ગુજરાતમાં સોનુ રોકાણ અને બચતનો એક મુખ્ય વિકલ્પ છે. ભવિષ્યમાં નાણાંની જરૂરિયાતને પહોંચી વળવા કમાણીનો એક હિસ્સો સોનાના રૂપમાં રોકાણ કરી બચત કરવાની ગુજરાતીઓમાં વર્ષો જૂની પ્રથા છે. આજ કારણ છે કે ગુજરાતના લગભગ દરેક શહેરમાં ઝવેરી બજાર છે. અહીંની દુકાનોમાં સુંદર આભૂષણોમાં સોનુ ચમકે છે.
સોનુ અત્યંત કિંમતી ધાતુ છે. 10 ગ્રામ એટલેકે એક તોલાની કિંમત 74000 આસપાસ છે. સ્વાભાવિક છે કે ઝવેરી દાગીના બનાવતી વખતે સોનાનો એક રજકણ પણ પડે નહીં તેની દરકાર લે છે, પણ આટલી ચોકસાઈ છતાં નરી આંખે નજર ન પડે તેવી રજકણ કચરામાં, હાથ ધોવાથી ગટરમાં અને કારીગરના કપડામાં ઉડે છે. ધૂળધોયા નામની કોમ આ નરી આંખે પણ નજરે ન પડતા સોનાને શોધી કાઢી કમાણી કરે છે.
ભરૂચના લાલબજાર નજીક આવેલા ચોક્સી બજારને ઝવેરીઓનું હબ માનવામાં આવે છે. ચોક્સી બજાર અને તેની આસપાસની શેરીઓ સુવર્ણકારો અને ઝવેરીઓ માટેનું કેન્દ્ર છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સુવર્ણકારો વ્યવસાય કરે છે જેઓ શહેરના મોટાભાગના દાગીના તૈયાર કરવાનું કામ કરે છે. અહીં આવેલ વર્કશોપ અને મેન્યુફેક્ચરિંગ યુનિટોમાંથી સોનાની રજકણ ઘણીવાર કચરા અને ગટરોમાં વહી જાય છે. અહીં સોનાની રજકણોને ઘણા લોકો શોધી રહ્યા હોય છે.
સવારે 6 થી 7 વાગ્યાના અરસામાં ચોક્સીબજાર , મલબારી દરવાજા અને પંચબતી જેવા વિસ્તાર જ્યાં જવેલર્સની મોટી સંખ્યામાં દુકાન હોય છે ત્યાં પાલિકાના સફાઈકર્મીઓ નહીં પણ ધૂળધોયા કોમના લોકો સફાઈ કરતા નજરે પડે છે. આ લોકો સફાઈનું કામ એકપણ રૂપિયો વળતર પેટે લીધા વગર કરતા હોય છે. જોકે આ સેવાકાર્ય નહીં પણ સફાઈનું કામ કરતા દિનેશ અનુસાર આ કચરામાંથી તેઓને સોનુ મળે છે. ચોંકશો નહીં પણ આ હકીકત છે. વાત સાંભળીને કદાચ આ અશક્ય લગતી વાત મજાક કે ગાંડપણ લાગે પણ હકીકત છે કે દિનેશ જેવા ધૂળધોયા કોમના લોકો એટલા નિપુણ હોય છે કે તે કચરામાંથી સોનુ શોધી કાઢે છે. આ સોનુ નરી આંખે નજર પણ પડતું નથી પણ સોનીની દુકાન કે વર્કશોપમાંથી ઘસારાના કારણે નહિવત કહી શકાય તેવી ઊડતી રજકણ આ કોમના લોકો શોધી નાખે છે.
જાણીતા જવેલર્સ મયુર ચોક્સીએ જણાવ્યું હતું કે સોનીનો વેપાર ગ્રામ અને મિલીગ્રામમાં થતો હોય છે. સોની અને તેમના કારીગરો એટલી ચોકસાઈ અને બારીકાઈથી કામ કરે છે કે 1 ગ્રામના 100 માં ભાગ જેટલો વજનફેર પણ નોંધમાં લેવાય છે. આટલી ચોકસાઈ છતાં નરી આંખે નજર પણ ન પડે તેવી રજકણ સોનુ કાપતી વખતે પડતી હોય છે.આ રજકણ ધૂળધોયા શોધી કાઢતા હોય છે.
સોનાના દાગીનાના વેપાર સાથે સંકળાયેલા દેવેન્દ્ર સોનીએ જણાવ્યું હતું કે સોનાનું કામ કરતા કારીગર સોનુ તપાવે અને તેને ટીપે અથવા કાપે ત્યારે સોનાની રજકણ છૂટી પડી આસપાસ પડે છે અથવા સુવર્ણકારના હાથ પાર ચોંટી જતી હોય છે. આ રજકણ રેતીના દાણાના 50 માં ભાગ કરતા પણ નાની હોય છે. સુવર્ણકાર હાથ ધુએ ત્યારે તે ગટરમાં વહી જતી હોય છે. દિનેશ જેવા દરરોજ 40 થી 50 લોકો ચોક્સીબજારમાં ગટરોમાં માટીને ખાસ રીતથી ચાળીને તેમાંથી સોનુ શોધી કાઢે છે.
સોનુ ચોક્સી બજારમાંતો ઠીક પણ એક એવી જગ્યાએ પણ શોધવામાં આવે છે જ્યાંથી સોનુ મળતું હોવાનો સામાન્ય માણસને વિચાર પણ આવતો નથી. ધૂળધોયા કોમના લોકોની એક ટીમ સ્મશાનઘાટના કિનારે પણ જોવા મળે છે. ભરૂચ સ્મશાનના મેનેજર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે હિન્દૂ માન્યતા અનુસાર ઘણા સમાજના લોકો મૃતકની અંતિમક્રિયા પહેલા મોં માં સોનાની કચ્ચર મૂકે છે. અંતિમક્રિયા બાદ કોલસામાં ધૂળધોયા લોકો આ કચ્ચરનું સોનુ શોધતા હોય છે.
ધૂળધોયા લોકો પહેલા મોટા જથ્થામાં કચરો એકત્રિત કરે છે. આ કચરાને ખાસ પ્રકારના બ્રશ અને ચારણીની મદદથી ચાળી સાફ કરવામાં આવે છે. કુલ કચરામાંથી સોનુ મળવાની પ્રબળ શક્યતા હોય તેવો 10 ટકા કચરો અલગ કરાય છે. આજ પ્રકારે ગટરમાંથી કીચડ બહાર કાઢી સોનુ મળે તેવો હિસ્સો અલગ કરાય છે. આ અલગ કરાયેલ કચરાને સાફ પાણીની વારંવાર સાફ કરાય છે સાથે બારીક નજરથી કચરામાં સોનાની ચમક શોધવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા કુલ 10 કિલો જેટલા કચરામાંથી ચળકતો 4-5 ગ્રામ જેટલો કચરો અલગ કરાય છે. આ કચરામાં પારો ફેરવવામાં આવે છે. પારા સાથે સોનાની રજકણ ચોંટી જાય છે અને આમ કચરામાંથી સોનુ મળે છે. સોનુ આ સ્વરૂપમાં પણ કચરા અને અન્ય ધાતુ મિશ્રિત હોય છે. એસિડમાં સાફ કરી આ અશુદ્ધ સોનાને તપાવી શુદ્ધ સોનુ મેળવાય છે.
કચરામાંથી સોનુ કાઢવાના કામ સાથે જોડાયેલ વિનોદે જણાવ્યું હતું કે સવારે 6 વાગ્યાથી કચરામાંથી સોનુ મેળવવાની કવાયત સાંજે પુરી થાય ત્યારે 200 -300 રૂપિયા જેટલું સોનુ અથવા ક્યારેક ખુબ નસીબ જોર કરતું હોય ત્યારે 1000 રૂપિયા સુધી સોનુ મળી જાય છે. આ કામમાં મહિલાઓ પણ પુરુષોનો સાથ આપે છે. ધૂળધોયા કોમના લોકો કચરામાંથી સોનુ શોધી ગુજરાન ચલાવતા હોય છે.
ધૂળધોયા લોકોએ કચરામાંથી સોનુ શોધવાના કામને વ્યવસાય તરીકે સ્વીકાર્યો છે. મજૂરીના અન્ય કામમાં મળતા વળતર કરતા તેમને સોનુ શોધવામાં વધુ અનુકૂળતા અને જરૂરિયાત પૂરતી આવક મળે છે. સામાજિક કાર્ય સાથે સંકળાયેલા ટીનાભાઈ પટેલે જણાવ્યું હતું કે ગંદકીમાંથી સોનાની ચમક શોધવી આમતો દયનિય પરિસ્થિતિ દેખાય છે પણ વ્યવસાય તરીકે ધૂળધોયા લોકો આ કામ કોઈ ગિન્ન વગર કરતા હોય છે. આ કામમાં મજૂરી સાથે કુશળતાને પણ વર્ણવી રહી કારણકે સોની સોનુ કચરામાં જવા દેતા નથી છતાં સોનીના હાથમાંથી સરકી જતું નરી આંખે ન દેખાતું સોનુ આ લોકો શોધી કાઢે છે અને તેમાંથી ગુજરાન પણ ચલાવે છે.
પરંપરાગત ઉપરાંત આજની આધુનિક ટેક્નોલોજીથી પણ કચરામાંથી સોનુ શોધવામાં આવી રહ્યું છે. કચરાના ઢગલામાંથી સોનું કાઢવા માટેની ટેક્નોલોજી નેશનલ મેટાલર્જિકલ લેબોરેટરી દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. આ ટેક્નોલોજી ખરીદવા માટે દેશભરમાં દોડધામ ચાલી રહી છે. ઇ-વેસ્ટ રિસાયક્લિંગ પ્રોજેક્ટના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. મનીષ કુમાર ઝાની પહેલ પર તૈયાર કરવામાં આવેલી આ ટેક્નોલોજીની મદદથી ભારતમાં 13 કંપનીઓ વ્યાવસાયિક સ્તરે ઇ-વેસ્ટનું રિસાઇકલિંગ કરી રહી છે અને સોના, ચાંદી સહિતની ઘણી ધાતુઓ બહાર કાઢી રહી છે.
સોના ઉપરાંત કંપનીઓ આ પ્રોસેસિંગ દ્વારા ઇ-વેસ્ટમાંથી લિથિયમ, કોબાલ્ટ, મેંગેનીઝ, નિકલ, કોપર, એલ્યુમિનિયમ અને ગ્રેફાઇટ પણ કાઢી શકે છે. આ એક પ્રકારની રિસાયક્લિંગ ટેક્નોલોજી છે જે ભવિષ્યમાં એક મોટો બિઝનેસ બની જશે. NML પાસેથી ટેક્નોલોજી લઈને તેમના વ્યવસાયને વિસ્તારી રહ્યા છે અને હવે ઈ-વેસ્ટ રિસાયક્લિંગના વ્યવસાયમાં પ્રવેશી રહ્યા છે. મર્યાદિત કુદરતી સંસાધનો વિશેની મોટી ચિંતાને ધ્યાનમાં રાખીને આ ટેક્નોલોજી પ્રદૂષણ મુક્ત સમાજનું નિર્માણ કરીને અને ભાવિ પેઢીઓ માટે કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરીને દેશની સેવા કરવામાં મદદ કરશે.
આ પણ વાંચો : યુરોપના એક નિર્ણયે સોના-ચાંદીનો ચળકાટ વધાર્યો, સોનું 73000 અને ચાંદી 92000 નજીક પહોંચી