શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ રાજ કુંદ્રાની (Raj Kundra) સોમવારે મોડી રાત્રે અશ્લીલ ફિલ્મો બનાવવા અને કેટલીક એપ્સ પર તે બતાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. રાજ હાલ પોલીસ કસ્ટડીમાં છે. રાજની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટી વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. શિલ્પા હજી આ મામલે મૌન છે અને તેણે તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે, હવે શિલ્પાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે.
ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે શું શિલ્પા તેની પરિસ્થિતિ પર તો નથી બોલી રહી. ખરેખર, શિલ્પાએ એક પુસ્તકનાં પેજનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં જીવનના પડકારો વિશે મેસેજ લખ્યો છે. સામાન્ય રીતે શિલ્પા ઘણીવાર રાત્રે પુસ્તક વાંચતી વખતે તેમાં લખેલા કેટલાક મહત્વપૂર્ણ મેસેજ શેર કરે છે. પરંતુ આ વખતે રાજની ધરપકડ બાદ ફેન્સ અનુમાન કરી રહ્યા છે કે શિલ્પાએ જે શેર કર્યું છે તેના પરથી તે પોતાની પરિસ્થિતિ વિશે જણાવી રહી છે.
પુસ્તકની શરૂઆતમાં લખ્યું હતું કે, આપણે ગુસ્સાથી પાછળ ન જોઈએ અથવા ડરથી આગળ ન જોઇએ. હા, જાગૃત થઈને આપણી આસપાસ જોઈએ. આપણે ગુસ્સામાં એ લોકોની સામે જોઈએ છીએ જેને દુઃખ પહોચાડ્યું છે. આપણે પાછળ ફરીને જોઈએ છીએ કે આપણી નોકરી ન છૂટી જાય કે કોઈ બીમારીની ઝપેટે ન આવીએ અથવા તો કોઈ નજીકના વ્યક્તિએ આપણે ન ખોઈએ.
આ પછી લખ્યું છે કે, ‘આપણે જ્યાં હોવું જોઈએ ત્યાં જ છીએ. શું થયું અને શું થશે તે વિચારશો નહીં, ફક્ત ધ્યાન રાખો. હું એક ઊંડો શ્વાસ લઉં છું. એ જાણીને કે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે, હું આ જીવન જીવી રહી છું. મેં ભૂતકાળમાં ઘણા પડકારોનો સામનો કર્યો છે અને ભવિષ્યમાં પડકારોનો સામનો કરીશ. કોઈ મારું જીવન મુક્ત રીતે જીવવાથી રોકી શકે નહીં.
રાજની ધરપકડ બાદ કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા હતા કે શું શિલ્પા રાજના આ કામથી વાકેફ છે? શું શિલ્પાની પણ પૂછપરછ કરી શકાય છે? જો કે, શિલ્પા માટે રાહતની વાત એ છે કે તેને સમન્સ નથી આપવામાં આવ્યું. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ક્રાઇમ બ્રાંચ શિલ્પાને સમન્સ મોકલશે નહીં. રાજે તપાસ દરમિયાન કહ્યું છે કે શિલ્પાને તેના કામ વિશે ખબર નહોતી.
શિલ્પા અને રાજ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે કોર્ટનો નિર્ણય રાજની કસ્ટડી પર આવશે કે તેને જામીન મળશે કે તેઓ જેલમાં જશે.