અમદાવાદના (Ahmedabad) મલાવ તળાવ પાસે ભગવાન પરશુરામની (Lord Parashuram)તકતીને તોડવાની ઘટના મામલે પોલીસે ચાર લોકોની કરી ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા આરોપીઓ સ્થાનિક રહેવાસી હોવાનું જ સામે આવ્યુ હતુ. વાસણા પોલીસે (Vasana police) આ સમગ્ર મામલે ગુનો નોંધી ચાર સ્થાનિક આરોપીઓની અટકાયત કરી છે અને તોડફોડ કરવા પાછળનું કારણ જાણવા પુછપરછ હાથ ધરી છે.
અમદાવાદના મલાવ તળાવ પાસે પરશુરામ જયંતિની આગળની રાત્રે જ અજાણ્યા શખ્સો દ્વારા ભગવાન પરશુરામની તકતીને તોડવાની ઘટના બની હતી. સમગ્ર ઘટના બાદ વાસણા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ શરુ કરી હતી. વાસણા પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા તોડફોડ કરનારા અસમાજીક તત્વો સ્થાનિક રહીશો જ હોવાનું જાણવા મળ્યુ હતુ. સીસીટીવીમાં ટુ વ્હીલર પર આ સમાજીક તત્વો આવ્યા હોવાનું જોવા મળ્યુ છે. ત્યારે વાસણા પોલીસે આ ચારેય સ્થાનિક લોકોની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.
આજ પરશુરામ જયંતિ છે અને તેના આગળના દિવસે જ ભગવાન પરશુરામની તકતી તોડાતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. આ અંગે જાણ થતા મોડી રાત્રે લોકો એકત્ર થઈ ગયા હતા અને આવું કૃત્ય કરનારા સામે કડક કાર્યવાહી કરાય તેવી માગ કરી હતી.
મહત્વનું છે કે આજે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ શહેર દ્વારા આયોજિત ભગવાન પરશુરામ જન્મોત્સવના (Parshuram Jaynti) રોજ ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ, માતૃસંસ્થા દ્વારા સમગ્ર ગુજરાતના 23 જિલ્લાઓ તથા તેના 165 તાલુકામાં આ શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદ ખાતે પ્રસ્થાન સ્થળ કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર, સાળંગપુરથી સવારે 7.30 કલાકે યાત્રા નીકળી હતી, જેનો રૂટ અંદાજે 12 કિલોમીટરનો રહેશે.