દિવાળીની રજાઓ દરમિયાન પણ અમદાવાદ મ્યુનિસિપલના તમામ અર્બન હેલ્થ સેન્ટરો ચાલુ રહેશે. કોરોનાના વધતા કેસના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અર્બન હેલ્થ સેન્ટરો ઉપરાંત શહેરમાં વિવિધ રસ્તાઓ પર ઉભા કરેલા કોરોના ટેસ્ટિંગના ડોમ સવારે 9થી બપોરે 4 સુધી ખુલ્લા રહેશે. કોરોનાને સંલગ્ન સંજીવની સેવા, 104, વડીલ સેવા અને ધન્વંતરી સેવા પણ કાર્યરત રહેશે. આ તમામ સેવાઓમાં અંદાજે 8 હજાર ડૉક્ટરો ફરજ બજાવશે.
આ ઉપરાંત દિવાળીમાં પણ લોકોને સારવાર મેળવવામાં તકલીફ ન પડે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિએશને કહ્યું છે કે, 19 નવેમ્બર સુધી ડૉક્ટર ઓન કૉલ સેવા મળી રહેશે. જેમાં 150 ડૉક્ટર અને 15 કો-ઓર્ડિનેટર સેવા આપશે. નર્સિંગ હોમ્સ 21 નવેમ્બર સુધી ખુલ્લા રહેશે. આ ઉપરાંત એલજી, શારદાબહેન અને નગર હોસ્પિટલમાં 24 કલાક સારવાર મળી રહેશે. સિવિલ ઉપરાંત સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડી પણ 24 કલાક ચાલુ રહેશે. નોન-કોવિડ દર્દી માટેની ઓપીડી સવારે 9થી બપોરના 2 સુધી, ત્યારબાદ ટ્રોમા સેન્ટરમાં દર્દી તપાસ કરાવીને સારવાર મેળવી શકે છે. આ સિવાય કોઇપણ વ્યકિત ટ્રોમા સેન્ટરમાં 24 કલાક તપાસ-સારવાર કરાવી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો