
બોલીવૂડ અભિનેતા અનુપમ ખેરે પોતાની આગામી ફિલ્મ ‘શ્રી રામભૂમિ’માંથી પોતાનો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સાથે જ તેમણે ખુલાસો કર્યો છે કે આ ફિલ્મમાં તેઓ વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના દિવંગત નેતા ‘અશોક સિંઘલ’નું પાત્ર ભજવી રહ્યા છે. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અયોધ્યામાં ફિલ્મ ‘શ્રી રામભૂમિ’નું શૂટિંગ ચાલી રહ્યું છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલા પોતાના પાત્ર અંગે અનુપમ ખેરે હવે સત્તાવાર માહિતી આપી છે. તેમણે આ ભૂમિકાને પોતાના ફિલ્મી કારકિર્દીના સૌથી મહત્વપૂર્ણ પાત્રોમાંથી એક ગણાવી છે.
અનુપમ ખેરનો ફર્સ્ટ લુક
અનુપમ ખેરે પોતાના X (પૂર્વે ટ્વિટર) એકાઉન્ટ પર ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં તેઓ સફેદ કુર્તા-પાયજામા, ગળામાં પરંપરાગત અંગોચો, કપાળ પર લાલ-સફેદ તિલક અને ચશ્મા સાથે જોવા મળે છે. તેમનો લુક અશોક સિંઘલના વ્યક્તિત્વને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યો છે.
ફિલ્મમાં ભજવશે અશોક સિંઘલની ભૂમિકા
પોસ્ટ સાથે અનુપમ ખેરે જણાવ્યું કે તેઓ ફિલ્મમાં અશોક સિંઘલનું પાત્ર ભજવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમના લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી, તેથી તેમણે પોતે જ ચાહકોને પોતાના પાત્ર વિશે જાણ કરવાનો નિર્ણય લીધો.
अब जबकि मेरे द्वारा निभाए जा रहे किरदार की कुछ तस्वीरें मीडिया में आ चुकी हैं, तो मुझे लगा कि आप सबको मैं ख़ुद ही बता दूँ कि मैं किस भूमिका में नज़र आने वाला हूँ।
फ़िल्म ‘ श्री रामभूमि’ में मैं श्री अशोक सिंघल जी की भूमिका निभा रहा हूँ!! एक ऐसे व्यक्तित्व, जिन्होंने श्रीराम… pic.twitter.com/We9i6qj32g— Anupam Kher (@AnupamPKher) July 10, 2026
સોશિયલ મીડિયા પર શું લખ્યું?
અનુપમ ખેરે પોતાની પોસ્ટમાં લખ્યું કે, “મારા પાત્રની કેટલીક તસવીરો મીડિયા અને સોશિયલ મીડિયા પર સામે આવી ગઈ છે. તેથી મેં વિચાર્યું કે હું પોતે જ તમને જણાવું કે ફિલ્મમાં હું કઈ ભૂમિકામાં જોવા મળવાનો છું.”
તેમણે આગળ લખ્યું કે, “હું ‘શ્રી રામભૂમિ’માં શ્રી અશોક સિંઘલજીનું પાત્ર ભજવી રહ્યો છું. તેમણે શ્રીરામ જન્મભૂમિ આંદોલનને પોતાની અડગ નિષ્ઠા, સમર્પણ અને દૃઢ સંકલ્પથી નવી દિશા આપી હતી. તેઓ માત્ર એક નેતા નહોતા, પરંતુ ભગવાન શ્રીરામના અતિશય ભક્ત અને સેવક હતા.”
અનુપમ ખેરે વધુમાં કહ્યું કે, “આવા ઐતિહાસિક વ્યક્તિત્વને પડદા પર પ્રામાણિકતા અને સંવેદનશીલતા સાથે રજૂ કરવું મારા માટે ખૂબ મોટી જવાબદારી છે. હું મારી સંપૂર્ણ ક્ષમતા સાથે આ ભૂમિકાને ન્યાય આપવાનો પ્રયાસ કરીશ. મને સૌના આશીર્વાદ અને શુભેચ્છાઓની જરૂર રહેશે. જય શ્રી રામ.”
મંદિર સંબંધિત વિવાદ પર પણ આપ્યું નિવેદન
તાજેતરમાં મંદિર પ્રોજેક્ટ સાથે જોડાયેલા કથિત ગેરરીતિના આરોપો અંગે પૂછવામાં આવતા અનુપમ ખેરે કહ્યું કે આવા આરોપોથી લોકોની આસ્થા પર કોઈ અસર થવી જોઈએ નહીં. તેમના જણાવ્યા મુજબ, “ખોટું કામ કરનારા લોકો દરેક ક્ષેત્રમાં હોય છે, પરંતુ તેના કારણે મંદિરની પવિત્રતા અથવા તેની પ્રતિષ્ઠા ઓછી થતી નથી. આ મંદિરનું નિર્માણ લાંબા સંઘર્ષ બાદ શક્ય બન્યું છે અને કેટલીક વ્યક્તિઓના વર્તનને કારણે તેની મહત્તા ઘટી શકે નહીં.”