આસામના (Assam) કરીમગંજ જિલ્લામાં માનસિક વિકલાંગ સગીર પર બળાત્કાર કરવાના આરોપમાં 43 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી. બદરપુર પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર આરોપી શખ્સે શનિવારે તેના પડોશમાં રહેતી 17 વર્ષની સગીર યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.
તેમણે જણાવ્યું કે, પીડિત યુવતી ઘરમાં એકલી હતી અને ઘરની પાછળ ચાલતી હતી ત્યારે આરોપીએ તેને એક ઓરડામાં ખેંચીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, અમે આરોપી વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની સામે યૌન અપરાધથી સંરક્ષણના (પોક્સો) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. યુવતી સગીર અને માનસિક રીતે નબળી છે. તેનું નિવેદન ખૂબ જ કાળજીપૂર્વક લેવામાં આવ્યું છે અને તેની તબીબી તપાસ કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં આસામથી બળાત્કારની અનેક ઘટનાઓ સામે આવી રહિ છે. શુક્રવારે આસામમાં બળાત્કારના બે અલગ અલગ કેસમાં એક મસ્જિદના ઈમામ અને મંદિરના પૂજારીની ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે હોજાઈ જિલ્લાની એક મસ્જિદના ઇમામ દ્વારા 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જ્યારે તેણી એકલા ઘરે હતી.
જ્યારે અન્ય એક ઘટનામાં, કર્બી એંગલાંગ જિલ્લામાં એક 15 વર્ષની બાળકી પર પુજારી દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. જે તેના ગામમાં ઇન્ટરનેટ નબળી હોવાને કારણે તેની શાળાની ઓનલાઇન પરીક્ષા માટે પુજારીના ઘરે રોકાઈ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, 22 જુલાઇએ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો અને પુજારીએ તેને તેના ઘરે જબરદસ્તી રાખ્યો હતો, પરંતુ તે કોઈક રીતે તેના ગામ પહોંચવામાં સફળ રહી અને સમગ્ર ઘટના બહાર આવી હતી.