
સામાન્ય રીતે એવી માન્યતા છે કે પાયલટ બનવા માટે 12માં ધોરણમાં ફિઝિક્સ અને મેથ્સ હોવું અનિવાર્ય છે. આ કારણે આર્ટ્સ અને કોમર્સના ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાનું સપનું પડતું મૂકે છે. પરંતુ આધુનિક શિક્ષણ પદ્ધતિ અને એવિએશન સેક્ટરની વધતી જતી માંગને કારણે હવે આ ધારણા બદલાઈ ગઈ છે.
ભારતમાં કોમર્શિયલ પાયલટ બનવા માટે DGCA (Directorate General of Civil Aviation) ના નિયમો મુજબ 12માં સ્તરનું ફિઝિક્સ અને મેથ્સનું જ્ઞાન હોવું જરૂરી છે. પરંતુ, જો તમે આ વિષયો સાથે 12મું પાસ નથી કર્યું, તો પણ સરકાર અને એરલાઈન્સે તમારા માટે ખાસ વ્યવસ્થા કરી છે.
જો તમે આર્ટ્સ કે કોમર્સથી 12મું કર્યું હોય, તો તમે NIOS (National Institute of Open Schooling) દ્વારા માત્ર ફિઝિક્સ અને મેથ્સની પરીક્ષા આપી શકો છો.
ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઈસ જેટ જેવી મોટી એરલાઈન્સ હવે પોતાના કેડેટ પ્રોગ્રામ્સ ચલાવે છે.
એકવાર તમારી પાસે જરૂરી વિષયો આવી જાય પછી તમારે કોઈ ફ્લાઈંગ ક્લબમાં એડમિશન લેવાનું રહે છે. સાથે જ, DGCA દ્વારા લેવામાં આવતી ગ્રાઉન્ડ સબ્જેક્ટ્સની પરીક્ષાઓ (જેમ કે એર નેવિગેશન, મેટિયોરોલોજી) પાસ કરવાની હોય છે. આ વિષયો લોજિક અને ગણતરી પર આધારિત છે, જે આર્ટ્સના વિદ્યાર્થીઓ પણ યોગ્ય કોચિંગથી સરળતાથી સમજી શકે છે.
ડિગ્રીની સાથે શારીરિક ફિટનેસ પણ અનિવાર્ય છે. પાયલટ બનવા માટે DGCA માન્ય ડોકટરો પાસે ક્લાસ-2 અને ત્યારબાદ ક્લાસ-1 મેડિકલ ટેસ્ટ કરાવવો પડે છે. જેમાં આંખોની દ્રષ્ટિ, સાંભળવાની ક્ષમતા અને સામાન્ય સ્વાસ્થ્યની ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે.