
સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધારતો મોટો મુદ્દો કથિત હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. હવે આ મામલે AAPના હવાલા કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચનો મોટો ખુલાસો કર્યો છે. હવે આમ આદમી પાર્ટી (AAP)ના સ્થાનિક નેતાઓની મુશ્કેલીઓ વધી શકે છે. આ કેસમાં માત્ર સુરત ક્રાઈમ બ્રાન્ચ જ નહીં પરંતુ ઇન્કમ ટેક્સ (IT) વિભાગ પણ સક્રિય બન્યો છે, જેના કારણે તપાસનો વ્યાપ વધુ વિસ્તરવાનો અંદાજ છે. રાજકીય વર્તુળોમાં આ મામલે ભારે ચર્ચા ચાલી રહી છે.
સૂત્રો મુજબ, સુરતના અનેક સ્થાનિક નેતાઓને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. ખાસ કરીને આકાશ મિશ્રા અને અજય તિવારી સાથે સીધા સંપર્કમાં રહેલા નેતાઓ તપાસ એજન્સીઓના રડારમાં છે. તપાસ દરમિયાન આ કનેક્શનના આધારે નાણાંના પ્રવાહ અને તેના ઉપયોગ અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
તપાસમાં સુરત અને દિલ્લી વચ્ચે આંગડિયા નેટવર્ક મારફતે લાખો રૂપિયાનું રાજકીય ફંડિંગ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આંગડિયા પદ્ધતિનો ઉપયોગ કરીને નાણાંની હેરફેર કરવામાં આવી હોવાના આરોપોને કારણે તપાસ એજન્સીઓ વધુ સાવચેત બની છે અને દરેક કડીને જોડવાનો પ્રયાસ કરી રહી છે.
સૂત્રો એ પણ સૂચવે છે કે આ કેસમાં અનેક મોટા નામો સામે આવી શકે છે, જેના કારણે રાજકીય માહોલમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જો આ દાવાઓને પુરાવા મળે, તો આ કૌભાંડનો વ્યાપ વધુ મોટો બની શકે છે અને તેની અસર આગામી રાજકીય સમીકરણો પર પણ પડી શકે છે.
હાલમાં આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ જાહેરમાં કોઈ પ્રતિસાદ આપતા નથી અને મૌન ધારણ કર્યું છે. બીજી તરફ, તપાસ એજન્સીઓ પુરાવા એકત્રિત કરવામાં વ્યસ્ત છે અને આવનારા દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર મામલે આરોપ છે કે દર મહિને લાખો રૂપિયાનું કાળું નાણું હવાલા નેટવર્ક દ્વારા સુરતમાં પહોંચાડવામાં આવતું હતું અને તેનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે થતો હતો. હાલ તપાસ ચાલુ છે અને અધિકારીઓ અન્ય શહેરોમાં પણ આવા જ નાણાં પરિવહનના કનેક્શન શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Published On - 12:40 pm, Mon, 20 April 26