
NEET-UG 2026 પેપર લીક કેસમાં CBI એ વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં લાતુરના ડોક્ટર ડો. મનોજ શિરુરેનો પણ સમાવેશ થાય છે. CBI ના જણાવ્યા અનુસાર, ડો. શિરુરેએ ત્રણ વિદ્યાર્થીઓને લીક થયેલા કેમિસ્ટ્રી પેપર પૂરા પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આરોપીઓમાંથી એક કોચિંગ સેન્ટર ઓપરેટરનો પુત્ર હોવાનું કહેવાય છે.
તપાસમાં જાણવા મળ્યું કે આ પેપર્સ આરોપી પી.વી. કુલકર્ણી પાસેથી મેળવવામાં આવ્યા હતા. બીજા ધરપકડ કરાયેલ આરોપી તેજસ હર્ષદકુમાર શાહ છે. તેજસ પુણેમાં ડૉ. અભંગ પ્રભુ મેડિકલ એકેડેમી (APMA) માં ભૌતિકશાસ્ત્ર ફેકલ્ટી સભ્ય છે. તેના પર આરોપ છે કે તેણે ધરપકડ કરાયેલ આરોપી મનીષા હવાલદાર પાસેથી NEET-UG 2026 ભૌતિકશાસ્ત્રના લીક થયેલા પ્રશ્નો મેળવ્યા હતા.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષા હવાલદારને છ દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં મોકલ્યા છે. તે 30 મે સુધી કસ્ટડીમાં રહેશે. તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો છે કે મનીષાએ ભૌતિકશાસ્ત્રનું પેપર લીક કર્યું હતું અને તેને લોકોમાં ફેલાવ્યું હતું. સીબીઆઈએ મનીષાનો સહ-આરોપીઓ સાથે મુકાબલો કરવા અને કેસમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓને ઓળખવા માટે કોર્ટ પાસેથી તેના રિમાન્ડની માગ કરી છે.
ગઈકાલે મંગળવારે સુપ્રીમ કોર્ટે NEET પેપર લીક કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે NTA ને ઠપકો આપ્યો અને એજન્સી, કેન્દ્ર સરકાર અને CBI ને નોટિસ ફટકારી. કોર્ટે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે એજન્સીએ ભૂતકાળમાંથી કોઈ પાઠ શીખ્યો નથી. કોર્ટે કેન્દ્ર સરકાર, NTA અને CBI પાસેથી જવાબ માંગ્યા છે. આ મામલે આગામી સુનાવણી 29 મેના રોજ થશે.
NEET UG ની ફરીથી પરીક્ષા 21 જૂન, 2026 ના રોજ યોજાશે. પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે, બિહાર, પંજાબ અને હરિયાણા સહિત ઘણા રાજ્યોએ સરકારી બસોમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે. NEET UG ની પરીક્ષા 3 મેના રોજ રદ કરવામાં આવી હતી. ફરીથી પરીક્ષા હવે 21 જૂને યોજાશે. NEET ની ફરીથી પરીક્ષામાં 22 લાખ ઉમેદવારો ભાગ લેશે.