ભારતમાં કોરોના રસીકરણ અભિયાન જોરશોરથી શરૂ છે. હાલમાં સીરમ ઇન્સ્ટીટયુટની કોવીશીલ્ડ (Covishield) અને ભારત બાયોટેકની કોવેક્સીન (Covaxin) રસીકરણ અભિયાનમાં શામેલ છે. ભારત સરકારે કોવેક્સીનના બે ડોઝ વચ્ચે 28 દિવસ અને કોવીશીલ્ડના બે ડોઝ વચ્ચે 12 થી 16 અઠવાડિયા એટલેકે લગભગ 3 મહિનાનું અંતર રાખવાનું નક્કી કર્યું છે. હવે પ્રશ્ન એ થાય કે 28 દિવસનું અંતર યોગ્ય છે, પણ શું 3 મહિનાનું અંતર યોગ્ય કહેવાય કે નહી? ભારતમાં કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે 3 મહિનાનું અંતર અંગે એસ્ટ્રાઝેનેકા (AstraZeneca) એ જવાબ આપ્યો છે.
કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે 3 મહિનાનું અંતર યોગ્ય : એસ્ટ્રાઝેનેકા
કોરોના વેક્સિન ઉત્પાદક એસ્ટ્રાઝેનેકા (AstraZeneca) એ ભારતમાં કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે 12-16 અઠવાડિયાના અંતરને ટેકો આપ્યો હતો. એસ્ટ્રાઝેનેકા વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલના મુખ્ય તપાસ અધિકારીએ શુક્રવારે કહ્યું હતું કે રસીકરણ પછી બીજા અને ત્રીજા મહિનામાં એક માત્રા દ્વારા પૂરી પાડવામાં આવેલ રક્ષણનું સ્તર નોંધપાત્ર રીતે વધે છે. માટે ભારતમાં કોવિશિલ્ડ (Covishield) ના બે ડોઝ વચ્ચે 3 મહિનાનું અંતર યોગ્ય છે.
બ્રિટનમાં કોવેશિલ્ડ(Covishield) ના બે ડોઝ વચ્ચે અંતર ઘટાડવા અને અને ભારતમાં તે અંતર વધારવા અંગે ઓક્સફોર્ડ વેક્સીન ગ્રુપ (Oxford Vaccine Group) ના ડિરેક્ટર ડો.પોલાર્ડે કહ્યું કે બ્રિટને એવા બે ડોઝ વચ્ચે અંતર ઘટાડ્યું છે જ્યારે તેની વસ્તીના મોટા ભાગનું રસીકરણ પૂર્ણ થઇ ચુક્યું છે.
ભારત અને બ્રિટનમાં પરિસ્થિતિ અલગ : એન્ડ્ર્યુ પોલાર્ડ
ભારતમાં કોવિશિલ્ડ (Covishield) ના બે ડોઝ વચ્ચે 3 મહિનાનું અંતર યોગ્ય ઠેરવતા કોરોના વેક્સિન ઉત્પાદક એસ્ટ્રાઝેનેકા (AstraZeneca) સાથે સંકળાયેલા ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રો.એન્ડ્ર્યુ પોલાર્ડ (Andrew Pollard) એ કહ્યું કે બ્રિટન અને ભારતમાં પરિસ્થિતિ અલગ અલગ છે, માટે બંને દેશોની રસીકરણની નીતિની તુલના ન કરવી જોઈએ.
ઓક્સફોર્ડ વેક્સીન ગ્રુપ (Oxford Vaccine Group) ના ડિરેક્ટર પોલાર્ડે કહ્યું કે, “ભારતમાં રસીકરણ નીતિનું લક્ષ્ય એ છે કે વર્તમાન સંજોગોમાં ઝડપથી વધુમાં વધુ લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવો.”
વધુમાં વધો લોકોને વેક્સિન મળે : એન્ડ્ર્યુ પોલાર્ડ
યુકેમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના પેડિયાટ્રિક ઇન્ફેક્શન અને રોગપ્રતિકારક શક્તિના પ્રોફેસર પોલાર્ડે કહ્યું કે એસ્ટ્રાઝેનેકા એક ડોઝની રસી પર કામ કરી રહી નથી.તેમણે કહ્યું કે એસ્ટ્રાઝેનેકા (AstraZeneca) બનાવનાર ઓક્સફોર્ડ વેક્સીન ગ્રુપ બૂસ્ટર અથવા ત્રીજી રસી માટેની યોજનાઓ પર પણ કામ કરી રહ્યું નથી. તેમણે કહ્યું કે, રસીની અછતની સ્થિતિમાં ઓછી સંખ્યામાં લોકો માટે વધુ સારી રીતે સુરક્ષા આપવાની જગ્યાએ, શક્ય તેટલા લોકો માટે સલામતીનાં પગલાંની ખાતરી કરવી યોગ્ય છે.