ગુજરાતમાં કોરોનાથી (corona) દર્દીઓ ટપોટપ મરી રહ્યાં છે. સરકાર દ્વારા જાહેર કરાતા અને સ્મશાનગૃહમાં અગ્નિદાહ (cremation) અપાતા મૃતદેહોની સંખ્યામાં જમીન આસમાનનો તફાવત છે. સરકાર જે કોઈ મરણણાંક જાહેર કરે છે તેનાથી અનેકગણા મૃત્યુ નિપજી રહ્યાં હોવાનું સામે આવ્યુ છે.
કોરોનાકાળમાં મૃત્યુ બાદ પણ અગ્નિસંસ્કાર (cremation) માટે ઓછામાં ઓછા 8થી 10 કલાક પ્રતિક્ષા કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેરના વિવિધ સ્મશાન ગૃહોમાં કોરોના અને કોરોના વિના 240 લોકોના મોત નિપજી રહ્યાં છે. અત્યાર સુધીમાં 2થી 4 કલાકની પ્રતિક્ષા યાદી (waiting list) હતી. પરંતુ છેલ્લા બે દિવસથી આ પ્રતિક્ષા યાદી 8થી 10 કલાકે પહોચ્યુ છે.
સુરતના વિવિધ સ્મશાન ગૃહમાં અગ્નિસંસ્કાર માટે લાબી યાદીને જોતા, સુરતની નજીકના બારડોલીના સ્મશાન ગૃહમાં કોવિડના દર્દીઓના અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી મળી ગઈ છે. જેના કારણે ગઈકાલ બુધવારે કોરોનાથી મૃત્યુ નિપજ્યા હોય તેવા છ દર્દીઓના અગ્નિ સંસ્કાર બારડોલીના સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા.
સુરતના જાણીતા અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં 70થી 80, ઉમરા સ્મશાનગૃહમાં 30થી 40 અને જહાગીરપુરા સ્મશાનગૃહમાં 20થી 30 જેટલા મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે લવાયા છે. સુરતના કેટલાક તબીબોનું માનવુ છે કે, કોરોના ટેસ્ટ કરાવ્યા પછી તબીબોની સલાહ કે સારવાર લીધા વિના ઘરે પોતાની રીતે સારવાર લેનારાઓના મૃત્યુદર વધ્યો છે.