AHMEDABAD : કૃષ્ણનગરમાં મંદિરના પૂજારી કમ ગાર્ડની હત્યા મામલે કૃષ્ણનગર પોલીસે હત્યારાઓની ધરપકડ કરી છે. રવિવારે રાત્રે શહેરમાં હત્યાનો બનાવ સામે આવ્યો. આ બનાવ કૃષ્ણનગર જી.ડી. હાઈસ્કૂલ પાસે બન્યો હતો. બનાવમાં હાઈસ્કૂલ પાસે બળીયાદેવના મંદિરમાં સેવા – પૂજા કરતા આશિષ ગોસ્વામીની રવિવારે રાતે કેટલાક શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી હતી.
પૂજારીની હત્યા કર્યા બાદ બંને આરોપી પોલીસને સ્થળ પરથી જ મળી આવતા બન્નેની ધરપકડ કરવામાં આવી. જોકે બેમાંથી એક હત્યારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જઇ સારવાર અપાઈ. જ્યાં સારવાર પૂર્ણ થતાં આજે કૃષ્ણનગર પોલીસે બંનેની ધરપકડ કરી કાર્યવાહી કરી.
ઘટનામાં એસ્ટેટમાં પ્રવેશ બાબતે માથાકૂટ થતા હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
હત્યાની ઘટનામાં પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે કઠવાડામાં રહેતા આશિષ ગોસ્વામી બળીયાદેવ મંદિરમાં સેવા – પૂજા કરે છે. તેમજ આશિષ ગોસ્વામી મંદિરની સામે આવેલી એસ્ટેટમાં સિકયોરીટી ગાર્ડ તરીકે પણ નોકરી કરે છે. આશિષ ગોસ્વામી રવિવારે રાત્રે એસ્ટેટ ખાતે ફરજ ઉપર હાજર હતો, ત્યારે 2 યુવાનો મનીષ અને કમલેશ ત્યાં દારૂ પીધેલી હાલતમાં આવ્યા અને એસ્ટેટમાં જવા માટે બીજા સિકયોરીટી ગાર્ડ સાથે માથાકુટ કરી
ત્યારે હાજર આશિષ ગોસ્વામી બંને યુવાનોને સમજાવવા ત્યાં ગયા હતા. જેથી ગુસ્સે થયેલા બંને યુવાનોએ આશિષ ગોસ્વામીને તીક્ષ્ણ હથિયારના અનેક ઘા મારી દીધા હતા. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આશિષ ગોસ્વામીનું સ્થળ પર જ મોત નિપજયું હતુ. તો ઘાયલ આરોપીઓએ પણ મૃતક અને ઘટના સમયે હાજર અન્ય એક ગાર્ડ સામે મારા મારી કર્યાની ફરિયાદ દાખલ કરી હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતા કૃષ્ણનગર પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી. જ્યાં સ્થળ પર પોલીસને ગંભીર રીતે ઈજાગ્રસ્ત શખ્સ મળી આવતા તેને પૂછતાં તે જ આરોપી હોવાની કબૂલાત કરી જેથી ઘાયલ એક આરોપીને પોલીસ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જઈ બીજાને પોલીસે ઝડપી લીધો હતો.
જ્યારે બીજી બાજુ આશિષ ગોસ્વામીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી. તેવામાં આજે આરોપીની સારવાર પૂર્ણ થતાં તેને પણ ઝડપી લેવાયો. ત્યારે પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે પકડાયેલ શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ.
આ પણ વાંચો : DANG : ગરીબોના હક્કનું અનાજ બરોબર વેંચી નાખવાનો આરોપ, ક્યાં ગયું અનાજ ?