ભારતમાં કોરોના વાયરસના XBB 1.5 વેરિયેન્ટનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ વાઈરસના માત્ર 11 દિવસમાં 7 કેસ મળી આવ્યા છે. ભારતીય સાર્સ-સીઓવી-2 જીનોમિક્સ કન્સોર્ટિયમના ડેટામાં ગુરુવારે આ અંગેની માહિતી આપતા ચીંતા વ્યક્ત કરવામાં આવી છે. ઓમિક્રોનનો આ સબ વેરિયેન્ટ ચીનમાં કોરોનાના કેસ વધવા માટે જવાબદાર માનવામાં આવે છે. ત્યારે ભારતમાં તેના સાત કેસ મળી આવ્યા છે. જેમાંથી ગુજરાત, કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ અને રાજસ્થાનમાં એક એક કેસ નોંધાયા છે.
કોરોના વાયરસનું XBB 1.5 પ્રકારએ ઓમિક્રોન XBBનો સબ વેરિઅન્ટ છે. માહિતી અનુસાર, તે ઓમિક્રોન BA.2.10.1 અને BA.2.75 પેટા વેરિયેન્ટનું એક સ્વરુપ છે. અમેરિકામાં આ વાઈરસના 44 કેસ જોવા મળ્યા છે.
INSACOG અનુસાર, ઓમિક્રોનના BF.7 સબ વેરિયન્ટના સાત કેસો સામે આવ્યા છે, જેમાંથી 4 પશ્ચિમ બંગાળમાં 2 ગુજરાત અને એક કેસ ઓડિશામાં નોંધાતા ચીંતા વધી છે. ચીનમાં કોરોના વાયરસનું આ સ્વરુપ ત્યાં કેસોમાં અચાનક ઉછાળો આવવા માટે જવાબદાર માનવામાં આવે છે.
કોરોનાના નવા વેરિયેન્ટ તબાહી મચાવી રહ્યો છે ત્યારે આ તેને લઈને ભારતમાં સતર્કતા વધારીને એરપોર્ટ પર ટેસ્ટિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે એરપોર્ટ પર તપાસ દરમિયાન 19,227 યાત્રિકો માંથી 124 લોકો કોરોના સંક્રમીત મળી આવ્યા છે. 124 પોઝિટિવ સેમ્પલમાંથી 40માં જીનોમ સિક્વન્સિંગના સેમ્પલ મળી આવ્યા હતા. જેમાંથી 15 સેમ્પલ XBB.1 અને XBB વેરિયન્ટ્સના મળી આવ્યા છે. જ્યારે એક સેમ્પલ BF 7.4.1 મળી આવ્યો છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે નાગરિકોને ગભરાવવાની જરુર નથી પણ સતર્કતા જરુરી છે.
દેશમાં વધી રહેલ સંક્રમણને જોતા મોક ડ્રીલ હાથ ધરવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કોવિડ માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને તેને લઈને રાષ્ટ્રીય રાજધાની દિલ્લીની સફદરજંગ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
કોરોના વાયરસ ચીન, જાપાન, અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં લાખો લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન 24 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી વચ્ચે ભારતમાં આતરરાષ્ટ્રીય યાત્રિકોના પરિક્ષણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં 19,227 આંતરરાષ્ટ્રીય મુસાફરોના ટેસ્ટિંગ કરવામાં આવી ચૂક્યા છે. જેમાંથી 124 યાત્રિકો ચેપ ગ્રસ્ત મળી આવ્યા છે.
Published On - 12:24 pm, Fri, 6 January 23