
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને નામપલ્લી કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. પોલીસે આજે અલ્લુ અર્જુન વિરુદ્ધ FIR નોંધી હતી અને હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ધક્કામુક્કીના કેસમાં તેની ધરપકડ કરી હતી. આ પછી, પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં કોર્ટે અભિનેતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો. બીજી તરફ અલ્લુ અર્જુનની અરજી પર પણ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
લોઅર કોર્ટ દ્વારા અલ્લુ અર્જુનને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા બાદ, જોવાનું રહે છે કે તેલંગાણા હાઈકોર્ટ તેની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરશે કે નહીં. રિમાન્ડ અંગેનો ખેલ હજુ પૂરો થયો નથી. હાલમાં તમામની નજર હાઈકોર્ટના નિર્ણય પર ટકેલી છે.
પુષ્પા 2ની સ્ક્રિનિંગ સમયે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં મચેલી ધક્કામુક્કીમાં એક મહિલાનું મોત થયું હતું. પુષ્પા-2 ફિલ્મના પ્રીમિયર દરમિયાન અલ્લુ અર્જુન જ્યારે થિયેટરમાં આવ્યો ત્યારે ત્યાં મોટી સંખ્યામાં ચાહકો પહોંચવાને કારણે ધક્કામુક્કી થઈ હતી. આ ઘટનામાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. તેનો પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી, ફરિયાદના આધારે, પોલીસે અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ નોંધ્યો અને તેની ધરપકડ કરી.
અલ્લુ અર્જુનની તેના ઘરની નજીક ધરપકડથી લઈને નામપલ્લી કોર્ટમાં તેની હાજરી સુધી, બધુ સસ્પેન્સમાં રાખવામાં આવ્યુ. આ ઘટનાક્રમને જોતા પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના પગલા લીધા હતા. બીજી તરફ, તેલંગાણાના સીએમએ અલ્લુ અર્જુનની ધરપકડ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કાયદા સમક્ષ દરેક સમાન છે… કાયદો આ મામલે પોતાનું કામ કરશે. તેમણે કહ્યું કે આમાં કોઈ પણ દખલગીરી કરવામાં આવશે નહીં.
વિપક્ષી નેતાઓએ અલ્લુ અર્જુનની ધરપકડની નીંદા કરી છે. બીઆરએસના કાર્યકારી પ્રમુખ કેટીઆરએ કહ્યું કે અલ્લુ અર્જુન પ્રત્યે સરકારનું વલણ યોગ્ય નથી. અલ્લુ અર્જુનને સામાન્ય ગુનેગાર માનવો યોગ્ય નથી. કેન્દ્રીય મંત્રી બંદી સંજયે અલ્લુ અર્જુનની ધરપકડ માટે સરકારને જવાબદાર ગણાવી હતી. નાસભાગમાં એક મહિલાનું મોત થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે નાસભાગ માટે સરકારની નિષ્ફળતાને જવાબદાર ગણાવી હતી.
અલ્લુ અર્જુને સંધ્યા થિયેટર સ્ટેમ્પેડ કેસમાં હાઈકોર્ટનો પણ સંપર્ક કર્યો છે. અભિનેતાએ હાઇકોર્ટ સમક્ષ અરજી દાખલ કરી તાકીદે સુનાવણી કરવાની અને પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી FIR રદ કરવાની માંગ કરી છે. કોર્ટે અલ્લુ અર્જુનની અરજી સ્વીકારી લીધી છે.
હૈદરાબાદના સંધ્યા થિયેટર અને પોલીસ પ્રશાસન વચ્ચે અભિનેતા અલ્લુ અર્જુનના આગમનને લઈને વિવાદ થયો છે. થિયેટર મેનેજમેન્ટે દાવો કર્યો છે કે તેઓએ અભિનેતાના આગમનના બે દિવસ પહેલા પોલીસને જાણ કરી હતી અને સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી હતી. થિયેટર મેનેજમેન્ટનું કહેવું છે કે પુષ્પા 2 ના પ્રમોશન દરમિયાન તેઓએ પોલીસને અલ્લુ અર્જુનના આગમન વિશે લેખિતમાં જાણ કરી હતી. તેમ છતાં પોલીસે આ મામલે કોઈ નક્કર પગલાં લીધાં નથી.
આપને જણાવી દઈએ હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા-2ના સ્ક્રિનિંગ સમયે અલ્લુ અર્જુનને જોતા જ ફેન્સે ધક્કા મુક્કી કરી હતી. આ ભાગદોડમાં એક 35 વર્ષિય મહિલાનું મોત થયુ હતુ અને એક બાળક બેભાન થઈ ગયો હતો. આ મામલે મહિલાના પતિ દ્વારા કેસ દાખલ કરાયો. જે મામલે પોલીસે કાર્યવાહી કરતા અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી અને તેને સવારે ચિક્કડપલ્લી પોલીસસ્ટેશને લઈ જવાયો હતો. ત્યારબાદ અલ્લુ અર્જુનના વકીલે કોર્ટમાં ઈમરજન્સી સુનાવણી માટે અપીલ કરી હતી. અલ્લુ અર્જુનના વકીલે કોર્ટ સમક્ષ સોમવાર સુધી રાહત આપવાની માગ કરી હતી. જો કે કોર્ટે તેનો નિર્ણય સંભળાવતા હવે તેને 14 દિવસની ન્યાયકિ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
કોર્ટના નિર્ણય બાદ ચંચલગુુડા સેન્ટ્રલ જેલ બહાર સુરક્ષા ટાઈટ કરી દેવામાં આવી છે. હાલ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જો હાઈકોર્ટ તરફથી રાહત નહીં મળે તો અલ્લુ અર્જુનને ચંચલગુડા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવી શકે છે.
જોકે આપને એ જણાવી દઈએ કે ભાગદોડ થયા બાદ જ્યારે એક મહિલાનું મોત થયું ત્યારે અલ્લુ અર્જૂને પીડિત પરિવારની માફી માંગી હતી અને પરિવારને 25 લાખ રૂપિયા આપ્યા હતા તે સિવાય ઘાયલ લોકોની સારવારની બાંહેધરી પણ આપી હતી.
Published On - 4:21 pm, Fri, 13 December 24