પાકના વાવેતર અને ઉછેર સમયે ઘણીવાર ખેડૂત મુંઝાતો હોય છે કે તેને શું કરવું? કેવી રીતે કરવું અને શું ન કરવું? ખેડૂત મિત્રોને જો ખેતીમાં શું કરવું? તેનો ખ્યાલ હશે તો તેમને ઉત્પાદન સારૂ મળશે અને શું ન કરવું? તેનો ખ્યાલ હશે તો તેને નુકશાન વેઠવાનો વારો નહિં આવે. તો, ચાલો જાણીએ કે ખેડૂતોએ મે માસમાં મગફળી, તલ, કપાસ અને જુવારના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
મગફળી:
* મગફળી ઉપાડ્યા પછી તે મગફળીના જ બીજનું તુરત વાવેતર કરવું નહિ. તેમનો ડોર્મંસી પીરીયડ પૂરો થયા પછી જ વાવેતર કરવું.
* જમીનમાં ભેજ હોય ત્યારે ઉનાળુ મગફળીને ઉપાડી ઢગલા અઠવાડીયું સુકાયા બાદ, પાથરા ફેરવી, ડોડવામાં 8 ટકા ભેજ હો ત્યારે થ્રેસિંગ કરવું.
* જમીનમાં ભેજનું પ્રમાણ અને શીદ્રતા જાળવી રાખવી. તે માટે આગલા પાકનાં ઝાડીયા-મુળિયા, કાંકરા વીણી જમીનને ચોખ્ખી કરો.
* આગોતરા વાવેતર માટે જમીનમાં ઢાળ હોય તો ઢાળની વિરુદ્ધ દિશામાં વાવેતર કરવું.
તલ:
* ઉનાળુ તલ પીળા પડી જાય પછી કાપણી કરી, ઉભડા કરવા.
* તે પછી તલ સુકાઈ જાય ત્યારબાદ ખેરી તલનું ગ્રેડીંગ કરી કોથળા ભરી લેવા.
* તલના પાકની કાપણી પાક પીળો પડી જાય ત્યારે કરવી. કાપણી બાદ 7 તથા 15 દિવસે એમ બે વાર ખેરવાની ભલામણ કરવામાં આવે છે.
કપાસ:
* જમીનને ખેડ કરી સમતલ બનાવો ઢાળ ઓછો કરો અને આ માસમાં છાણીયું (કમ્પોસ્ટ) ખાતર ચાસમાં ભરી દેવું.
* કપાસનું આગોતરું વાવેતર કરવું નહિ. તેમજ વાવેતર પહેલાં જમીનની ચકાસણી કરાવો.
* તમારા વિસ્તારમાં જે જાત સારું ઉત્પાદન આપતી હોય તે જાતનું બિયારણ ચોમાસા પહેલા મેળવી લેવી.
* કપાસનો પાક પૂરો થયા બાદ શેઢા-પાળા ઉપર રહેલ નિંદામણો તેમજ અન્ય બિનજરૂરી છોડનો નાશ કરવો.
* પેરાથીયોન ભૂકી શેઢા-પાળા તેમજ જ્યાં ઢાંલીયા કીટક બેસે છે ત્યાં છંટકાવ કરવો.
જુવાર
* દાણાની જુવાર દુધિયા દાણાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય ત્યારે પિયતની સગવડ હોય તો પૂરક પિયત આપવું.
* ઉનાળુ ઘાસચારાની જુવારમાં દાતરડાથી વાઢી પાથરી સુકવી વહેલી સવારમાં પૂળા બાંધી ઓઘલા કરી સૂર્યના તાપમાં સુકવી દઈ યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો.