બોલીવૂડ અભિનેતા રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ આજકાલ દેશભરમાં જોરદાર ચર્ચામાં છે. 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કર્યું છે અને દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી છે. હવે ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી એ પણ આ ફિલ્મ વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
વિરાટ કોહલીએ ‘ધુરંધર 2’ જોઈને તેને એક અનોખો સિનેમેટિક અનુભવ ગણાવ્યો છે. તેમણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા જણાવ્યું કે, આ ફિલ્મે તેમને એવી અનુભૂતિ આપી જે તેઓએ પહેલા ક્યારેય અનુભવેલી નહોતી. તેમણે લખ્યું કે ફિલ્મ જોતા સમયે દરેક પ્રકારની લાગણીઓ-ખુશી, ઉત્સાહ, તણાવ અને ભાવુકતા, સ્વાભાવિક રીતે બહાર આવી ગઈ. લગભગ ચાર કલાક સુધી તેઓ સ્ક્રીન સાથે જ જોડાયેલા રહ્યા અને એક પળ માટે પણ ધ્યાન ભંગ થયું નહોતું.
વિરાટ કોહલીએ આદિત્ય ધરના વખાણ કર્યા
વિરાટે ફિલ્મના નિર્દેશક આદિત્ય ધર ની ખાસ પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે ફિલ્મમાં તેમની પ્રતિભા સ્પષ્ટ રીતે જોવા મળે છે અને તેમણે આ રચનાને અનોખી રીતે રજૂ કરી છે. કોહલીએ તેમને “જિનિયસ” કહીને અભિનંદન પાઠવ્યા.
આ સાથે તેમણે રણવીર સિંહના અભિનયને પણ ખૂબ વખાણ કર્યા. કોહલીના જણાવ્યા મુજબ, ફિલ્મના તમામ કલાકારો તેમના પાત્રોમાં સારું કામ કરતા દેખાયા છે, પરંતુ રણવીર સિંહે આ ફિલ્મ પછી એક નવી ઊંચાઈ હાંસલ કરી છે. તેમનો અભિનય “શાનદારથી પણ વધુ” ગણાવ્યો.
Virat- Anushka Instagram Story
અનુષ્કા શર્માને પણ આ ફિલ્મ ગમી
વિરાટ કોહલી સિવાય અભિનેત્રી અનુષ્કા શર્મા એ પણ ફિલ્મને વખાણી છે. તેમણે ફિલ્મની સ્ટોરી, દિગ્દર્શન અને સ્ટારકાસ્ટના અભિનયને પ્રશંસનીય ગણાવ્યા છે. તેમણે રણવીર સિંહ, આદિત્ય ધર તેમજ અન્ય કલાકારોને ફિલ્મની સફળતા માટે અભિનંદન પાઠવ્યા.
‘ધુરંધર 2’ ને દર્શકો તરફથી મળેલા જબરદસ્ત પ્રતિસાદના કારણે ફિલ્મે માત્ર 18 દિવસમાં વિશ્વભરમાં 1600 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ સિદ્ધિ સાથે આ ફિલ્મ ભારતની ચોથી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં સ્થાન મેળવી ચૂકી છે. નોંધનીય છે કે ફિલ્મની કમાણીનો આ આંકડો હજુ પણ સતત વધી રહ્યો છે.
આ રીતે ‘ધુરંધર 2’ માત્ર બોક્સ ઓફિસ પર જ નહીં, પરંતુ દર્શકો અને સેલિબ્રિટીઝના દિલમાં પણ પોતાની ખાસ જગ્યા બનાવવામાં સફળ રહી છે.