
નિષ્ણાતોના મતે, અમેરિકા અને અન્ય દેશો વચ્ચે વધતા વેપાર તણાવને કારણે સોના-ચાંદી જેવી ધાતુઓની માંગ વધી છે. બજારમાં અસ્થિરતાને ધ્યાનમાં રાખીને રોકાણકારો સલામત વિકલ્પની શોધમાં આ ધાતુ તરફ આકર્ષાઈ રહ્યા છે.

HDFC સિક્યોરિટીઝના સિનિયર કોમોડિટી વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, "અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આવતા ઉત્પાદનો પર 35 ટકા ટેરિફની જાહેરાત કરી છે. તેમણે અન્ય વેપાર ભાગીદારો પર 15 થી 20 ટકા ટેરિફ લાદવાનો પણ સંકેત આપ્યો છે. આનાથી વૈશ્વિક બજારોમાં ચિંતા વધી છે અને સોના-ચાંદીની માંગમાં વધારો થયો છે."

નોંધનીય છે કે, જ્યારે પણ ગ્લોબલ માર્કેટમાં અનિશ્ચિતતા કે તણાવ વધે છે, ત્યારે રોકાણકારો સોના અને ચાંદી તરફ વળે છે. જણાવી દઈએ કે, આને "સુરક્ષિત રોકાણ" કહેવામાં આવે છે કારણ કે તેની કિંમત સ્થિર રહે છે અને તે ફુગાવા સામે રક્ષણ આપે છે. નિષ્ણાતો માને છે કે, જો અમેરિકાની ટેરિફ નીતિ અંગે વધુ કડક નિર્ણયો લેવામાં આવે અથવા ટ્રેડ વોરની સ્થિતિ વધુ ખરાબ થાય, તો સોના અને ચાંદીના ભાવ વધુ વધી શકે છે.