત્યારસુધી 12 હજાર કરતા વધુ લોકોનું સ્થળાન્તર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સાથે સાથે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર પણ વરસાદી પાણી ફરી વળ્યાં છે. જેના કારણે હાઇવે પર પણ જાણે નદી ફરી વળી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
આ જ કારણથી ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઇવે વાહનચાલકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે હાઈ વે બંધ કરી દેવાતા વાહનચાલકોને પણ ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો. સૌથી વ્યસ્ત ગણાતો આ હાઇવે બંધ કરી દેવાતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. આ સંદર્ભની એક ટ્વીટ નવસારી જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી હતી. અને આ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકો સુધી પહોંચાડવામાં આવી હતી.
આજરોજ સતત વરસાદના કારણે ચીખલી-વલસાડ હાઈવે (અમદાવાદ-મુંબઇ હાઇવે) પર પાણી ભરાયેલ હોવાથી રસ્તો અવરજવર માટે બંધ થયેલ છે જેથી લોકોને પોતાનો પ્રવાસ ટાળવા કલેક્ટર નવસારીની નમ્ર અપીલ છે…@CMOGuj @pkumarias @InfoGujarat
— Collector & DM Navsari (@CollectorNav) July 14, 2022
નોંધનીય છે કે છેલ્લા 2 દિવસથી વરસાદે દક્ષિણ ગુજરાતને ઘમરોળી નાંખ્યું છે. અને તેમાં પણ વલસાડ, નવસારી, ડાંગ, સાપુતારા, ચીખલી, ઉમરપાડા સૌથી વધારે પ્રભાવિત થયા છે.
Published On - 10:46 am, Thu, 14 July 22