ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ભાવનગરમાં હાલ સાતમાંથી છ સીટો પર ભાજપનો કબજો છે. કોંગ્રેસ પાસે એક સીટ માત્ર નામ પૂરતી છે. જોકે આ વખતે આમ આદમી પાર્ટીએ પણ જ્ઞાતિના ગણિત સાથે મજબૂત ઉમેદવારો ઉતારીને અમુક જગ્યાએ ભાજપ અને કોંગ્રેસનો ખેલ બગાડી નાખ્યો છે. આ સ્થિતિમાં મતદારોમાં વિભાજન થવાની પૂરી શક્યતાઓ છે. ત્યારે એ જાણવાનો પ્રયાસ કરીએ કે નવી પરિસ્થિતિમાં આ વખતે ભાવનગરમાં કોણ ફાવે છે?
ભાવનગરની કરીએ તો ભાવનગરમાં છ સીટ ભાજપ પાસે છે અને એક કોંગ્રેસ પાસે. પરંતુ ભાજપ એ એક બેઠક પણ ગુમાવવા નથી માગતી. એટલે જ ભાજપે એડીચોટીનું જોર લગાવવાની સાથે બે જગ્યાએ તો ઉમેદવારો પણ બદલી નાખ્યા છે. ભાવનગરના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભાવનગર જિલ્લામાં પોતાની જવાબદારી સાથે ચાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં મહુવામાં શિવા ગોહિલ, તળાજામાં ગૌતમ ચૌહાણ, પૂર્વ વિધાનસભા બેઠક પર સેજલ પંડ્યા અને પાલીતાણામાં ભીખા બારૈયાની પસંદગી મનસુખ માંડવીયા દ્વારા કરવામાં આવી હોવાની ચર્ચા છે. ભાજપ ગઈ વખતની છ સીટોના બદલે તળાજાની હારી ગયેલી સીટ પણ મેળવવા માંગે છે, પરંતુ આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં જ સાતે સાત સીટો પર સમીકરણ બદલાઈ ચૂક્યા છે.
મહુવા સીટ પર આર.સી મકવાણાની ટિકિટ કપાઈ છે તો શિવા ગોહિલે ટિકિટ ન માંગી હોવા છતાં તેમને ટિકિટ મનસુખ માંડવીયાની જવાબદારીએ આપવામાં આવી છે. તે જોતાં કાર્યકરો અને આગેવાનોમાં ભારે અસંતોષ છે. મહુવામાં કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ કલસરિયા જેવું સેવાભાવી વ્યક્તિત્વ હોવાને લીધે કોંગ્રેસનું પલડું ભારી છે. જ્યારે પાલીતાણામાં પણ ઉમેદવાર ભીખા બારૈયાને રીપીટ કરાતા કાર્યકરોમાં ખાસ ઉત્સાહ દેખાતો નથી. કોળી સમાજ પર પ્રભુત્વ હોવાને કારણે કોંગ્રેસનું પલડું પાલીતાણામાં પણ ભારે છે.
જ્યારે ભાવનગર પૂર્વ વિધાનસભા સીટ અને ભાવનગર ગ્રામ્ય પર પરષોત્તમ સોલંકીનો દબદબો યથાવત છે. એ જોતાં આ બે સીટ પર ભાજપનું પલડુ ખૂબ ભારે દેખાઈ રહ્યું છે. જ્યારે ગારીયાધાર સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુધીર વાઘાણી ભાજપના ઉમેદવાર કેશુ નાકરાણી અને કોંગ્રેસના ઉમેદવાર દિવ્યેશ ચાવડાને પાછળ રાખતા દેખાઈ રહ્યા છે. ભાવનગર પશ્ચિમ વિધાનસભા સીટ પર જ્ઞાતિના સમીકરણોના આધારે ક્ષત્રિય પાટીદાર અને કોળી સમાજના ત્રણ ઉમેદવારો સામ-સામે છે.
ભાવનગર પશ્ચિમમાં ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીને કોંગ્રેસના ઉમેદવાર કે.કે ગોહિલ અને આપના ઉમેદવાર રાજુ સોલંકી ભારે ટક્કર આપી શકે છે. જ્યારે તળાજા સીટ પર આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર લાભુબેન ભાજપના કોળી ઉમેદવાર હોવાને લીધે ભાજપના ઉમેદવાર ગૌતમ ચૌહાણના જીતના સમીકરણો બગાડી નાખે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જેનો ફાયદો કોંગ્રેસના ઉમેદવાર કનુ બારૈયાને થાય તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જોકે કોંગ્રેસ અને આપ બંનેને પોતાની જીત બાબતે પૂરો આત્મવિશ્વાસ છે.
ભાવનગરમાં છેલ્લા એક મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપના કેન્દ્રીય નેતાઓની ફોજ પણ મુલાકાતો અને સભાઓ ગજવી રહ્યા છે. એ જોતાં ભાજપને તેનો સીધો લાભ થશે તેવી સ્થાનિક નેતાઓને ખાતરી છે તો ભાવનગરમાં હાલના જ્ઞાતિના સમીકરણો, પાર્ટીમાં ટિકિટને લઈને અસંતોષ, ક્ષત્રિય સમાજની નારાજગી, આપ પાર્ટીની એન્ટ્રી જેવા અનેક નવા સમીકરણો ઊભા થયા છે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદારોના વિરોધને લઈને અનેક સીટો ઉપર ભાજપની લીડમાં બહુ મોટો ઘટાડો ભાવનગરમાં જોવા મળ્યો હતો, પરંતુ આ વખતે આપને કારણે સ્થિતિ થોડી અલગ છે. રાજકીય વિશ્લેષકો કહે છે કે જ્ઞાતિ પ્રમાણે મતોમાં વિભાજન થતાં પરિણામનું રોકેટ કઈ તરફ જાય તે કંઈ કહી શકાય નહીં. ભાજપની સીટો ઘટશે કે વધશે તેના પર પણ સવાલ છે. કોંગ્રેસની એક સીટમાંથી વધારો થશે કે નહીં તે પણ સવાલ છે ? અને ભાવનગરમાં આપ પાર્ટી ખાતું ખોલશે કે ભાજપ અને કોંગ્રેસમાંથી એક પાર્ટીનો ખેલ બગાડશે ? તેના પર રાજકીય નિષ્ણાતોમાં મતમતાંતર છે.
Published On - 4:57 pm, Fri, 25 November 22