
ટીવીની ફેમસ એક્ટ્રેસ સંચિતા ઉગાલેએ બે દિવસ પહેલા એટલે કે 14 જૂનના રોજ રવિવારે આત્મહત્યા કરી લીધી. માત્ર 22 વર્ષની ઉંમરે જ સંચિતા ઉગાલેએ આ દુનિયાને અલવિદા કહી દીધું. તેના મોતે ફેન્સની સાથે જ આખી ટીવી ઇન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી છે. આ દર્દનાક ઘટના બાદ પરિવાર તરફથી પણ પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે.
એક્ટ્રેસ સંચિતા ઉગાલેના ભાઈ આકાશ સતીશ ઉગાલેએ કેટલાક ચોંકાવનારા દાવા કર્યા છે. તેણે આખા મામલાને સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે લિંક કરવાનો પ્રયાસ કર્યો અને જણાવ્યું કે, બંને મામલામાં ઘણી સમાનતાઓ છે. તેણે એવું પણ કહ્યું કે, તેની બહેનના સુસાઈડનું કનેક્શન સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે હોઈ શકે છે.
મીડિયા સાથેની વાતચીતમાં આકાશે દાવો કર્યો કે, સંચિતા અને સુશાંત બંને પર ઇન્ડસ્ટ્રી તરફથી ખૂબ જ વધારે પ્રેશર (દબાણ) હતું, તેના કારણે જ બંનેએ આ મુશ્કેલ પગલું ભર્યું. તેણે આને એક સંયોગ પણ ગણાવ્યો, ‘બંનેનું મોત 14 જૂને થયું, બસ બંનેમાં 6 વર્ષનો તફાવત છે.’
આકાશે સંચિતાની છેલ્લી સોશિયલ મીડિયા એક્ટિવિટી તરફ ઈશારો કર્યો, જે સુશાંત સિંહ રાજપૂતને તેની ડેથ એનિવર્સરી પર શ્રદ્ધાંજલિ હતી. એક્ટ્રેસે સુશાંતને યાદ કરીને એક ઇન્સ્ટાગ્રામ રીલ શેર કરી હતી, જેમાં લખ્યું હતું, ‘આજ ફિર 14 જૂન હૈ.’
બંને મોતોની આસપાસની પરિસ્થિતિઓને યાદ કરતાં આકાશે કહ્યું, ‘તેણે 14 જૂન 2020 ના રોજ સુસાઈડ કર્યું. કેમ? કારણ કે બોલિવૂડ, આ ઇન્ડસ્ટ્રીએ તેના પર ખૂબ પ્રેશર નાખ્યું અને તે જ પ્રેશરના કારણે તેણે સુસાઈડ કરી લીધું. તેવી જ રીતે ગઈકાલે મારી બહેને પણ આ જ કારણે સુસાઈડ કરી લીધું, હું એ જ કહી રહ્યો છું.’
ભાઈએ આગળ જણાવ્યું કે, આમાં સોશિયલ મીડિયા પોસ્ટનું મહત્વ છે. તેણે કહ્યું, ‘બસ 1 દિવસ પહેલા એટલે કે ગઈકાલે તેણે એક ઇન્સ્ટાગ્રામ રીલ પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે, “યહ ફિર સે 14 જૂન હૈ.” ગઈકાલે જ તેણે આત્મહત્યા પણ કરી લીધી.’
આકાશે દેશના ટોચના નેતાઓને પણ દખલ કરવા અને પોતાની બહેનના મોતની પૂરી તપાસ સુનિશ્ચિત કરવા આગ્રહ કર્યો છે. તેણે કહ્યું, ‘હું આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, આપણા રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને સુનેત્રા પવારને વિનંતી કરું છું કે, કૃપા કરીને આ ઘટના પર ધ્યાન આપે.’
સંચિતા ઉગાલેનું રવિવાર 14 જૂને આત્મહત્યાથી મોત થયું હતું. તે 22 વર્ષની હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના 14 જૂને નાલાસોપારા ઈસ્ટના આચોલે ગામમાં સાઈ સંતોષી બિલ્ડિંગમાં તેના ઘરે થઈ હતી.
અચોલે પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદ બાગે જણાવ્યું કે, સંચિતાએ સાંજે 7 થી 7:30 વાગ્યાની વચ્ચે પોતાના બેડરૂમમાં પોતાને બંધ કરી દીધી હતી અને સાડીનો ઉપયોગ કરીને સીલિંગ ફેન સાથે લટકી ગઈ હતી.
પરિવારના સભ્યો અને આસપાસના લોકો તેને વસઈ-વિરાર મ્યુનિસિપલ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી.
બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલતા પહેલા એક ઇન્ક્વેસ્ટ રિપોર્ટ (પંચનામું) તૈયાર કરવામાં આવ્યો હતો. સંચિતાના પિતા મચ્છિન્દ્ર ઉગાલેની ફરિયાદના આધારે અચોલે પોલીસે 15 જૂને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 194 હેઠળ એક એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધ્યો છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, આ ઘટના પાછળનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીઓ તમામ સંભવિત એંગલથી મામલાની તપાસ કરી રહ્યા છે અને આગળની પૂછપરછ ચાલુ છે.