
વડોદરા-આણંદને જોડતા ગંભીરા બ્રિજ પર થોડા સમય પહેલા એક ભયાનક ઘટના બની હતી. બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે અનેક લોકોના મોત થયા હતા. આ ઘટનામાં એક ટેન્કર બ્રિજ પર અટવાઈ ગયું હતું અને 28 દિવસથી ત્યાં જ લટકતું રહ્યું હતું. આ ટેન્કરને બહાર કાઢવાનું કામ ખુબ જ જોખમી હતું, પરંતુ હવે આ ટેન્કરને ખેંચીને બ્રિજની બહાર કાઢવામાં આવ્યું છે.
આ ટેન્કર બચાવ કામગીરી માટે સિંગાપુરમાં વિકસાવવામાં આવેલી મેરીન એર બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજી ભારતમાં પ્રથમ વખત ઉપયોગમાં લેવાઈ રહી છે. આ પદ્ધતિમાં ટેન્કરના નીચેના ભાગમાં ખાસ પ્રકારના મેરીન બલૂન મૂકવામાં આવે છે. ત્યારબાદ આ બલૂનમાં હવા ભરવામાં આવે છે. જેના કારણે ટેન્કર ધીમે ધીમે ઉપર ઉંચકાય છે.એકવાર ટેન્કર પૂરતી ઉંચાઈએ પહોંચે છે, ત્યારબાદ તેને ક્રેન કે અન્ય સાધનો દ્વારા ખેંચીને બહાર કાઢવામાં આવે છે.
After 28 days, tanker removed from Gambhira Bridge #GambhiraBridge #Vadodara #BridgeCollapse #Gujarat #TV9Gujarati pic.twitter.com/Ug4LYnKc6K
— Tv9 Gujarati (@tv9gujarati) August 6, 2025
આ ટેકનોલોજીનો ઉપયોગ મોટાભાગે જહાજોને ઉંચકવા અને ખેંચવામાં થાય છે. પરંતુ ગંભીરા બ્રિજની આ ઘટનામાં તેનો ઉપયોગ એકદમ અનોખી રીતે કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં સફળતા મળવાથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓમાં આ ટેકનોલોજી ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે 9 જુલાઈએ ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 21 લોકોના મોત થયા હતા. ઈજાગ્રસ્તો પૈકી સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું આજે મોત થયુ છે. કુલ મળીને મોતનો આંક 22 એ પહોચ્યો છે. આ પ્રકારે ટેન્કરને ઉતારવા માટે દેશમાં પહેલીવાર આ ઍર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Published On - 2:09 pm, Wed, 6 August 25