નરગીસ ફખરી (Nargis Fakhri) એ બોલીવુડની એક સમયે સૌથી ચર્ચાસ્પદ અભિનેત્રીઓમાંની એક હતી. તેણીએ અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) સાથે રોકસ્ટાર (Rockstar) ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ‘રોકસ્ટાર’ ફિલ્મ ચાહકોને ખૂબ પસંદ આવી હતી. આજે પણ બોલીવુડના ન્યુ એરા કલ્ટ- કલાસિકમાં ‘રોકસ્ટાર’ ફિલ્મનું નામ મોખરે આવે છે. આ ફિલ્મ પછી નરગીસની લોકપ્રિયતા બોલીવુડમાં વધી ગઈ હતી. પરંતુ કેટલીક ફિલ્મો કર્યા પછી અભિનેત્રી નરગીસ ફખરી રાતોરાત ક્યાંક ગાયબ થઈ ગઈ હતી.
અમે તમને જણાવી દઈએ કે, નરગીસ ફખરી સિલ્વર સ્ક્રીનથી દૂર હોવા છતાં પણ, બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. નરગીસે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેમ કે ‘મેં તેરા હીરો’, ‘મદ્રાસ કેફે’ વગેરે. આ પછી અભિનેત્રીએ મન બનાવ્યું હતું કે હવે તેણે થોડા સમય માટે કામમાંથી બ્રેક લેવો જોઈએ. ત્યારથી નરગીસ બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ છે. નરગીસ ફખરીએ તાજેતરની એક મુલાકાતમાં જણાવ્યું છે કે, તેણી આટલા સમય બોલીવુડથી દૂર રહીને શું કરતી હતી.
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અભિનેત્રીએ જણાવ્યું હતું કે, તેણી કામના બોજ હેઠળ અતિશય દબાણ અનુભવી રહી છે. આવી પરિસ્થિતિમાં, તેનું સ્ટ્રેસ લેવલ વધી ગયું હતું. આ દરમિયાન તેને અહેસાસ થયો કે તેણીએ થોડા સમય માટે આ બધી બાબતોથી દૂર રહેવું જોઈએ. અભિનેત્રીએ નક્કી કર્યું હતું કે, તેણે તેના શરીર અને મન બંને વચ્ચે સંતુલન બનાવવા માટે થોડો સમય ઇન્ડસ્ટ્રીથી દૂર રહેવું પડશે.
આ મુલાકાત દરમિયાન, નરગીસે આગળ કહ્યું કે, ”મને લાગ્યું હતું કે હું વધારે કામ કરું છું અને તણાવ અનુભવું છું. હું મારા પરિવાર અને મારા મિત્રોને ખુબ મિસ કરતી હતી. મને લાગવા માંડ્યું હતું કે હું જે કરી રહી છું તે મને ખુશી નથી આપી રહી. તો મારે ક્યાંક તો રોકાવું જ પડશે. આ માટે મેં વિચાર્યું કે મારે મારા શરીર અને મનને સંતુલિત કરવું પડશે. તેથી મેં આ પગલું ભર્યું હતું.”
અમે તમને જણાવી દઈએ કે, નરગીસ ફખરી એકસમયે તેના લોન્ગ-ટર્મ બોયફ્રેન્ડ અને અભિનેતા ઉદય ચોપરા (Uday Chopra) સાથે લગ્ન પણ કરવાની હતી, પરંતુ તે બંને વચ્ચે પછી બ્રેકઅપ થઇ ગયું હતું.
અભિનેત્રીએ આગળ જણાવ્યું કે, આજે દરેક સેલેબ્સની અંદર એક ડર છે કે જો તેઓ બ્રેક લેશે તો તેમને ઘણું નુકસાન થશે. ‘બ્રેક એકવાર માટે પણ યોગ્ય છે, પરંતુ માનસિક સ્વાસ્થ્ય, શારીરિક સ્વાસ્થ્યને આરામ આપવો જરૂરી છે. હું જાણું છું કે ઇન્ડસ્ટ્રીમાં એક્ટર્સના મેનેજર હોય છે. અને PR એજન્સીઓ તમને તમારા પ્રેક્ષકોની નજર સામે રહેવાનું કહે છે. આવી પરિસ્થિતિમાં, જો તમે બ્રેક લો છો, તો તમારી અને દર્શકોની વચ્ચે ઘણું લાંબુ અંતર આવી જાય છે.” તેણીએ આગળ જણાવ્યું હતું.
અભિનેત્રીએ આગળ કહ્યું કે, ”મને લાગે છે કે કલાકારોના મનમાં ઘણા પ્રકારના ડર છુપાયેલા છે, કારણ કે કલાકારો તેમનું કામ ગુમાવવા માંગતા નથી. હું માનું છું કે આપણે ક્યારેય કશું ગુમાવતા નથી, કે જ્યારે તમે તમારા માટે સમય કાઢો, તમારી જાતની સંભાળ રાખો, તો હકીકતમાં તમે જિંદગીનો જંગ જીતી ગયા છો.” અભિનેત્રીએ પોતાની વાતને અહીયા વિરામ આપ્યો હતો.
આ પણ વાંચો – The Kashmir Files: કોંગ્રેસ ધારાસભ્યએ સરકાર પાસે ફિલ્મ ‘કાશ્મીર ફાઇલ્સ’ માટે ટિકિટ માંગી