ભારતની લગભગ 55 થી 60 ટકા વસ્તી ખેતી પર નિર્ભર છે. આ ક્ષેત્રની અર્થવ્યવસ્થામાં પણ મહત્વની ભૂમિકા છે. અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે ખેડૂતોની આવક (Farmers Income) વધારવા માટે વિશેષ પ્રયાસો કરવાની જરૂર છે. સરકાર પણ આ દિશામાં સતત પગલાં લઈ રહી છે. આ જ કારણ છે કે ખેડૂતોના જીવનની ગુણવત્તા સુધારવા માટે સમયાંતરે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi)પણ આવી જ યોજના છે. આ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોના બેંક ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. દર ચાર મહિનાના અંતરે સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં બે હજાર મોકલવામાં આવે છે.
પીએમ કિસાન યોજનાના પ્રથમ હપ્તાના નાણાં 1 એપ્રિલથી જુલાઈ વચ્ચે મોકલવામાં આવે છે. બીજો હપ્તો ઓગસ્ટ અને નવેમ્બર વચ્ચે આવે છે, જ્યારે ત્રીજો હપ્તો સરકાર દ્વારા ડિસેમ્બર અને માર્ચ વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં કુલ 10 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
ખેડૂતો 11મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ હપ્તો મોકલતા પહેલા સરકારે કેટલાક નિયમોનું પાલન કરવાનું ફરજિયાત બનાવ્યું છે. સરકારના આદેશ અનુસાર, જો ઇ-કેવાયસી (e-KYC)પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો ખેડૂત 11મા હપ્તાથી વંચિત રહેશે. સરકારે ખેડૂતોને ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 31 મે સુધીનો સમય આપ્યો છે. પીએમ કિસાન યોજનાની વેબસાઈટ પર જઈને ખેડૂતો તેમનું ઈ-કેવાયસી કરાવી શકે છે. આ ઉપરાંત ખેડૂતો CSC કેન્દ્રની મુલાકાત લઈને પણ આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
Published On - 9:55 am, Thu, 12 May 22