
બિહારમાં હત્યા, લૂંટ, ખંડણી અને જીવલેણ હુમલાઓ વચ્ચે, ગુનેગારોએ હવે ફેમસ બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીના પરિવારને નિશાન બનાવ્યો છે. ગોપાલગંજ જિલ્લામાં, અભિનેતા પંકજ ત્રિપાઠીના મોટા ભાઈ બિજેન્દ્ર નાથ તિવારી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં વ્યાપક ગભરાટ ફેલાયો છે.
આ સમગ્ર ઘટના ગોપાલગંજ જિલ્લાના માધોપુર થાના વિસ્તારના બેલસંડ ગામની બતાવવામાં આવી રહી છે. જાણકારી મુજબ બિજેન્દ્ર નાથ તિવાર પર કેટલાક લોકોએ અચાનક હુમલો કર્યો હતો.હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ હથિયારોથી અનેક વાર હુમલો કર્યો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. ઘટના બાદ ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ હતી અને તેમના પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર માટે ગોપાલગંજ સદર હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
સદર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર દરમિયાન ડોક્ટરોએ તેની ગંભીર સ્થિતિ જોઈ સારી સારવાર માટે પટના AIIMSમાં રેફર કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેના શરીર પર ગંભીર ઈજા થઈ હતી. હાલમાં ડોક્ટરની ટીમ હેઠળ તેની સારવાર થઈ રહી છે.પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ જૂની દુશ્મનાવટ હોવાનું જણાય છે. જોકે, પોલીસ કેસના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ વહીવટીતંત્ર સક્રિય થઈ ગયું હતું. પોલીસે કેટલાક શંકાસ્પદોની ઓળખ કરી છે અને તેમને પકડવા માટે એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર એસડીપીઓ-2ના નેતૃત્વમાં એક વિશેષ ટીમ સતત શોધખોળ કરી રહી છે. આરોપીઓના સંભવિત
શંકાસ્પદોના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, અને ટૂંક સમયમાં ધરપકડનો દાવો કરવામાં આવી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે આ ઘટનામાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.
આ ઘટનાએ ફરી એકવાર બિહારમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. તાજેતરના સમયમાં રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી હત્યા, ગોળીબાર અને જીવલેણ હુમલાની ઘણી ઘટનાઓ નોંધાઈ છે. હવે, એક પ્રખ્યાત ફિલ્મ અભિનેતાના પરિવાર પર હુમલાના કારણે લોકોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા તેજ થઈ ગઈ છે.
Published On - 10:01 am, Mon, 22 June 26