બનાસકાંઠા : કોરોના દર્દીઓ માટે અલગ બેડ, ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિતની વ્યવસ્થા ઉભી કરાઇ
કોરોનાની સંભવિત સ્થિતિને ધ્યાનમાં લઈને જિલ્લામાં કોરોના દર્દીઓ માટેના અલગ બેડ, ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બનાસ મેડીકલ કોલેજ- મોરીયા અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે RTPCR ટેસ્ટ માટેની લેબ કાર્યરત છે.
પાલનપુર (Palanpur) કલેકટર કચેરી ખાતે બનાસકાંઠા કલેકટર (Collector)આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કોવિડ-19 કામગીરીની સમીક્ષા બેઠક (Review meeting)યોજાઇ હતી. જેમાં બનાસકાંઠા જિલ્લામાં કોવિડ-૧૯ સંદર્ભે થયેલ કામગીરીની સમીક્ષા તથા આગામી આયોજન અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં હાલની કોવિડ-19ની પરિસ્થિતિ ધ્યાને લઇ કલેકટરે જણાવ્યું કે, કોરોના સંક્રમણ અટકાવવા એન્ટીજન અને આર.ટી.પી.સી.આર. ટેસ્ટ વધારીએ તથા જે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તે વિસ્તારમાં બેરીકેટીંગ અને સાઇનીંગ બોર્ડ લગાવી પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે તથા હાઉસ ટુ હાઉસ હેલ્થ સર્વેલન્સ કરવા તેમજ જરૂરિયાત મુજબ ધન્વંતરી રથના રૂટ ગોઠવવામાં આવ્યા છે.
આ બેઠકમાં આરોગ્ય તંત્ર દ્વારા જણાવ્યા મુજબ હાલ બનાસકાંઠા જિલ્લામાં 804 કોરોના કેસ એક્ટિવ કેસ છે. જેમાં 460 કેસ શહેરી વિસ્તારમાં અને 344 કેસ ગ્રામ્ય વિસ્તારમાં છે. કોરોનાની સંભવિત સ્થિતિને ધ્યાનમાં લઈને જિલ્લામાં કોરોના દર્દીઓ માટેના અલગ બેડ, ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બનાસ મેડીકલ કોલેજ- મોરીયા અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે RTPCR ટેસ્ટ માટેની લેબ કાર્યરત છે. જેમાંથી રિપોર્ટ ઝડપથી મળે તે માટે 3 શીફ્ટમાં સ્ટાફ કામ કરે છે. થરાદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પીટલ ખાતે RTPCR ટેસ્ટ માટેની લેબ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ડીસા અને યાત્રાધામ અંબાજી ખાતે પણ RTPCR ટેસ્ટ માટેની લેબ શરૂ કરવાનું આયોજન છે. 2.7 લાખ એન્ટીજન કીટનો જથ્થો ઉપલબ્ધ છે.
જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ માટે 750 જેટલી ટીમો કામ કરી રહી છે. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં ધન્વંતરી આરોગ્ય રથ લોકોના ઘેર ઘેર જઇ સારવાર પુરી પાડે છે. કોરોના સંક્રમિત દર્દીઓએ સારવાર માટે આમથી તેમ ભટકવું ન પડે અને તેમને પોતાના ગામમાં જ નજીકની સરકારી હોસ્પીટલ અને બનાસ મેડીકલ કોલેજ સંચાલિત સીવીલ હોસ્પીટલ, પાલનપુરમાં સારવાર માટે 2696 ઓક્સિજન બેડ સહિત કુલ- 4,244 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે, નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલ, આર.સી.એચ.ઓ. ડૉ. જીગ્નેશ હરીયાણી સહિત જિલ્લાના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતમાં સરકારે જાહેર કર્યા નવા નિયંત્રણો, આઠ મહાનગરો ઉપરાંત 17 નગરોમાં પણ રાત્રિ કરફ્યુ
આ પણ વાંચો : Rajkot : કોરોનાના કેસ વધતાં અગ્ર સચિવે યોજી સમીક્ષા બેઠક, ટેસ્ટિંગ વધારવા કવાયત